Sunday, December 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૬

 

*"પિતા જ્યારે બીજા પિતાઓનું ઉદાહરણ આપીને 'અમે તમને કેવી સુખ-સુવિધા અને વાતાવરણ આપ્યું છે તે જુઓ."* એવું કહેતાં રહે ત્યારે બાળકો લઘુતાગ્રંથિ અનુભવતાં હોય છે. ત્યારે શું કરવું જોઈયે.?

        પેરેન્ટ્સે ક્યારેય સરખામણી ન કરવી જોઈએ. તેનાથી બાળકોના આત્મવિશ્વાસને હાનિ પહોંચે છે, અને તેનામાં શરમની ભાવના વિકસે છે. જો કે, એ વાત પણ એટલી જ સાચી છે કે ઘણાં બધાં પેરેન્ટ્સ, એમની એન્ગઝાઇટીથી પ્રેરાઈને સરખામણી કરતાં રહે છે. બાળકો એમાં શું કરી શકે? વિચારવા જેવા 5 મુદ્દા...

1. પેરેન્ટ્સ સંતાનને સક્ષમ ગણે છે અને ઈચ્છે છે કે એ વધુ સારું પરફોર્મ કરે. એટલે તે સરખામણી કરીને તેને મોટિવેટ કરવા પ્રયાસ કરે છે. કોશિશ કરો કે તમે દરેક કામોમાં પ્રગતિ કરતા રહો. એથી પેરન્ટ્સનો વિશ્વાસ વધે અને સરખામણીની જરૂરિયાત ઘટે.

 2. સરખામણીથી હતોત્સાહ ન થાવ. પેરેન્ટ્સને તો બદલી શકાતા નથી, પણ આપણા રિએક્શનને તો બદલી શકાય છે. ઉલટાનું, પેરેન્ટ્સની અપેક્ષા કરતાં પણ તમે બહેતર છો એવું પુરવાર કરો.

3. પેરેન્ટ્સ મોટાભાગે સામાજીક પ્રેસરમાં આવીને સરખામણી કરતાં હોય છે. તમે સમાજની ચિંતા કર્યા વગર, અપેક્ષાનું ખુદનું લેવલ બનાવો અને તેને હાંસલ કરવાની કોશિશ કરો.

4. પેરેન્ટ્સ સાથે દલીલો ન કરો. તમે એવું પણ સ્વીકારો કે પેરેન્ટ્સની સરખામણીમાં કોઈક તો વજૂદ હશે. પેરેન્ટ્સ ટીકા કરે ત્યારે પોઝીટિવ અભિગમ અપનાવો. તમે નક્કર પરિણામથી સાબિત કરો કે તમે પણ બીજાં સંતાનો કરતાં બહેતર છો.

5. સારી અને શાંત ભાષામાં પેરેન્ટ્સને કહો કે બીજાં બાળકોનાં પેરેન્ટ્સ સરખામણી નથી કરતાં, તે નેગેટિવ ટીકા નથી કરતાં અને બાળકોને ખીલવા દેવા માટે મોકળું મેદાન આપે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૫

        

            સેલ્ફ-ડિસિપ્લિન અથવા આત્મસંયમ કેમ અઘરો હોય છે? સૌથી મોટું કારણ એ છે કે મનને એવું લાગે છે કે એમાં તકલીફ પડશે, મહેનત કરવી પડશે અથવા સ્ટ્રેસ આવશે. મનને તેમાં નિષ્ફળ જવાનો ડર હોય છે અને આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. કશું કરવા માટેનાં કારણોની સરખામણીમાં, તેને નહીં કરવા માટેનાં કારણો વધી જાય ત્યારે સેલ્ફ-ડિસિપ્લિન અઘરું બની જાય.

            બીજું કારણ "પ્રેઝન્ટ બાયસ" છે. પ્રેઝન્ટ બાયસ એટલે મોટાભાગે આપણે એ જ વસ્તુને હોંશે હોંશે કરીએ છીએ જેનો ફાયદો વર્તમાનમાં અથવા તાત્કાલિક મળવાનો હોય. દાખલા તરીકે, સિગારેટ પીવાની મજા તાત્કાલિક છે, અને તેનું નુકસાન ભવિષ્યમાં છે. એટલે આપણે એવું મન મનાવીએ છીએ ભવિષ્યની બીકમાં વર્તમાનની મજા કેમ જતી કરવી? એ જ રીતે, અત્યારે કસરત કરું તો વજન ભવિષ્યમાં ઉતરશે, પણ શરીરમાં પીડા તો વર્તમાનમાં થાય છે, એટલે આપણે કસરત કરી શકતા નથી. એક ઉપાય મજામાં વિલંબ કરવાનો છે. ચાર વાગે સિગારેટની તલપ લાગી હોય, તો તરતને બદલે એક કલાક પછી પીવી. અડધો કલાક કસરત કરવાથી દુઃખતું હોય, તો પંદર મિનિટ કસરત કરવી.

            *કોઈપણ નવી આદત કેળવવા કે છોડવા માટે શરૂઆત નાના પાયે કરવી "અમેરિકન નેવીમાં એક કહેવત છે...  Eat the elephant one bite at a time."*

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 11, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૪

 

                "લોકો ખુદની પ્રશંસા તો કરે જ છે, પોતાનાં સંતાનોનાં પણ ખોબલા ખોબલા ભરીને વખાણ કેમ કરતા હશે?"

            પેરેન્ટ્સ બાળકોનાં વખાણ બે રીતે કરે છે; એક, તેમની સામે, તેમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવા માટે, અને બે, બીજા લોકોની સામે, ખુદનું આત્મસન્માન વધારવા માટે. આધુનિક ચાઈલ્ડ સાઈકોલોજીના અભ્યાસો કહે છે કે બાળકોની તારીફ કરવી એ સૌથી શ્રેષ્ઠ મોટિવેશન છે. બાળકોને તેનાથી સાબિતી મળે છે કે હું બરાબર કરી રહ્યું છું. નુકસાન ત્યારે થાય જ્યારે લાગણીમાં અંધ બનીને અતિપ્રશંસા થાય. પેરેન્ટ્સ બીજા લોકો પાસે તેમનાં બાળકોનાં વખાણ કરે એમાં કોમ્પિટિશનની ભાવના હોય છે. પેરેન્ટ્સ સબકોન્સિયસ સ્તરે સભાન હોય છે કે બીજાં પેરેન્ટ્સ તેમનાં સંતાનોને નીરખે છે અને સરખામણી કરે છે. એટલે બીજાં પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ તેમનાં બાળકો કેટલાં સરસ અને હોંશિયાર છે. તે કહેવાનું ચૂકતાં નથી. મનુષ્યો જન્મજાત કોમ્પિટિટિવ અને કમ્પેરેટિવ હોય છે. સ્ત્રીઓ જેમ "મેરી સાડી ઉસકી સાડી સે સફેદ" કરે, તેવું જ પેરેન્ટ્સ બાળકો માટે કરે. બીજું, બાળક પેરેન્ટ્સનું જ એક્સટેન્શન હોય છે. બાળકનાં વખાણમાં પણ ખુદનાં જ વખાણ હોય છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 4, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૩

The 48 Laws of Powerમાંથી પાવરફૂલ lessons 

1. તમે જ્યારે દુનિયા સમક્ષ તમારી ટેલેન્ટનું પ્રદર્શન કરો, ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા લોકોમાં વિરોધ, ઈર્ષ્યા, અસલામતી જેવા ભાવ પેદા થાય...બીજા લોકોની તુચ્છ ભાવનાઓની ચિંતામાં જીવન વ્યતિત ન કરવું. 

2. તમે જ્યારે બોલીને બીજા લોકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરો ત્યારે, તમે જેટલું વધુ બોલો એટલા તમે વધુ બેવકૂફ સાબિત થાવ. તાકાતવર લોકો ઓછું બોલીને ઈમ્પ્રેસ કરે.

3. આત્મવિશ્વાસ ન હોય તો પ્રયાસ જ ન કરવો. તમારો ખચકાટ તમારા વ્યવહારમાં દેખાશે. કરવું હોય તો બોલ્ડ બનીને કરવું. 

4. મિત્રોને મિત્રતા માટે રાખવા, પણ કામ સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે કરવું.

5. બીજા કરતાં વધુ સારા દેખાવાનું જોખમી છે, પણ વધુ જોખમી તો કોઈ ત્રુટી કે કમજોરી ન હોય તેવો દેખાવ કરવાનું છે. અદેખાઈ દુશ્મનો પેદા કરે છે. પ્રસંગોપાત કચાશ બતાવવી અને નિર્દોષ ખરાબીઓનું પ્રદર્શન કરવું. 

6. સમાજ માથે મારે તેવું જીવન ન જીવો. સ્વતંત્ર આઇડેન્ટિટી ઉભી કરો. બીજા નક્કી કરે તેને બદલે તમારી ઇમેજના માસ્ટર તમે બનો.

7. તમને જે ગમે તેવું જ વિચારો, પણ વર્તન બીજાને ગમે તેવું કરો.

8. લોકો ખુદને અને તેમના જીવનને આકર્ષક રીતે પેશ કરે તેનાથી ભરમાવું નહીં. તેમની અધુરપો, કમજોરીઓ શોધો.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, November 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૨

        

        કોઈ આપણને પોતાની અંગત વાત કરે ત્યારે તે આપણાં પર વિશ્વાસ મૂકીને એ વાત કરતા હોય, આવી વાતને પોતાના સુધી જ રાખવી ખુબ જરૂરી છે. બીજાની ગરિમા સાચવવી એ આપણા પોતાના મૂલ્યોનું પ્રતિનિધિત્વ છે. જે લોકો પોતાના જીવન જેટલું જ બીજા ના જીવનને મહત્વ આપતા હોય તે હંમેશા બીજાની અંગત વાતો પોતા સુધીજ રાખતા હોય છે. 

        કેટલીકવાર, આપણે કોઈ વ્યક્તિ વિશે કંઈક જાણતા હોઈએ જે તેમણે બીજા કોઈ પાસે જાહેર કર્યું ના હોય. ખબર હોય કે આ વાત કોઈને કહેવાની નથી છતાં  જાણતા અજાણતા બીજા સુધી પહોંચાડી દેતા હોય છે. ઘણીવાર તો ફક્ત પોતાના રોમાંચ માટે કોઈની અંગત વાત  સમાચારની માફક બધે ફેરવી દેતા હોય. જયારે આવુ કોઇ કરે ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે આ કરવાથી કોઈકનું આત્માસન્માન ઘવાય છે અને સાથે તેમનું જીવન પણ મુશ્કેલ બનાવી રહ્યા છે. કોઈ વ્યક્તિની અંગત વાત જયારે જાહેર થાય ત્યારે તેમની સંવેદનશીલતા પર ઘા લાગે છે. અને તેઓ ભાવનાત્મક રીતે ખુલ્લા પડી ગયા નો અનુભવ કરે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.

        દરેક વ્યક્તિની જીવનકથાનુ મૂલ્ય સાચવવુ જોઈએ.  બીજાના આત્મસન્માનને જયારે આપણે જાળવીએ છીએ ત્યારે આપણે આપણા મૂલ્યો માં ઉમેરો કરીએ છીએ.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, November 20, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૧

 

           ગઈકાલ માં એક વિધાન હતું. "મિત્રોને મિત્રતા માટે રાખવા, પણ કામ સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે જ કરવું." એક મિત્ર પૂછે છે કે આવું કેમ? એમાં એવો ભાવ અભિપ્રેત છે કે, મિત્રતા અને કામ જયારે ભેગાં થાય ત્યારે નિષ્પક્ષતા જોખમમાં મુકાઈ જાય. કોઈપણ કામમાં સફળ થવા માટે, એ કામ બરાબર થઇ રહ્યું છે કે નહીં, આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ કે નહીં, એ કામમાં સહયોગ આપી રહેલા લોકો તેને યોગ્ય રીતે પાર પાડી શકશે કે નહીં તેની સમય-સમય પર તટસ્થ સમીક્ષા કરતા પડે. મિત્રતા હોવાના કારણે એવી પ્રામાણિક સમીક્ષા મુશ્કેલ થઈ જાય છે. 

        કાં તો આપણે મિત્રતાની લાગણીમાં તણાઈને નીરક્ષીર વિવેક ગુમાવી દઈએ, અથવા, બે આંખની શરમના કારણે મિત્રની ભૂલ દેખાતી હોય તો પણ બતાવી ન શકીએ. બેઝિકલી, એમાં હિતોનો ટકરાવ ઉભો થાય; એક તરફ મિત્રતા છે અને બીજી તરફ કામ. કોનું રક્ષણ કરવું? સલીમ ખાન અને જાવેદ અખ્તર બંને કુશળ હતાં, પરંતુ 15 વર્ષ પછી કડવાહટ સાથે છૂટા પડ્યા તેમાં દોસ્તી આડી આવી હતી. મિત્રતા બાંધછોડ પર નિર્ભર હોય. કામમાં જે સૌથી શ્રેષ્ઠ હોય તેની જ પ્રાથમિકતા હોય. મિત્રતાનો આધાર લાગણીઓ હોય, કામ લક્ષ્ય આધારિત હોય. મિત્રતામાં "સારું" લાગે તેવું કરવાનું હોય,કામમાં "સાચું" હોય તે કરવાનું હોય છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, November 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૦

        સાચું ક્યારેક ક્યારેક એટલું કડવું હોય છે ને કે જો તમે ભૂલથી બોલી જાઓ તો કેટલાક સંબંધ તૂટી જાય છે અથવા બગડી જાય છે અને જો એ સાચું ના કહેવામાં આવે તો મન ઘૂંટાય છે..મન માં દબાયેલી વાતો ઝેર નું રૂપ ધારણ કરે છે અને સ્વયં ને મારવા આવે છે.. રોજ થોડું થોડું મરવું એના કરતા એ સંબંધ ને છોડી દેવો..કેટલીક વખત આપણને આવા સવાલો નો સામનો કરવો પડે છે.

        પણ જો સાચું બોલવા માત્ર થી જે આપડી જોડે સંબંધ તોડી નાખે તો હકીકત માં સંબંધ જ જુઠ્ઠો ને ખોટો હોય છે. જે સંબંધ માત્ર સાચું બોલવા થી તૂટી થઈ જાય તો એ જુઠ ની બુનિયાદ પર ટકેલો સંબંધ કેટલો અંશે વ્યાજબી ગણાય..

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Thursday, November 10, 2022

નાનાભાઈ ભટ્ટ વંદના

 

ૠષિતુલ્યકેળવણીકારનાનાભાઈભટ્ટની જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં શત શત વંદન...

            ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્વમાં બાળ-કેળવણી અને કૌશલ્ય વર્ધક કેળવણી જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કરનાર આપણા ગરવા ગુજરાતી સ્વ શ્રી નૃસિંહપ્રસાદ ભટ્ટ કે જેઓ નાનાભાઈ ના નામથી ઓળખાય છે, આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમના ચરણોમાં શત શત વંદન કરીએ. પોતાનું સમગ્ર જીવન જેમણે શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમર્પિત કરીને વર્ષો પહેલા છાત્રાલય વાળી સંસ્થાઓ ઊભી કરી અને એ સંસ્થાઓને ઉમદા આદર્શ સાથે નિષ્ઠાપૂર્વક ચલાવી. ભાવનગર શહેરમાં આવેલી દક્ષિણામૂર્તિ વિધાર્થી વિધાભવન, ત્યારબાદ આંબલા ખાતે ગ્રામ-દક્ષિણામૂર્તિ અને છેલ્લે ઉંમરના સાતમા દાયકામાં જ્યારે સામાન્યપણે માણસો આરામ, વિશ્રામ અને ભક્તિભાવ તરફ નજર ફેરવે છે, એવા આ પડાવમાં નાનાભાઈ ભટ્ટ સણોસરાની પવિત્ર ધરતી પર લોકભારતી ગ્રામ વિધાપીઠની સ્થાપના કરે છે. મનુભાઈ પંચોળી જેવા સમર્થ કેળવણીકારને સાથે જોડીને નાનાભાઈ સણોસરા ખાતે ગાંધીજીની નઈ-તાલીમને સાક્ષાત સાકર કરી બતાવે છે. આ સંસ્થા આજે પણ ૭૫ વર્ષ પછી અડીખમ ઊભી છે, નાનાભાઈના સ્વપ્નોને સાકર કરતી. આવા પ્રયત્નોને વંદન અને પ્રયત્ન કરનારને શત શત નમન.

♀      નાનાભાઈ ભટ્ટના કેળવણી વિષયક વિચારો

♂      આપણાથી કોઇને પણ ભય રહે તો આપણે કેળવણીના ક્ષેત્રમાં રહેવાને લાયક નથી, આપણી ઉપાસના                   તો નિર્ભયતા પેદા કરવાની છે.
♂      પરિગ્રહ માણસને પાડતો નથી પણ પરિગ્રહમાં રહેલી આસક્તિ માણસને પાડે છે.

♂      જીવન એટલે જ કેળવણી અને કેળવણી એટલે જ જીવન.

♂      શિક્ષનો સાચો હેતુ તો ભણનારને સમાજ સાથે જોડવાનો છે.

♂      બાળકો તો રમશે, કૂદશે અને તોફાન પણ કરશે, પણ એટલા માત્રથી એમને મારવા યોગ્ય નથી.

♂      આપણા શિક્ષણશાસ્ત્રીઓએ એમના દર્શનને સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિની તટસ્થતા સાથે                            મૂલવવું જોઈએ.

♂      વિધાને શીલ અને ચારિત્ર્ય સાથે સંબંધ ન હોય તો વિધા વાંજણી રહે છે. શીલ વિના તો વિધા લેનાર                           માણસ બ્રહ્મરાક્ષસ બને છે.

♂       શિક્ષકની ચાર સંપત્તિઓ છે : શીલ, સદવિધા, વિધાર્થી પર પ્રેમ અને ઉત્પાદક શ્રમ.


    ભારતમાં અધ્યયન અને અધ્યાપનનો સનાતન આદર્શને જીવતો રાખવાનો ભાર જેમના શિરે હતો અને જેઓ પ્રાચીન આદર્શ અને નવી આશાઓ એમ બંનેનો સમન્વય કરી જાણતા હતા તેવા સમર્થ શિક્ષણ-શાસ્ત્રીઓમાંના એક પ્રતિનિધિ નાનાભાઈ ભટ્ટ હતા.-કાકાસાહેબ કાલેલકર

(સંદર્ભ-કેળવણીની પગદંડી, લેખક-નાનાભાઈ ભટ્ટ માંથી સાભાર)

Sunday, November 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૯

 

         "પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ 12-15 વર્ષની ઉંમરે છોકરાં જીવવા, મરવા, ભાગવા સુધીનાં પગલાં લેતાં જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે આટલી નાની ઉંમરે બાળકો કઈ રીતે યોગ્ય પાત્રની પસંદગી કરી શકે? માતાપિતાએ કેવી સમજણ આપવી જોઈએ જેથી  હાર્મોનલ ચેન્જીસ વખતે પણ બાળકો યોગ્ય નિણર્ય લઈ શકે?"

        આપણે સ્કૂલમાં ભાષા, સમાજીકતા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા કે કવિતા ભણાવી શકતા હોઈએ, તો પ્રેમના પાઠ કેમ નહીં? આપણી પાસે એન્જીનિયરિંગ કે મેડિકલની આંટીઘૂંટીઓ ભણવાની વ્યવસ્થા હોય, તો પછી ક્યારે અને કોની સાથે લગ્ન કરવું તે જાણવા-સમજવાની કોઈ વ્યવસ્થા કેમ નથી? આપણે વયસ્ક થતા સંતાનને વ્યવસાય શું પસંદ કરવો કે ફાયનાન્સ કેવી રીતે સંભાળવું તે શીખવાડીએ તો પછી સંબંધો વિશે કેમ ના ભણાવી શકીએ? 

        જીવનનો આ સૌથી અગત્યનો નિર્ણય આપણે શરીરની બાયોલોજી પર છોડી દીધો છે. આપણો આ નિર્ણય ટ્રાયલ એન્ડ એરર આધારિત હોય છે. એના માટે તો ઔપચારિક ભણતરની પણ જરૂર નથી હોતી, પેરેન્ટ્સ પાસે તેનો અનુભવ હોય છે. બાળક મોટું થતું હોય ત્યારે તેઓ ડિઝાયર, હોર્મોન, ઇમોશન, ઇન્ટિમસીની જટિલતાઓ વિશે સમજ આપી શકે છે. આપણો આ નિર્ણય ટ્રાયલ એન્ડ એરર આધારિત હોય છે. એના માટે તો ઔપચારિક ભણતરની પણ જરૂર નથી હોતી, પેરેન્ટ્સ પાસે તેનો અનુભવ હોય છે. બાળક મોટું થતું હોય ત્યારે તેઓ ડિઝાયર, હોર્મોન, ઇમોશન, ઇન્ટિમસીની જટિલતાઓ વિશે સમજ આપી શકે છે. 

        મોટાભાગના પેરેન્ટ્સની સમસ્યા એ છે કે તેઓ પોતે જ કમ્ફર્ટેબલ નથી હોતાં, કારણ કે તેમનાં પેરેન્ટ્સ પણ નહોતાં. આ  સાઇકલ તોડવાની જરૂર છે. પૈસા કેમ કમાવા એ શીખવાડવાનું જેટલું અગત્યનું છે, તેટલું જ અગત્યનું પ્રેમ કરવાનું (રાધર, પ્રેમ કોને અને ક્યારે નહીં કરવાનું) શીખવાડવાનું છે. મોટાભાગનાં પેરેન્ટ્સ એ હકીકતથી પણ સભાન નથી કે બાળકો બહુ વહેલાં મેચ્યોર થાય છે. પેરેન્ટ્સ સંતાનોમાં આવતાં ડિઝાયરનાં પૂરને રોકી ન શકે, પણ એમાંથી કેવી રીતે સફળતાપૂર્વક જીવનનું નેવિગેશન કરવું તે ચોક્કસ શીખવી શકે, શરત એટલી જ કે તેમણે વાસ્તવિક, પ્રામાણિક અને વિશ્વસનીય અભિગમ રાખવો પડે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 23, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૮

 

        કલ્પનાશીલતા અને સર્જનશીલતામાં ફરક છે. કલ્પના એટલે વિચાર, અને સર્જન એટલે તે વિચારનો અમલ. સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. બહુ લોકોને બહુ ખયાલો આવે, પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. કલ્પનાશીલતા એટલે માટીનો લોંદો. સર્જનશીલતા એટલે તેને આકાર આપવો તે. ઘણાં પ્રાણીમાં કલ્પનાશક્તિ હોય છે. અભ્યાસમાં પુરવાર થયું છે કે કૂતરાંને પણ સપનાં આવે છે, પરંતુ માત્ર માણસો જ તેમનાં સપનાં પર આચરણ કરી શકે છે, કારણ કે માત્ર માણસમાં સર્જનની ક્ષમતા છે. એટલા માટે માણસોની સર્જનશીલતાને ક્રિએટિવ ઈમેજીનેશ અથવા ક્રિએટિવ આર્ટ કહેવાય છે. જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે, તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય, અને શાનદાર કલ્પના તેના અમલ વગર તરંગ જ કહેવાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 16, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૭

 

        બૌદ્ધિક એટલે જે બુદ્ધિ, વિવેક અથવા તર્કશક્તિનો ઉપયોગ કરે છે તે, પરંતુ એવી કઇ વ્યક્તિ હોય જે બુદ્ધિનો ઉપયોગ ના કરતી હોય? તમામ વ્યક્તિ વધતા ઓછા અંશે બૌદ્ધિક ના કહેવાય? અસલમાં બૌદ્ધિક એટલે જેનામાં જિજ્ઞાસા હોય, જેને જીવન વિશે અને જીવન સાથે સંકળાયેલી બાબતો વિશે પ્રશ્નો થાય, જેનામાં દરેક બાબત (રિપીટ- દરેક બાબત)ને સમજવાની ધગશ હોય, સાધારણ લોકો જેની ઉપેક્ષા કરે તેવી જટિલ બાબતોને જે બોધગમ્ય બનાવે, જે સમસ્યાઓનાં સમાધાન શોધે,જે પોતાની અને બીજાઓની અજ્ઞાનતાથી સભાન હોય અને તેને દૂર કરવા નિયમિત પ્રયાસ કરે તેને બૌદ્ધિક કહેવાય. 

        બૌદ્ધિક એટલે એક એવો સ્પાર્ક, જે અચાનક દેખા દે અને આપણને ચકાચાંધ કરીને ઠરી ન જાય, પણ જે સૂરજની માફક સતત સળગતો રહીને આપણને ઉજાશ અને ઉષ્મા આપ્યા કરે. બૌદ્ધિક એક મેરેથોન રનરની માફક લાંબા અંતર સુધી ટકી રહે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Friday, October 14, 2022

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના


 

        લોકભારતીગ્રામ્યવિદ્યાપીઠસણોસરા ના આદ્ય પ્રણેતા અને સહ સંસ્થાપક ઉત્તમ નવલકથાકાર તેમજ કેળવણીકાર મનુદાદા પંચોળી ઊર્ફે દર્શકદાદાને જન્મજયંતિ પર શત શત વંદન. શ્રી મનુભાઈ પંચોળી ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ ઇતિહાસવિદ, ઉત્તમોત્તમ શિક્ષક, વિશ્વસહિત્યના ઉત્તમ મરમી, ઉત્તમ ખેડૂત, ઉત્તમ સર્જક-ચિંતક, ગાંધી-વિચારના ઉત્તમ પરિશીલનકર્તા, નખશીખ પ્રામાણિક રાજનીતિજ્ઞ, સમાજવાદી, નઈ તાલીમ-નવ નિધાનના પૂજક તથા પ્રણેતા, ગ્રામીણ અર્થકારણના તજજ્ઞ. એમના કેટલાક અવતરણો.. 

        શિક્ષણનું કામ માનવીને બેઠો કરવાનું અને બેઠો હોય તો ઉભો કરવાનું અને ઉભો હોય તો દોડતો કરવાનું છે એ સાથે જ જે સમાજ પોતાના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરતો નથી એ સમાજમાં લોકોને કોર્ટ અને લશ્કર માટે વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.

        ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીયે તો નાનાભાઈ ભટ્ટ નસીબદાર કે એમને દર્શક મળ્યા. જોન ધ બાપ્ટિસ્ટની જેમ નાનાભાઈ કહેવામાં ગર્વ લેતા કે જે મારી પાછળ આવે છે તેના જોડાની વાધરી છોડવાની પણ મારી લાયકાત નથી. નાનાભાઈના વાત્સલ્ય થકી આવતાનાં એંધાણ પારખતી ઉમંગભરી ઉદારતાએ દર્શકને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 

       ગામડાની અભણ સ્ત્રી પુરીબાઈથી માંડીને મહાત્મા ટોલ્સ્ટોય, ખેતરથી માંડીને સંસદ, ગ્રામદક્ષિણામૂર્તિના અદના વિધાર્થીથી માંડીને ખલીલ જિબ્રાન, નવજીવનથી માંડીને મૃત્યુ, વિશ્વસમસ્તના મહાપુરુષો, સંતો, ચિંતકો, લેખકો પર વિષદપણે મનનપૂર્ણ ચર્ચા વિચારણા અને આલેખન કરનાર આપણા દર્શક તો સમકાલીન જગતને તોડનાર અને ધારણ કરનાર મૂલ્યોની ઝીણી સૂઝ મેળવવાને પરિણામે એક સાચા જગતનાગરિક બન્યા છે. જય હો લોકભારતીની ધન્ય ધન્ય ધરાની...

( પરિચય સંદર્ભ:મનીષીની સ્નેહધારા માંથી સાભાર )

Sunday, October 9, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૬

     

માણસો વિચારો કરીને પરેશાન રહે છે તેનું  કારણ એ છે કે તેમનું મન પરસ્પર વિરોધી વિચારોને પ્રોસેસ નથી કરી શકતું. સામાન્ય રીતે, મનની અસલી પ્રકૃતિ દ્વૈત (સારું અને ખરાબ)ની છે. આપણે કોન્સિયસ સ્તરે અને અનકોન્સિયસ સ્તરે જુદી અને ક્યારેક વિરોધી રીતે વિચારીએ છીએ. આપણે જ્યારે એ વિરોધીતામાંથી કોઈ એકને પસંદ કરવા માટે બીજાનો ઇન્કાર કરીએ છીએ ત્યારે વૈચારિક સંઘર્ષ સર્જાય છે. દાખલા તરીકે, તમે મૂર્તિપૂજામાં નથી માનતા પરંતુ પરિવારના બીજા લોકો માટે થઈને તમારે કોઈ વિધિ કરવી પડે, તો તમને આકરું લાગવા માંડે છે. આપણે રોજ અનેક વિસંગત વિચારોનો સામનો કરતા હોઈએ છે. આપણા બુનિયાદી મૂલ્યોને સાચવી રાખીને આપણે જો વિરોધાભાસોને પ્રોસેસ કરી શકીએ તો પરેશાની ઓછી થાય છે. આપણી ઉર્જા વિચારોમાં નહીં, આ સંઘર્ષમાં ખર્ચાય છે એટલે તે સ્ટ્રેસ પેદા કરે છે. ડાહ્યો માણસ બે પરસ્પર વિરોધી સત્ય વચ્ચે સંતુલન જાળવી રાખીને પોતાને ગબડી જવા ન દે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૫

 

    વ્યગ્રતા (ઍંગ્ઝાયટિ) ત્યારે આવે જ્યારે મનની અભિવ્યક્તિ અને એક્શનના રસ્તા બંધ હોય. આપણને જ્યારે કોઈક બાબત કોરી ખાતી હોય અને આપણે એમાં કશું જ કરી ન શકીએ, ત્યારે તે ઍંગ્ઝાયટિમાં તબદીલ થઈ જાય. સાધારણ માણસોની સરખામણીમાં લેખકો અને કલાકારો તેમની ઍંગ્ઝાયટિને વધુ સારી રીતે પ્રોસેસ એટલા માટે કરી શકે છે કેમ કે તેમની પાસે સાર્થક અભિવ્યક્તિના ઉપાયો છે. આપણે કોઇપણ રીતે, લખી-બોલીને કે કશું કામ કરીને, જો મનને પ્રોડકટિવ બનાવીએ તો ઍંગ્ઝાયટિની તીવ્રતા ઘટી જાય છે. ઍંગ્ઝાયટિ એ મનનું ઓવરથિન્કિંગ છે. એ ઉર્જાને જો કોઈ કામમાં વાળવામાં આવે તો મન પાસે વિચારો કર્યા કરવાની નવરાશ નથી હોતી. એટલા માટે એક ખેડૂત કે મોચીને ઍંગ્ઝાયટિ જેટલી નથી સતાવતી તેટલી સુખી લોકોને સતાવે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, September 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૪


        મોટાભાગના વાચકો પુસ્તક વાંચતી વખતે લેખકના લખાણને નહીં, પોતાના અર્થઘટનને વાંચે છે, અને તે પ્રોસેસમાં અસલ લખાણનો ઉદેશ્ય ખોવાઈ જાય છે. આપણું મન સતત અર્થઘટન કરતું હોય છે; આ બરાબર છે, આ બરાબર નથી. આ આવું નહીં, પણ તેવું હોવું જોઈએ. હું સહમત છું, હું સહમત નથી. આપણે એ જ 'વાંચીએ' છીએ, જે આપણી અંદર અગાઉથી મોજૂદ છે. આપણે આપણને જ વાંચીએ છીએ. શ્રેષ્ઠ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, September 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૩

 વહેલાં શીખવા જેવી સાત બાબતો....

1. આપણે જેટલું ધારીએ છીએ એટલું લોકો આપણા વિશે નથી વિચારતા.

2. દોષારોપણ સૌથી વ્યર્થ પ્રવૃત્તિ છે. 

3. આપણા વિચારોની ગુણવત્તા પરથી જીવનની ગુણવત્તા નક્કી થાય છે. 

4. જે ચીજ સાર્થક છે તે સરળ નથી, અને જે સરળ છે તે સાર્થક નથી. 

5. આપણને એટલા જ પ્રમાણમાં પ્રેમ મળે, જેટલા પ્રમાણમાં કષ્ટ સહન કરવાની તૈયારી હોય. 

6. આપણે ખુદનું જેટલું સન્માન કરીએ, લોકો એટલું જ સન્માન આપણને આપે.

7. અભિપ્રાય બાંધવામાં ઉતાવળ ન કરવી. દરેક વ્યક્તિ તેની સમજણ પ્રમાણે બનતા પ્રયાસ કરે છે.


(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓ માંથી સાભાર)

Monday, September 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૨

         

        બે દુઃખી બે વ્યક્તિઓ ભેગી થાય, તો તે એકબીજાને દુઃખી કરે, કારણ કે બંને એકબીજામાં 'પોતાનું' સુખ શોધતી હોય છે. બે વ્યક્તિઓ જ્યારે પોતાનાં સુખની તલાશ કરતી હોય, ત્યારે તે સંઘર્ષ પેદા કરે, કારણ કે તેમનું ફોકસ પોતાના પર હોય, સામેની વ્યક્તિ પર નહીં. સુખી વ્યક્તિઓ સંબંધ કેળવે ત્યારે તે એકબીજાને સુખ આપે, કારણ કે તેમનું ફોકસ 'પોતાનું' સુખ મેળવવા પર નહીં, પોતાની પાસે જે સુખ છે તે 'બીજી' વ્યક્તિને વહેંચવા પર હોય. સંબંધોમાંથી સુખ મળે છે તે વાત મિથ છે. કોઈ કોઈને સુખી ન કરી શકે, જો તે સ્વતંત્ર રીતે સુખી ન હોય. 

       સંબંધમાં આપણે એ જ ઓફર કરીએ છીએ, જે આપણી પાસે હોય છે. વિમાનમાં ઇમરજન્સીમાં સહપ્રવાસીનો જીવ બચાવતા પહેલાં ઓકિસજન માસ્ક પહેરી લેવો. કેમ? તમે જીવતા હશો તો મદદ કરી શકશો ને! એટલે પહેલાં ખૂદનો જીવ બચાવો. સુખ પણ ઓકિસજન માસ્ક જ છે. પહેલાં જાતે પહેરવો પડે.

Sunday, September 4, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૧

         

        આપણી બુદ્ધિ જો આપણા અંગત જીવનની મુસીબતોને ઉકેલવામાં કામ ન આવતી હોય, તો તે બુદ્ધિનું પ્રદર્શન સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે; માનસિક પ્લેઝર. જેમ કાનમાં આંગળી નાખવાની મઝા આવે, તેવી રીતે લોકોને જ્ઞાન બતાવતા રહેવાથી મગજમાં ઉત્તેજના અનુભવાય. ઘણા લોકો braingasm મેળવવા માટે જ ચર્ચાઓ કરતા હોય છે. 

        તેનાથી ઈગો સંતોષાય. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે બીજાની સામે છાકો પાડી દેવા માટે બુદ્ધિ બતાવીએ, તો તેને બૌદ્ધિક ગલલિયાં કહેવાય, પણ બુદ્ધિની સચ્ચાઈની અસલી કસોટી એ અંગત જીવનની આપણી ત્રુટીઓને સાંધવામાં કેટલી ઉપયોગી છે તેના પરથી નક્કી થાય છે. એટલા માટે, જે લોકો દેશ-દુનિયાની મુસીબતોના ઉકેલ બતાવતા ફરે છે, તેમને પૂછવું જોઈએ કે તેમણે તેમના જ્ઞાનનો સહારો લઈને તેમની કેટલી અંગત મુસીબતો હલ કરી છે.


Sunday, August 28, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૦

         

        શીખવાનો અર્થ એ નથી કે આપણે જ્ઞાની થઈ ગયા. શીખવાનો અર્થ અજ્ઞાન થોડું ઓછું થયું એવો થાય. જ્ઞાનની કોઇ સીમા નથી. આપણે જેટલું શીખીએ છીએ, તેટલું એ અંતર ઓછું થાય છે, પણ ત્યાં સુધીમાં જ્ઞાનની સરહદ વિસ્તરી ચુકી હોય છે. દુનિયા એટલી મોટી અને સતત પરિવર્તનશીલ છે કે આપણે અજ્ઞાનથી જ્ઞાન તરફ નહીં, પણ અજ્ઞાનથી ઓછા અજ્ઞાન તરફ જઈએ છીએ. 

        આપણે ગમે તેટલું જ્ઞાન મેળવી લઈએ, થોડું અજ્ઞાન તો રહી જ જાય છે. એટલા માટે, આપણે જે પણ શીખીએ છીએ તેને તરત જીવનમાં લાગુ કરી દેવું જોઈએ, જેથી એ કામનું છે કે નકામું તેની સમજ પડે, અને આપણે પાછા શીખવાની પ્રક્રિયામાં લાગી જઈએ. બૌદ્ધિક વિનમ્રતાનો અર્થ જ એવો સ્વીકાર છે કે જ્ઞાનની સરખામણીમાં અજ્ઞાન હંમેશા વિશાળ હોય છે.

Sunday, August 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૯

     

    અર્થવ્યવસ્થા માત્ર જનકલ્યાણ માટે નથી. એ રાજકીય તાકાત પણ છે. દરેક સરકાર તેની તાકાત બરકરાર રાખવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેના હાથમાં અર્થવ્યવસ્થા હોય, તેના હાથમાં રાજકીય તાકાત હોય છે. એટલા માટે સરકાર બહુમતી સમાજ પાસેથી આર્થિક તાકાત છીનવી લઈને તેના માનીતા-પાળેલા મુઠ્ઠીભર લોકોને સમૃદ્ધ બનાવે છે, જેથી રાજકીય તાકાત સીમિત હાથોમાં સલામત રહે. આને ક્રોની-કેપિટાલિઝમ કહે છે. 

        સમાજમાં વધુને વધુ અસમાનતા હોય, બે ટંક ભેગી કરવાનો સંઘર્ષ હોય અને લાગણીઓમાં ખેંચાઈ જવાય તેવી 'સમસ્યાઓ' હોય, તો તે સમાજને દબાયેલો રાખવાનું આસાન રહે છે. એટલા માટે સરમુખત્યારશાહી અને ગરીબી સાથે-સાથે જ ઉછરે છે. સુખી અને સશક્ત સમાજ આંખો બતાવે એ સરકારને ન પોષાય. સરકાર લોકોનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે એ ભ્રમ છે. એવું હોત તો અમુક સમસ્યાઓ ક્યારનીય ઉકેલાઈ ગઈ હોત.


Sunday, August 14, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૮

કોઈ મેસેજમાં જૂઠ બોલે છે તેના 10 સંકેત.

1. તરત જવાબ ન આપે. અનુકૂળ જવાબ ગોઠવવામાં સમય લે.

2. સરળ અને સીધા સવાલના જવાબમાં લાંબા અને જટિલ વાક્યો લખે.

3. વાત બદલી નાખે. તેને અનુકૂળ હોય તેવી ચર્ચામાં તમને લઈ જાય.

4. તમને જટિલ પ્રતિ પ્રશ્નો પૂછે. 

5. અચાનક ચર્ચા અટકાવી દે. ચાલુ વાતે 'મારે કામ છે' કહીને છૂ થઈ જાય.

6. ભાષામાં લાગણીવેડા વધુ હોય. જૂઠી વ્યક્તિ પોતાની વાત મનાવવા માટે વધુ પડતી લાગણીસભર વાતો કરે.

7. વધુ પડતી પોલિશ્ડ વાતો કરે. જૂઠી વ્યક્તિના શબ્દો, વાક્યો અતિશય 'સારાં' લાગે, તો માનવું કે તે નકલી છે.

 8. તેની વાતોમાં ફરિયાદનો સૂર વધુ હોય. તે કોઈને ને કોઈને દોષિત ઠેરવે.

9. એક મિનિટ પહેલાં કે એક દિવસ પહેલાં કરેલી વાતમાં પણ ફરક આવતો હોય.

10. ગટ ફીલિંગ. નિયમિત રીતે વાતો કરો, તો તમારી અંદર એક ગટ ફીલિંગ કેળવાય , જે તમને સામેની વ્યક્તિ વિશે એક્યુરેટ સંકેત આપે.

Sunday, August 7, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૭

       

         માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પ્રતિકૂળ તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. પોતાના પૂર્વગ્રહોને સમજવા અઘરા હોય છે એટલું જ નહીં, પૂર્વગ્રહોથી બચવું પણ અસંભવ છે. આપણું મગજ રોજેરોજ અંદર આવતી જથ્થાબંધ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા સક્ષમ નથી, એટલે તે સિલેક્ટિવલી એવી ઇન્ફોર્મેશનને જાળવી રાખે છે જેનાથી તેને 'સારું' લાગે. આપણે જ્યારે તથ્યોને બદલે લાગણીઓના આધારે કોઈ મત બંધીએ, ત્યારે તેને મોટિવેશનલ રિજનિંગ કહે છે. 

        સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ-મૈં મૈં અને ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. પૂર્વગ્રહોના પ્રભાવને ઓછો કરવા માટે જ પ્રમાણો આધારિત વિજ્ઞાનનો વિકાસ થયો છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. એવા 'જાણકાર' માણસોને જાણકારી આપવી અઘરી હોય છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન નથી, પણ ખોટી જાણકારી છે.


Sunday, July 31, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૬

        

        અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોના સાક્ષી બનીએ  છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

        બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો- બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા અને તેનું સન્માનના કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને 'અન્યો'માં એવો દુશ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.


Sunday, July 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૫

        આપણે, બુદ્ધિની સરખામણીમાં, લાગણીઓને વધુ મહત્વ આપીએ છીએ. આપણે જન્મથી લાગણીશીલ છીએ, બુદ્ધિશીલ નહીં. બુદ્ધિ કેમ આવી? કારણ કે લાગણીઓ જીવનની જટિલતાને બોધગમ્ય બનાવવામાં નિષ્ફળ જવા લાગી હતી, અને બીજું, માણસમાં લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 

        લાગણીઓ માનસિક વ્યાધિ બની જાય છે એવી સમજ માત્ર માણસમાં જ છે (પ્રાણીઓમાં નથી), અને તે બુદ્ધિનો પ્રતાપ છે. આત્મહત્યા કરનારા 90 પ્રતિશત લોકો ભાવનાત્મક વિકારથી પીડાતા હોય છે. તમે કોઈ તંદુરસ્ત વ્યક્તિને બગીચામાંથી બહાર નીકળીને બાજુમાં રેલવે ટ્રેક પર સુઈ જતી ક્યારેય નહીં જુવો. એની લાગણીઓમાં ગેરવ્યવસ્થા હોય તો જ એ શક્ય છે.  આપણે કરેલો પ્રત્યેક (સારો કે ખોટો) વિચાર તેને સમકક્ષ એક ઇમોશન સર્જે છે: હર્ષ અથવા હતાશા. હતાશામાં વધારો થવા લાગે તો તે ડિપ્રેશન લાવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ લાગણીઓની વિધ્વંસક પ્રકૃતિનું નિયંત્રણ કરવાને કહે છે.

Sunday, July 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૪

        

        તામિલનાડુના થૂથુકુડીમાં રહેતા ડો.અબ્દુલ કલામના ચાહક એવા પોન મરીઅપ્પાને ભણી ગણીને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી પરંતુ નસીબે સાથ ન આપ્યો અને 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છૂટી ગયો.

        મરીઅપ્પા ભણવાનું છોડીને મજૂરીએ લાગી ગયા. 18 વર્ષ મજૂરી કરીને જે બચત ભેગી થઈ એમાંથી એક હેર કટિંગ સલૂન બનાવ્યું. સલૂનમાં વાળ કપાવવા માટે આવતા યુવાનો એનો વારો આવવાની રાહ જોતા હોય ત્યારે કાંતો પોતાના મોબાઈલમાં લાગેલા હોય અને કાંતો સલૂનમાં રાખેલ ટીવી જોતા હોય. મરીઅપ્પાને આ દ્રશ્યો જોઈને બહુ દુઃખ થતું. ભગવાને આ યુવાનોને આગળ વધવા માટેની તમામ અનુકૂળતાઓ કરી આપી છે છતાં મોબાઈલ કે ટીવીમાં સમય વેડફે છે.

        એકદિવસ મરીઅપ્પાએ એના સલૂનમાંથી ટીવી કાઢી નાખ્યું અને ટી.વી.ના સ્થાને થોડા મેગેઝીન અને વાંચવા ગમે એવા પુસ્તક રાખી દીધા. પોતાના વારાની રાહ જોતા ગ્રાહકો પૈકી અમુક ગ્રાહકો બેઠા બેઠા પુસ્તકોના પાના ફેરવતા અને વાંચતા આ જોઈને મરીઅપ્પાએ નક્કી કર્યુ કે સલૂનમાં જ એક નાની લાઈબ્રેરી બનાવું.

        શરૂઆતમાં થોડા પુસ્તકો લાવીને ગોઠવ્યા પછી દર મહિને કમાણીમાંથી થોડી રકમ બચાવીને નવા પુસ્તકો ખરીદે. અત્યારે 1000 જેટલા પુસ્તકો ભેગા કર્યા છે. મરીઅપ્પાએ એમના ગ્રાહકો માટે એક સ્કીમ બનાવી છે. જે ગ્રાહક પોતે રાહ જોતા હોય એ સમય દરમ્યાન એને પસંદ પડે એવા પુસ્તકના 10 પાના વાંચે અને જે વાંચ્યું હોય એનો થોડા વાક્યોમાં ટૂંકો સારાંશ ત્યાં રાખેલા ચોપડામાં લખે એ ગ્રાહકને ફીમાં 30% જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું. મરીઅપ્પાના ચોપડામાં 300 કરતા વધુ ગ્રાહકોએ પુસ્તક વાંચીને સારાંશ પણ લખ્યો છે.

        હેર કટિંગ સલૂનમાં તમે ટી.વી.કે ટેપ, ફિલ્મી અભિનેતા કે ક્રિકેટરના પોસ્ટર, જાત-જાતની બ્યુટી પ્રોડક્ટના ડિસ્પ્લે વગેરે જોયું હશે પણ મરીઅપ્પાના સલૂનમાં જ્ઞાનના સમંદર જેવા અનેક પુસ્તકોના દર્શન કરીને આંખોને ટાઢક મળે.ડો.કલામના ચાહક મરીઅપ્પાની ડો.કલામને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે.!

Sunday, July 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૩

        રાજકારણમાં રાજકારણીઓનાં જ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે એવું નથી. રાજકારણીઓના ભક્તો પણ બેવડાં કાટલાં વાપરતા હોય છે. લોકો તેમને ન ગમતા હોય એવા રાજકારણી પાસે તમામ પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોય છે, પણ ગમતા રાજકારણીની ગમે તેટલી અનૈતિકતાને ચલાવી લે છે. 

        જે રાજકારણી ગમતો ન હોય તે પ્રમાણિક કાર્યક્ષમ, બુદ્ધિશાળી હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પણ આપણને ગમતો રાજકારણી ચોર હોય તો આપણે તેને વાલિયા લૂંટારા જેવો સેવાભાવી અને વિરોધીઓના ષડયંત્રનો પીડિત ગણાવીએ છીએ. ભારતમાં સરેરાશ લોકો ભકત માનસિકતાવાળા છે. તેમને રોટી, કપડાં અને મકાન સિવાય ફિકર નથી હોતી. એટલે તે કામના રાજકારણીની ત્રુટીઓને માફ કરી દે છે. આ કારણથી મોટાભાગના રાજકારણીઓ સત્તામાં આવીને ભ્રષ્ટ અને અનૌતિક થઈ જાય તો પણ જનતાને ફરક નથી પડતો કારણ કે જનતા વાલિયા લૂંટારાના પરિવાર જેવી છે: તેમને લૂંટના ભાગથી મતલબ છે, પાપથી નહીં.

        રાજકારણીઓના અનુયાયી બનવું એટલે સ્વેચ્છાએ  વૈચારિક જેલમાં જવા જેવું છે. તમે તેમની વાતમાં એકવાર વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને એવા ગમવા લાગે કે તમને તેની તમામ ત્રુટીઓ દેખાતી બંધ થઈ જાય. 

        તે વ્યક્તિ પછી ધારે તે રીતે તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. એમાં ટ્રેપ એ છે કે, ન તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ બન્યા છો, કે ન તો તમે તમે મુકેલા વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને એ વ્યક્તિ સાથે રહેવું જ પડે. ભક્તિ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય! મોટાભાગના રાજકીય અનુયાયીઓ સિંહ પર બેઠેલા ગધેડા જેવા લાગે છે, કારણ કે બેસતાં પહેલાં તેમને સિંહ ગધેડા જેવો લાગતો હતો.


Sunday, July 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૨

વયસ્ક ઉંમરે નવા દોસ્તો બનાવવા કેમ અઘરા હોય છે? કારણ કે દોસ્ત બનાવવા જેવા ઉત્તમ લોકો દોસ્તીઓ કરવા સિવાયનાં બીજાં સાર્થક કામોમાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે આપણા જીવનની દિશા ગોઠવાઇ ગઈ હોય છે. દોસ્તો બનાવવા માટે નાની ઉંમરે આપણી પાસે જેટલો સમય અને અવસર હોય છે, તેની મોટા થયા પછી અછત સર્જાય છે. બીજું, શરૂમાં કહ્યું તેમ, વયસ્ક વયે દોસ્તીની વ્યાખ્યા બદલાઈ જાય છે. એ ઉંમરે આપણને ચોકલેટ આપે કે સિનેમા જોવા સાથે આવે તેવા દોસ્તોની જરૂર નથી હોતી. ત્યારે આપણને એવા સંબંધોની આવશ્યકતા હોય છે, જેમાં સમજદારી, સન્માન અને બહેતર પ્રગતિની ભાવના હોય. 

આપણે નાના હોઈએ ત્યારે આપણી અંદર બીજા લોકોને અધીન રહેવાની જરૂરિયાત હોય છે. આપણે પરિપક્વ થઈએ પછી ખુદના જીવનને અધીન થઈ જઈએ છીએ. આપણી એ દિશાની બહાર જઈને દોસ્તી કરવી અઘરી હોય છે. એટલા, જે લોકો વયસ્ક વયે દોસ્તીઓની તલાશમાં હોય છે, તે ન તો સાર્થક સંબંધને નસીબ થાય છે કે ન સાર્થક જીવનને.

Sunday, June 26, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૧


જીવનમાં જેમણે ઉત્તમ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં એમના પગ જમીન પર જ હોય એવું જોવા મળે ત્યારે અજુગતું જરૂર લાગે જ. પોતાની વાતો અને પુસ્તકો થકી જેમણે વિશ્વમાં અભૂતપૂર્વ નામના મેળવી છે એવા ઈજરાયેલ દેશના ઉત્તમ ઇતિહાસકાર યુવલ નોઆ હરારી સાથેનો સહજ સંવાદ આપણને જીવનનો ઉત્તમ પાઠ શીખવી જાય છે. 

પ્રશ્ન: સવારે આંખ ખોલીને પહેલું કામ શું કરો છો?

યુવલ નોઆ હરારી: હું મારા શ્વાસ પર અને પુરા શરીરમાં અનુભવાતી સંવેદનાઓ (સેન્સેશન્સ)ને ઓબ્ઝર્વ કરું છું.

પ્રશ્ન: તમને એનર્જી કયાંથી મળે છે?

યુવલ: હું રોજ બે કલાક વિપશ્યના ધ્યાન કરું છું. 

પ્રશ્ન: સરળ જીવનનું રહસ્ય શું છે?

યુવલ: હું વાસ્તવિકતા અને કલ્પનાને છુટા પાડું છું અને વાસ્તવિકતા પ્રમાણે જીવું છું.

પ્રશ્ન: એક પુસ્તક જેણે જીવન બદલી નાખ્યું હોય?

યુવલ: રેને દેકાર્તનું પુસ્તક "ડિસ્કોર્સ ઓન ધ મેથડ" 

પ્રશ્ન: સુઈ જાવ ત્યારે ફોન સાથે રાખો છો?

યુવલ: હું સ્માર્ટફોન નથી વાપરતો. મારા જીવનસાથી પાસે છે એ પૂરતું છે.

પ્રશ્ન: તમને શક્તિ અને શાંતિ આપે તેવું એક વિધાન?

યુવલ: "વાસ્તવિકતાને તે જેવી છે તેવી રીતે જ જુવો, તમને મન થાય તે રીતે અથવા તે કેવી હોવી જોઈએ તે રીતે નહીં."


Sunday, June 19, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૦

 

        સાધારણતા (મીડીઓક્રીટી) બહુમતીમાં હોય છે, જ્યારે અસાધારણતા (એક્સલન્સ) લઘુમતીમાં હોય છે. 90 ટકા લોકો મીડીઓકર હોય છે. તેઓ વ્યક્તિમાં પોતાનું જ રિફલેક્શન જોવાનું પસંદ કરે છે. મીડીઓક્રીટી એટલે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં-મીડીયમ, વચ્ચેનું, મધ્યમ અથવા ચાલે તેવું. 

        એક્સલન્સ એટલે અમુક બાબતો અથવા લોકો  કરતાં ઉપર હોવું, શ્રેષ્ઠ હોવું તે. કોઈ કંપની હોય, સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં મીડીઓકર લોકોની સંખ્યા વધારે જ હોવાની કારણે તેનો મુખ્ય હેતુ બધું સમુસુતરું ચાલતું રહે તેટલા પૂરતો જ હોય છે. મીડીઓક્રીટી વર્તમાનમાં સફળ હોય છે કારણ કે વર્તમાનની જરૂરિયાત કામ થઈ જવા પૂરતી હોય છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતમાં એક્સલન્સની અનિવાર્યતા રહે છે, કારણે બહુમતી લોકોને એ વિશ્વાસ નથી હોતો કે મીડીઓક્રીટીથી ભવિષ્ય બની શકે. સાધારણતા વર્તમાનની વિશેષતા છે, અસાધારણતા ભાવીનો ગુણ છે.

Sunday, June 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૯

        જેને તમારી સામે વાંધો હોય, તેવી વ્યક્તિની એક આવડત જબરદસ્ત હોય, તમે કશું પણ બોલો, એ તમારા જ શબ્દોને ટ્વિસ્ટ કરીને, તમારા પ્રત્યે તેને કેમ નારાજગી છે, તેનો તત્કાળ પુરાવો આપે. નારાજ વ્યક્તિની એક માત્ર જરૂરિયાત તેની નારાજગીને ઉચિત ઠેરવવાની હોય છે, એટલે તેમને તમારી વાતોમાં નહીં, તમને દુઃખી કરવામાં રસ હોય છે. ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો. તેમનો પ્રોબ્લેમ તમે તેમને શું ફીલ કરાવો છો તેનો હોય છે. તેમને એવું લાગે કે તેને કેવું લાગે છે તેની જવાબદારી તમારી છે. આને Sadness Paradox કહે છે. 

        જેમ એક દુઃખી માણસ દુઃખની ઘડીમાં મુકેશ કે દર્દભરે નગ્મે 'એન્જોય' કરે, તેવી રીતે તમારાથી નારાજ વ્યક્તિ જ્યાં સુધી તેની નારાજગી તમારામાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેને સુખ ન મળે. એટલા માટે એક દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિને સહન ન કરી શકે. "પેટનો બાળ્યો ગામ બાળે" કહેવત આવી રીતે આવી છે.


Sunday, June 5, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૮

        

        વિશ્વના કોઈપણ દેશમાં થતી અલગ અલગ પ્રકારની શોધખોળો થકી જ માનવજ જીવન વધારે સુખ-સુવિધા યુક્ત બન્યું છે . અનેક રોગોની નાબૂદી સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે, જીવનધોરણમાં પણ સમયાંતરે સુધારાઓ આવતા જાય છે. આવા સુધારાઓ માટે નિમિત્ત બનનાર સમાજસેવકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ જ્યારે નોબલ પારિતોષિક થકી સન્માનિત થાય ત્યારે એમની ઓળખ વિશિષ્ટ બની જાય છે, વિશ્વ પણ એમને અહોભાવની નજરે નિહાળે છે. 

        આ નોબલ પારિતોષિક મેળવનાર ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે ભારતીય વિભૂતિઓએ પણ કોઈને કોઈ પ્રકારે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ એમની જોઈએ તેવી નોંધ લેવામાં આવ નથી. નોબલ પારિતોષિક માટે પસંદ થયેલા ભારતીય વૈજ્ઞાનિકો જેમને કોઈને કોઈ કારણોસર આ પારિતોષિક મળ્યું નથી પરંતુ તેમનાં જ સંશોધનો પર વિદેશી વૈજ્ઞાનિકોએ નોબલ મેળવ્યા હતા.


1. નારીન્દર સિંઘ કપાની (ઓપ્ટિકલ ફાઇબર)


2. ડો.જી.એન.રામચંદ્રન (પ્રોટીન બંધારણ)


3. સુભાષ મુખોપાધ્યાય (ટેસ્ટટ્યૂબ બેબીના જનક)


4. સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ ગેસ, બોસોન)


5. ડો.ઉપેન્દ્ર બ્રહ્મચારી (બ્લેક ફીવર)


6. ઇ.સી.જી. સુદર્શન (ગ્લોબલ સુદર્શન થિયરી)


7. જગદીશચંદ્ર બોઝ (વાયરલેસ સંદેશાવ્યવહાર)


8. સી.એન.આર.રાવ


9. ડો.હોમી ભાભા (પરમાણું પિતામહ)


10. બીબા ચૌધરી (સબ એટોમિક પાર્ટીકલ)


11.દેબેંદ્ર મોહન બોઝ (ફોટોગ્રાફીક મેથડ પરમાણુ પ્રક્રિયા)


12. મેઘનાદ સહા (સહા આયોનાઇઝેશન ઇકવેશન-સમીકરણ)

Sunday, May 29, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૭

     

        અભિવ્યક્તિની સ્વતંત્રતા જ્ઞાનનો સોર્સ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર અધિકારનો મુદ્દો નથી. એમાં જાણકારી, સમજણ, અભિપ્રાયો, આઇડિયા અને માન્યતાઓની આપ-લે પણ છે. આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાના માધ્યમથી એકબીજાના જ્ઞાનના પરિચયમાં આવીએ છીએ. એક વિચારશીલ સમાજની રચના વિભિન્ન અને ક્યારેક વિરોધાભાસી વિચારોના મેળામાંથી થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે એવું કહેવાનો અર્થ એવો થયો કે વ્યક્તિ પુસ્તક વાંચવાથી બગડી જાય છે. 

        એક ઉત્તમ વાચક ક્યારેય એવું ન કહે કે તેણે ભંગાર પુસ્તકો ક્યારેય નથી વાંચ્યાં. પુસ્તકો પર જો ફિલ્ટર લગાવ્યું હોત તો લોકોમાં મૌલિક વિચારશક્તિ વિકસી ન હોત. અભિવ્યક્તિની સ્વતંત્રતાથી અસત્ય શું છે તે સમજવાની ક્ષમતા પણ વિકસે છે અને છેવટે તેમાં સત્યનું જ કલ્યાણ થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વ્યક્તિ અને એક સમાજની પ્રગતિ સાથે સીધી રીતે જોડાયેલી છે.

Sunday, May 22, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૬

 


        મારી વિચારયાત્રા મારી જીવન યાત્રા બને એ દિશામાં મારા પ્રયત્નો અવિરત પણે ચાલુ રહેવા જોઈએ. માણસ વિચારતો હોય એ પ્રમાણે જીવવામાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શક્ય બને ત્યાં સમાધાનવૃત્તિ સાથે જીવવાની આદત જો હોય તો વિચારો પ્રમાણે જીવી શકાય છે. વારંવાર એવું સાંભળવા કે વાંચવા પણ મળે છે કે જે માણસ વાંચે છે, તે વિચારે છે અને એ જ માણસ એ વિચારો પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરે છે. 

        દરેક વખતે તમે સમાધાન કરવાની ટેવ રાખશો તો પોતાના વિચારોને પકડીને જીવવાનું સરળ બની શકે છે. મને ગમતી બાબતો દરેકને જ ગમતી હોય એવો આગ્રહ રાખવો એ અતિશયોક્તિ ગણાય. જીવન જીવવા માટે દરેકને પોતાના અભિગમ હોય છે. દરેક જણ પોતાના જીવનને ઊત્તમ રીતે જીવવા માગે છે,  પોતાના વિચારોની ઉન્નતિ માટે સારો અનુભવ પણ એટલો જ ઉપયોગી નીવડે છે. નિજાનંદી વ્યક્તિત્વ વિકસાવવા માટે પોતાની સરખામણી બીજા સાથે કરવાની આદત છોડવાની તૈયારી હોય તો જ તમે પોતાના વિચારો પ્રમાણે જીવન જીવી શકો છો. જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ.


Sunday, May 15, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૫

વર્તમાન કોરોના કાળ બાદ જ્યારે પરિસ્થિતિ પૂર્ણ સ્થિર થવા પ્રયત્નશીલ છે ત્યારે એક શિક્ષક તરીકે સતત એ વિચાર આવ્યા કરે છે કે શું શિક્ષણની વ્યાખ્યાઓ બદલાઈ જશે ? સંસ્કાર, વિનય, વિવેક જેવી બાબતો માત્ર માત્ર શાળાઓનો જ ભાગ હતી ? બાળકો સાથેનું વાત્સલ્ય અને પ્રેમ, હૂંફ અને કરુણા જેવા સદગુણો બાળકને માતા-પિતા કરતાં વધારે કોણ સારી રીતે કેળવી શકે ? શિક્ષણમાં  માત્ર ધોરણવાર નક્કી થયેલા અભ્યાસક્રમને ભણાવી દેવાથી બાળક એ વધુ બધું જ ગ્રહણ કરે છે એવી માન્યતા કોણે વિકસાવી ? દરેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે,  સ્વતંત્ર રીતે વિચારી શકે છે ત્યારે તેને પૂરતી મોકળાશ આપવાથી તે સારા નરસાનો ભેદ ભાવ સારી રીતે પારખી શકે છે. માણસ સંપૂર્ણ બને એવી કેળવણીની વાતો સેમિનાર કે ઓનલાઇન સંવાદો જેવા ઘણા કાર્યક્રમો કેટલા થાય છે તેમાં વારંવાર સંભળાય છે, ત્યારે એક જ વિચાર થાય કે તેમાં ભાગ લેતા દરેક માંથી કેટલા લોકોએ સાંભળ્યા બાદ પોતાના જીવનમાં કે પોતાના બાળકો કે પરિવારમાં એ બધા વિચારોને વહેંચવાનો પ્રયત્ન કરે છે. જો આ વિચારોની વાવણી યોગ્ય રીતે થાય તો સમજી શકાય કે શિક્ષણનો ઉદ્દેશ સાર્થક થઈ શકે છે.


Sunday, May 8, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૪

અંગત હોય કે વ્યવસાયિક, નાના હોય કે મોટા, આપણું રોજીંદુ સુખ સવારથી સાંજ સુધીના આપણાં ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે. આપણી પાસે દિવસ પસાર કરવાનું સ્પષ્ટ પ્રયોજન હોય તો આપણી અંદર અને બહારની અંધાધૂંધી વચ્ચે પણ આપણે સ્વસ્થતાપૂર્વક રસ્તો કરી શકીએ. 

નિત્શેએ કહ્યું હતું "He who has a why to live for can bear almost any how.” "હું સવારે શા માટે ઉઠું છું?" (જેને ઇકિગાઇ પણ કહે છે) એ એક પ્રશ્નના જવાબ પર આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીનો આધાર છે. આપણે જીવતા છીએ એટલે સવારે ઉઠીએ છીએ. આપણે ઉઠીએ છીએ એટલે આપણે જીવતા છીએ. આપણી પાસે કાયમ માટે સૂતાં રહેવાનાં એક હજાર કારણો હોય તો પણ આપણે સવારે ઉઠીને કશુંક ને કશુંક કરતા રહીએ છીએ. આ 'કશુંક ને કશુંક' જીવનની ગુણવત્તા અને સાર્થકતા નક્કી કરે છે. 

કરવા જેવું કામ, પ્રેમ કરવા જેવી વ્યક્તિ અને ભવિષ્ય માટે ઉમ્મીદ...આ ત્રણ ચીજોનો સરવાળો થાય ત્યારે સુખ આવે છે.

Sunday, May 1, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૩

 

        જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલા તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ કે પાળતું પ્રાણી નથી કે તેના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે. કારણ કે રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે, એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે; મારા સિવાય તારું કોઈ નહીં. તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે. 

        આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો 99 ટકા લગ્નો ખતમ થઈ જાય. મને એક સંબંધમાંથી જે જોઈએ છીએ તે જો મળતું બંધ થઈ જાય, તો પ્રેમનું તાત્કાલિક બાષ્પીભવન થઈ જાય.

Sunday, April 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૨

મોટી ઉંમરની વ્યક્તિમાં જીજીવિષા કેવી રીતે જગાવવી.?" મોટી ઉંમરે નેગેટિવિટી આવવી સહજ છે. એક તો હોર્મોન્સ સપોર્ટ કરતાં ન હોય અને તેમાં નીચેનાં કારણો ઉમેરો કરે....

૧.  અંતર્મુખી થઈ જવાય

૨.  પરિવાર તેમનામાં રસ ન લે.

૩.  ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશન વધી જાય.

૪.  શારીરિક બીમારીઓ હોય.

૫.  ભવિષ્યને લઈને અસલામતી લાગે.

૬.  સામાજીક કે ભાવનાત્મક સપોર્ટ ન હોય.

આજુબાજુના લોકો નીચેની બાબતોમાં મદદરૂપ થઈ શકે...

૧.  નજીકના લોકો તરફથી સલામતીની ભાવના અને આત્મવિશ્વાસ મળતો હોય.

૨.  સ્વતંત્રતાનો અહેસાસ થતો હોય 

૩.  પરિવાર સાથે લગાવનો અહેસાસ હોય, પ્રેમ, દરકાર, એટેનશન મળતું હોય.

૪.  'હું કામનો છું' તેવો ભાવ મજબૂત હોય, રોજિંદા કામોમાં સામેલગીરી હોય.

૫.  પ્રાઇવસી જળવાય છે તેનો અહેસાસ હોય. માલિકીભાવ સચવાય.

૬.  શારીરિક અને માનસિક વ્યાયામ થતો હોય, આનંદ આવે અને વ્યસ્ત રહેવાય તેવી હોબી હોય.


Friday, April 22, 2022

વિશ્વ પુસ્તક દિવસ - ૨૦૨૨



"ગુજરાતી સાહિત્ય"ની આટલી વાર્તાઓ તો અવશ્ય વાંચવી જ જોઇએ...

1. અહીં કોઈ રહેતું નથી – વીનેશ અંતાણી 

2. અંતઃસ્રોતા – ચુનીલાલ મડિયા 

3. આ ઘેર પેલે ઘેર – જયંતિ દલાલ 

4. આ સમય પણ વહી જશે – રઘુવીર ચૌધરી 

5. આઇસક્રીમ – ચંદ્રકાન્ત બક્ષી 

6. આભલાનો ટુકડો – જયંતિ દલાલ 

7. આંઘુ – મોહન પરમાર 

8. ઊંટાટિયો – હરીશ મંગલમ્ 

9. ઋણ – પ્રવીણસિંહ ચાવડા 

10. એ લોકો – હિમાંશી શેલત 

11. કંકુ – પન્નાલાલ પટેલ 

12. કાયર – સુધીર દલાલ 

13. કુલડી – હરીશ નાગ્રેચા 

14. કોઠો – સુમંત રાવલ 

15. ખરા બપોર  -- જયંત ખત્રી 

16. ખેમી – રામનારાયણ પાઠક 

17. ગોવાલણી – મલયાનિલ 

18. ઘરભંગ – હરિકૃષ્ણ પાઠક 

19. ચંદ્રદાહ – રજનીકુમાર પંડ્યા 

20. છકડો – માય ડિયર જયુ 

21. છેલ્લું છાણું – ઉમાશંકર જોશી 

22. જલ્લાદનું હૃદય – ઝવેરચંદ મેઘાણી 

23. જુમો ભિસ્તી – ધૂમકેતુ 

24. ધાડ – જયંત ખત્રી 

25. નરક – ધરમાભાઈ શ્રીમાળી 

26. ના ખપે – દલપત ચૌહાણ 

27. પગલાં – મનોહર ત્રિવેદી/પાઠડી – મનોહર ત્રિવેદી 

28. પોલિટેક્નિક – મહેન્દ્રસિંહ પરમાર 

29. પોસ્ટઑફિસ -- ધૂમકેતુ 

30. ફટફટિયું – સુમન શાહ 

31. ફૂંકણી – વીનેશ અંતાણી 

32. બદલી – મણિલાલ હ. પટેલ 

33. બાયડી – દીવાન ઠાકોર 

34. બોકાહો – નાઝીર  મનસૂરી 

35. ભાથીની વહુ – પન્નાલાલ પટેલ 

36. ભાભી – જિતેન્દ્ર પટેલ 

37. મનસ્વિની – ધીરુબહેન પટેલ 

38. મરઘો – જોસેફ મેકવાન 

39. માજા વેલાનું મૃત્યુ – સુન્દરમ્ 

40. માને ખોળે – સુન્દરમ્ 

41. મારી ચંપાનો વર – ઉમાશંકર જોશી 

42. મારી નીની – વર્ષા અડાલજા 

43. માવઠું – અજિત ઠાકોર 

44. મિજબાની – ઉત્પલ ભાયાણી 

45. મૂંજડાનો ધણી – ગોરધન ભેંસાણિયા 

46. મૂંઝારો – દલપત ચૌહાણ 

47. મેઘો ગામેતી – પન્નાલાલ પટેલ 

48. રજનીગંધા – શિવકુમાર જોશી 

49. રમત – દશરથ પરમાર 

50. રેણ – ઘનશ્યામ દેસાઈ

51 મુક્તિ- રેખાબા સરવૈયા 

52.અમાસનું અજવાળું-- રેખાબા સરવૈયા 

51. લાડકો રંડાપો – ઝવેરચંદ મેઘાણી 

52. લાડુનું જમણ – પન્નાલાલ પટેલ 

53. લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર 

54. વહુ અને ઘોડો – ઝવેરચંદ મેઘાણી 

55. વહેંચણી – મોહનલાલ પટેલ 

56. વળાંક આગળ – અશ્વિન દેસાઈ 

57. વાત્રકને કાંઠે – પન્નાલાલ પટેલ 

58. વિરાટ ટપકું – સરોજ પાઠક 

59. શંકા – ભગવતીકુમાર શર્મા 

60. શીરાની મીઠાશ – ઉષા શેઠ 

61. શ્યામ રંગ સમીપે – યોગેશ પટેલ 

62. શ્વાસનળીમાં ટ્રેન – વીનેશ અંતાણી 

63. સદાશિવ ટપાલી – ઝવેરચંદ મેઘાણી 

64. સદન વગરનો આંબો – અઝીઝ ટંકારવી 

65. સમસ્યા – મધુ રાય 

66. સમ્મુખ – ધીરેન્દ્ર મહેતા 

67. સરપ્રાઇઝ – કનુ અડાસી 

68. સવ્ય-અપસવ્ય – અનિલ વ્યાસ 

69. સાચી ગજિયાણીનું કાપડું – પન્નાલાલ પટેલ 

70. સારિકા પિંજરસ્થા – સરોજ પાઠક 

71. સાંધાવાળા જેઠાલાલ ગોરધનની નોકરીનો છેલ્લો દિવસ – જનક ત્રિવેદી 

72. સુખદુઃખનાં સાથી – પન્નાલાલ પટેલ 

73. સુભદ્રા – રવીન્દ્ર પારેખ 

74. સેતુ – યોગેશ જોશી 

75. સ્નેહધન – કુન્દનિકા કાપડિયા 

76. સ્વર્ગ ને પૃથ્વી – સ્નેહરશ્મિ 

77. હું તો ચાલી – ઉષા ઉપાધ્યાય 

78. હું તો પતંગિયું છું – મધુ રાય 

79. ગૃહપ્રવેશ – સુરેશ જોષી 

80. જન્મોત્સવ – સુરેશ જોષી

આ સૂચીમાં હજી ઘણી વાર્તાઓ ઉમેરી શકાય તેમ છે...જે તમને ગમે તે ...જય જય ગરવી ગુજરાત....📖®🇮🇳

Sunday, April 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૧

         

        મૂરખને ટોકવો નહીં. એ તમારો દુશ્મન બની જશે. ડાહ્યાને ટોકો તો એ તમારી કદર કરશે. ડાહ્યો માણસ ખુદની અધુરપોથી જાગૃત હોય છે, એટલે એની ટીકા કરો તો તેને ગંભીરતાથી લઈને તે ખુદમાં કરેક્શન કરવા પ્રયાસ કરશે. એ ખોટો ન હોય તો પણ, તેનામાં ડહાપણનો પ્રભાવ એટલો હોય છે કે અનુચિત ટીકાથી તે વ્યથિત પણ થતો નથી. મૂરખને એવું લાગે કે તે સાચો જ છે, એટલે તેની ભૂલ બતાવો કે ટીકા કરો તો તે ખુદનો બચાવ કરવા લાગી જાય અને વળતામાં તમારી પર હુમલો કરે.  અસલમાં સ્માર્ટ માણસ સચ્ચાઈથી મ્હોં ન છુપાવે. એ હકીકતને સ્વીકારે અને તેને અનુરુપ પોતાનો દ્રષ્ટિકોણ બનાવે. અર્ધદગ્ધ માણસને સચ્ચાઈનો આયનો બતાવો તો તે આયનો તોડી નાખે. 

        ચાણક્યએ કહ્યું હતું કે, "મૂરખને જગાડવો નહીં, નહીં તો એ લવારી શરૂ કરી દેશે." આ વાક્ય સુધારવા જેવું છે, મૂરખને મોઢે ન લગાડવો, નહીં તો એ તમને મૂરખ સાબિત કરી દેશે. મૂરખને સુધારવો એ ગાલ પર બેઠેલા મચ્છરને મારવા જેવું છે...!

Sunday, April 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૦

ગુજરાતી ભાષા અને સાહિત્યનુ અણમોલ રતન એટલે કુન્દનિકાબેન કાપડિયા. ગુજરાતી ભાષા અને સાહિત્ય એમના ઉમદા સંપાદન અને લેખન માટે સદાય એમનું ઋણી રહેશે. એક કરતાં એક ચડિયાતી કૃતિઓ એમણે ગુજરાતી ભાષાને આપી. એમની સર્વોત્તમ કૃતિ સમાન સાત પગલાં આકાશમાં પરથી તો સ્ત્રીઓને પોતાની વાતો અને પોતાના જીવનના નિર્ણયો માટેની સ્વતંત્ર અભિવ્યક્તિ હોઈ શકે એ બાબતો પણ ઘણી સ્પષ્ટ બની છે. આવા કુન્દનિકા બેનના શબ્દોમાં એમના લખાણ વિશેની કેટલીક વાતો સાંભળીએ. "મને લખવાનું  ગમે છે એટલે હું લખું છું. મને શબ્દનું સૌંદર્ય આકર્ષે છે, અભિવ્યક્તિનું સૌંદર્ય આકર્ષે છે અને માનવ સંબંધોનું સૌન્દર્ય પણ આકર્ષે છે. એ બધાનું નિરૂપણ કરવાનું મને ગમે છે એટલે હું લખું છું. જો કે હમણાં લખવાનું ઓછું થઈ ગયું છે. પહેલા તો મોટાભાગના લખાણ સંપાદકોના આમંત્રણથી લખાતા,પણ વાચકોમાં સંવેદનશીલતા વધે સૌંદર્યબોધ પ્રકૃતિસૌંદર્ય વિચાર અને વ્યવહારનું સૌંદર્ય તથા સંબંધો નું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવાય તે મુખ્ય હેતુ છે. કોઈપણ જાતના લેબલ વગર મનુષ્ય મનુષ્ય માટેનો પ્રેમ એટલે એવી અંતરની ઇચ્છા છે તો બસ એની આડઅસર છે. " 

Sunday, April 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૯


પેટન્ટ અને copyright વચ્ચે શું ફરક છે?

પેટન્ટ વસ્તુઓમાં કોઈ નવી શોધ માટે અપાતો એકાધિકાર છે. મતલબ કે કોઈ નવી શોધ પર પેટન્ટ અપાય ત્યાર પછી એ વ્યક્તિ સિવાય બીજી કોઈ વ્યક્તિ એ જ વસ્તુ ન તો બનાવી શકે નહીં તો તેનું વેચાણ કરી શકે. જો બીજા કોઈએ એ વસ્તુનું વેચાણ કરવું હોય તો પેટન્ટના કાયદાની જોગવાઈ પ્રમાણે તેણે વસ્તુનું વેચાણ માટેનું લાયસન્સ લેવું પડે અથવા તો તેના પર રોયલ્ટી ચૂકવવી પડે. અગાઉ દરેક દેશમાં પેટન્ટનો સમય અલગ હતો પરંતુ હવે વિશ્વ વ્યાપાર સંગઠને તેના માટે ૨૦ વર્ષ નક્કી કરી નાખ્યા છે. દરેક દેશમાં પેટન્ટ મેળવી શકાય એ માટે પેટન્ટ કાર્યાલય ખોલવામાં આવ્યા છે, જે નવા સંશોધન કે ટેકનિક પર પેટન્ટ લેવું હોય તે માટેની અરજી પેટન કાર્યાલયને મોકલવાની રહે છે. અરજીમાં સંશોધનની વિગત લખવાની હોય છે એ પછી પેટન્ટ ઓફિસ તેની તપાસ કરવાનો હુકમ આપે છે. જ્યારે copyright તો કોઈ ભૌતિક લેખન કલાકૃતિ સંગીત ફિલ્મ કે તસવીરો માટે જ લાગુ પડે છે