Wednesday, November 25, 2020

સર્જનની સરવાણી-૧૩

        

      નાનપણથી જ મને વાંચનનો ખુબજ લગાવ રહ્યો છે. એકવાર આવા જ વાંચનના શોખને શમાવવા માટે હું મારા જ વિસ્તારમાં આવેલી જે. ડી.ગાબાણી પુસ્તકાલયમાં ગયો ત્યારે એક યુવાન સ્ત્રીની સાથે પાંચ વર્ષનું બાળક પણ આ પુસ્તકાલયના પગથિયા ચડી રહ્યું હતું. ત્યારે એમ થયું કે આ બાળક જો કોઈ મંદિરના દરવાજે ન જાય તો પણ તેની પ્રાર્થના મંજૂર થઈ જ જાય. કારણ બસ એટલું જ કે તે આજે માં સરસ્વતીના ઓટલે આવ્યો છે.

       થોડીવાર પછી એ સ્ત્રીએ નિયમ મુજબ ત્યાંના સ્થાનિક કાઉન્ટર પર પોતાનું કાર્ડ આપ્યું અને નવા પુસ્તક લેવા માટે ઉપરના માળે આવેલા હોલમાં જતાં હતાં ત્યારે તેના બાળકને કહ્યું કે " દીકરા તારે કઈ વાર્તાની ચોપડી લઇ જવાની છે ? આ શબ્દો સાંભળીને હ્ર્દયમાં તે માટે વંદનનો ભાવ પ્રગટ થઈ   ગયો. મનોમન તેને વંદન કર્યા પણ ખરા જ એક વાર નહિ પણ વારંવાર.

       શત શત વંદન કરીએ આવા માતા પિતાઓ તેમજ એમના પરિવારોને કે જેમની છત્રછાયા નીચે આવા બાળકોનું ઘડતર થાય છે. જરૂર આગળ જઈને આ બાળક એક સારો નાગરિક તો બનશે જ. પોતાના જીવનના લક્ષ્યાંકો ને જરૂર મેળવશે. તે માતા કે મહિલા ખુશનસીબ છે અને સમજદાર પણ છે કે ટીવી,મોબાઈલ અને ઈન્ટરનેટના આ યુગમાં તે પોતાના બાળકને પુસ્તકનો વારસો આપી રહી હતી અને પુસ્તકાલમાં લઇ જાય છે. આ વાંચનનો વારસો એ બાળક સાથે હંમેશા માટે રહેશે અને કોઈ તેની પાસેથી છીનવી શકશે નહીં.

     આજે આપણે સૌ એ આ બાબતો માટે વિચારવાનું છે કે આપણે બધા આવનારી પેઢીને શું આપવાનું છે ? તેને જીવનના પાઠો શીખવા માટે અને જીવન ઘડતર માટે પુસ્તક વાંચન તરફ લઇ જવા જ પડશે. આ શરૂઆત પણ આપણાથી જ થઈ શકે. આપણા પરિવાર થકી જ થઈ શકે. દરરોજ દરેક પરિવારમાં વાંચન માટે અને વાંચન પછી વિચારણા માટે સમય હોવો જ જોઈએ. આ વાત આજના કહેવાતા શિક્ષિત માતા પિતા એ પોતાના મનમાં ગાંઠ વાળી લેવા જેવી છે. ધન્ય છે એ માતા પિતા કે જે પોતાના સંતાનોને વારસામાં વાણીના વિવેકની સાથે વાંચન પણ આપે છે. જ્યારે પણ આ વાત યાદ આવી જાય ત્યારે એ માતાને વંદન કરવાનું મન થઈ જાય અને નમન કરી લઉં છું. અમારા સુરત શહેરમાં હીરાબાગ પાસે આવેલી જે. ડી. ગાબાણી પુસ્તકાલયમાં દર મહિને એકવાર મહિનાના પહેલા બુધવારે સમૂહ બુક વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવે છે તો ઉત્સાહી વાંચનરસિકો પણ લાભ લઈ શકશે .

સર્જનવાણી : મંદિરો તરફ જતી ભીડ જ્યારે પુસ્તકાલય તરફ વળશે ત્યારે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ક્રાંતિ આવશે.

Saturday, November 21, 2020

ઘડિયાળ પણ જીવનની ગુરુ જ છે.

 વૈદિક ઘડિયાળ - નામના અર્થ સાથે...

🕉️1:00 વાગ્યાના સ્થાન પર ब्रह्म લખેલું છે જેનો અર્થ થાય છે;

બ્રહ્મ એક જ છે બે નથી.

🕉️2:00 વાગ્યાના સ્થાને अश्विनौ લખેલું છે તેનો અર્થ થાય કે;

અશ્વિની કુમારો બે છે...

🕉️3:00 વાગ્યાના સ્થાને त्रिगुणाः લખેલું છે તેનો અર્થ થાય ત્રણ પ્રકારના ગુણો: 

સત્વ રજસ્ અને તમસ્

🕉️4:00 વાગ્યાના સ્થાને चतुर्वेदाः લખેલું છે તેનો અર્થ થાય વેદો ચાર છે;

ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ

🕉️5:00 વાગ્યાના સ્થાને पंचप्राणा લખેલું છે જેનો અર્થ થાય પાંચ પ્રકારના પ્રાણ છે;

પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન

🕉️6:00 વાગ્યાના સ્થાને લખેલું છે षड्रसाः એનો અર્થ થાય કે રસ છ પ્રકારના છે;

મધુર, ખાટો, ખારો, કડવો, તીખો, તૂરો

🕉️7:00 વાગ્યાના સ્થાને લખેલું છે सप्तर्षियः તેનો અર્થ થાય સાત ઋષિ છે;

કશ્યપ, અત્રી, ભારદ્વાજ,

વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ

🕉️8:00 વાગ્યાના સ્થાને લખેલું છે अष्टसिद्धि જેનો અર્થ થાય આઠ પ્રકારની સિદ્ધિ છે;

અણીમા, મહિમા, દધીમા, ગરીમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ

🕉️9:00 વાગ્યાના સ્થાને લખેલું છે नव द्रव्याणी જેનો અર્થ થાય નવ પ્રકારની નિધિઓ હોય છે;

પદ્મા, મહાપદ્મ, નીલ, શંખ, મુકુંદ, નંદ, મકર, કશ્યપ અને ખર્વ

🕉️10:00 વાગ્યના સ્થાને લખેલું છે दशदिशः, જેનો અર્થ થાય દશ દિશાઓ;

પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આકાશ, પાતાળ

🕉️11:00 ના સ્થાને લખેલું છે रुद्राः જેનો અર્થ થાય રુદ્રા અગિયાર છે;

કપાલી, પિંગલ, ભીમ, વિરુપાક્ષ, વલોહિત, શાસ્તા, અજપાદ, અહિર્બુધ્ન્ય, ચંડ, ભવ

🕉️12:00 વાગ્યાના સ્થાને લખેલું છે आदित्याः જેનો અર્થ થાય છે આદિત્યો બાર છે ;

અંસુમાન, અર્યમાન, ઈંદ્ર, ત્વષ્ટા, ધાતુ, પર્જન્ય, પૂષા, ભગ્,મિત્ર, વરુણ, વિવસ્વાન, વિષ્ણુ.

Tuesday, November 17, 2020

સર્જનની સરવાણી-૧૨


        જીવન એટલે સતત સંઘર્ષ અને સાહસનો ચાલતો સિલસિલો. આ જીવનયાત્રામાં આપણાં મૂલ્યો અને આપણી પાત્રતા, વિનયમ વાણી અને વિવેકની સાથે માનવતા, સહાનુભૂતિ જેવા સદગુણો પણ આપણાં જીવનઘડતરમાં અગત્યનો ફાળો આપે છે. આપણે વારંવાર આ નવી પેઢીને કોસતા હોઈએ છીએ કે એમાં સંસ્કારો અને મર્યાદા જેવાં ગુણોનો અભાવ ચાલે છે પરંતુ સાવ એવું નથી. ઊગતી આ પેઢી જ નવા સમયમાં દરેકની વચ્ચે સંપ, સમાનતા અને ભાઇચારની ભાવના નિર્માણ કરવામાં અગત્યનો ભાગ ભજવશે. આ બાબત સમજાવતો ખુબ નાનો, પણ અતિ મહત્વ નો પ્રસંગ, 

ચારસો મીટર ની રેસ માં કેન્યા નો રનર અબેલ મુત્તાઈ સહુ થી આગળ હતો. ફિનિશિંગ લાઈનથી ચાર થી પાંચ ફૂટની દુરી પર એ અટકી પડ્યો. એને લાગ્યુ કે આ દોરેલા પટ્ટા જ ફિનિશિંગ લાઈન છે અને મૂંઝવણમાં અને ગેરસમાજમાં, એ ત્યાં જ અટકી પડ્યો. તેની પાછળ બીજા નમ્બરે દોડી રહેલ સ્પેનિશ રનર ઈવાન ફર્નાન્ડિઝએ આ જોયું અને તેને લાગ્યુ કે આ કઈંક ગેરસમજ થઈ છે. તેણે પાછળથી બૂમ પાડી અને મુત્તાઈને કહ્યું કે તે દોડવાનું ચાલુ રાખે.

        પરંતુ , મુત્તાઈ ને સ્પેનિશ ભાષા માં સમાજ ના પડી. આ આખો ખેલ માત્ર ગણતરી ની સેકન્ડ નો જ હતો. સ્પેનિશ રનર ઈવાન એ પાછળથી આવી અને અટકી પડેલા મુત્તાઈને જોર થી ધક્કો માર્યો અને, મુત્તાઈ ફિનિશ રેખા ને પર કરી ગયો. 

       આ રેસ હતી. અંતિમ પડાવ પૂરો કરી વિજેતા બનવાની રેસ. ઈવાન ધારત તો પોતે વિજેતા બની શકત. ફિનિશ રેખા પાસે આવીને અટકી પડેલા મુત્તાઈને અવગણીને ઈવાન વિજેતા બની શકત. આખરે વિજેતા મુત્તાઈને ગોલ્ડ મેડલ મળ્યો અને ઈવાન ને સિલ્વર.

એક પત્રકારે ઈવાન ને પૂછ્યું : " તમે આમ કેમ કર્યું? તમે ધારત તો તમે જીતી શકત. તમે આજે ગોલ્ડ મેડલને હાથ થી જવા દીધો "

ઈવાન એ સુંદર જવાબ આપ્યો : " મારુ સ્વ્પ્ન છે કે ક્યારેક તો  આપણે એવો સમાજ બનાવીયે, જ્યા વ્યક્તિ બીજા વ્યક્તિને ધક્કો મારે, પરંતુ પોતે આગળ જવા માટે નહિ પરંતુ બીજાને આગળ લાવવા, મદદ કરવા, એની શક્તિ ને બહાર લાવવા  ધક્કો મારે. એવો સમાજ જ્યાં એકબીજાને મદદ કરી બંને વિજેતા બને. 

પત્રકારે ફરીથી પૂછ્યું :" તમે એ કેન્યન મુત્તાઈ ને કેમ જીતવા દીધો? તમે જીતી શકત "

જવાબમાં ઈવાને  કહ્યું , " મેં એને જીતવા નથી દીધો, એ જીતતો જ હતો. આ રેસ એની હતી અને છતાં જો હું એને અવગણી ને ફિનિશ લાઈન પાર કરી જાત, તો પણ મારી જીત તો કોઈ બીજા પાસે થી પડાવેલી જીત જ હોત " આ જીત પર હું કેવી રીતે ગર્વ કરી શકત ? આવો જીતેલો ચંદ્રક હું મારી માં ને શી રીતે બતાવી શકું? હું મારા અંતરાત્મા ને શું જવાબ આપું? "

      સંસ્કાર અને નીતિમત્તા એ વારસા માં મળેલી ભેટ છે. એક પેઢી થી બીજી પેઢી ને મળતો વારસો છે. આમ થાય અને આમ ના જ થાયે. આ જ પુણ્ય અને પાપ છે. આ જ ધર્મ છે. આપણે જ નક્કી કરશુ કે કાલ નો સમાજ કેવો હશે. જીતવું મહત્વ નું છે,  પણ કોઈપણ ભોગે જીતવુંએ માનસિક પંગુતા છે. કોઈનો યશ ચોરી લેવો, કોઈની સફળતા પોતાને નામ કરવી, બીજાને ધક્કો મારી પોતે આગળ આવવાનો પ્રયત્ન આ બધું કદાચ થોડી ક્ષણો માટે જીતી ગયાનો ભાવ અપાવે પણ ખુશી નહિ અપાવે, કારણ, અંતરમન અને અંતરઆત્મા તો સાચું જાણે છે.

સર્જનવાણી :- નીતિમત્તા અને સંસ્કાર ના કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આવતી...બીજી પેઢી માં પ્રમાણિકતા અને નીતિમત્તા ના બીજ રોપીએ, આ સુંદરતા, પવિત્રતા, આદર્શ, માનવતા અને નીતિમત્તા ને આગળ ધપાવીએ ...


Friday, November 13, 2020

દિવાળી - લાગણીના દિવાઓ પ્રગટાવીએ




 ખૂબ વ્યાપ્યો છે જગે, બુદ્ધિએ સર્જેલો પ્રકાશ,
લાગણીના એથીએ અધિક દીપ જલાવી લઈએ !!
અંતની પરવા  કરશરૂઆત કર,
હોય  ભલેને કડવીતું નાનકડી રજુઆત તો કર !!

        દિવાળી એટલે પ્રકાશનું પર્વ. અંધકારથી અંજવાળા તરફ જવા માટેનો ઉત્સવ. દિવાળીનો મતલબ દરેક માટે નવો હોય છે. દરેકના જીવનમાં દિવાળીના અર્થ અલગ-અલગ હોય છે. દિવાળીએ હંમેશા જીવનને નવા ઉત્સાહ-ઉમંગથી ભરી દેતો તહેવાર છે. હર તરફ ખુશીઓ અને આનંદ પ્રસરાવતો આ તહેવાર શું દરેકના જીવનમાં સરખી રીતે જ એ લાગણીઓ કે જેનાથી બીજા એવા અંત્યાતિક જનોના દિલમાં અને ઘરમાં આ જ ઉત્સવ કે આનંદ પ્રગટાવી શકે કે કેમ?

        કેમ આપણે આ લાગણીઓ ફક્ત આપણા પૂરતી જ મર્યાદિત રાખીએ છીએ, શા માટે આપણે આપણો પ્રેમ-સ્નેહ-આદર અને એવું ઘણું બધુ એ લોકો માટે નથી આપી શકતાં જેમને સંજોગોવશાત એ હાંસલ નથી થતું. જએ લોકો આ લાગણીઓ વહેંચે છે એમને તો લાખ-લાખ વંદન સાથે અભિનંદન પરંતુ આપણે દરેક પણ આપણા જ ઘરેથી કોઈ એક નાનકડી શરૂઆત કરીએ તો.. 

સળગાવી નાખજો નફરતની પાળી,
કે ચમકાવતી જશે જીંદગી દિવાળી...!!
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ,
કે ખરેખર ખીલી જશે નૂતનવર્ષ..!!

        દિવાળીના ઉત્સવના પાવન અવસરે આ વર્ષથી જ શરૂઆત કરીએ, તો માં સરસ્વતીના ચરણના આશીર્વાદ લઈને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષમાં દરેકના મનમાંથી ઈર્ષ્યા, દ્રેષ, શોક, નિરાશાના ભાવ દૂર થાય અને દરેક માનવી માત્ર પોતાના જ સ્વજનની સાથે નહી પરંતુ જએ સમાજથી પણ વિખૂટો આપણો જ અંત્યજન ભાઈ કે જેને આપણો કહેવતો સભ્ય સમાજ પોતાની સાથે સાંકળી શકતો નથી, તેને મળીએ, પાસે જઈએ અને પ્રેમથી શક્ય હોય તો ગળે મળીને આપણા મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓનો એક દીવો તેના દિલમાં પણ પ્રગટાવીએ તો ખરા અર્થમાં દિવાળી સાર્થક થઈ જાય.

         દિવાળીએ શક્ય હોય એટલા પ્રમાણમાં આપણે દરેક આપણાથી બની શકે તેટલા પ્રમાણમાં આપણા જ ભાઈઓ-બહેનો અને આપણા અંત્યજનોને મળીએ અને તેની પરિસ્થિતિનો તાગ મેળવીએ. તેના ઘરમાં દિવાળીની ખુશીઓ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ, તેમને અને તેમના બાળકોને આ દિવાળીના તહેવારમાં પણ લાચારીને વશ ન થઈ જાય અને તેઓ પણ સ્વમાન સાથે પોતાના જીવનમાં આનંદનો ઉત્સવ ઉજવે તેવો પ્રમાણિક પ્રયત્ન કરીએ તો આપણો ઈશ્વર પણ આપણને કહેશે કે “શુભ દિપાવલી”

        બની શકે તો પોતાને સારા અને સાચા માણસ બનવાનો એક મોકો જરૂરથી આપજો, થઈ શકે તો ટાઢથી થરથરતા કોઈ વ્યક્તિને એક સ્વેટર અથવા રજાઈ આપજો, આ તહેવારમાં મીઠાઇ આપજો. નવા વર્ષે તમે બધા આઇસક્રીમ ખાતા હો ત્યારે એક ગરીબ બાળકને આપજો, એ રાત્રે ઊંઘમાં ઈશ્વર કોઈપણ સ્વરૂપમાં આવીને તમને થેંક્યું જરૂર કહેશે. 

Tuesday, November 10, 2020

સર્જનની સરવાણી-૧૧

    


           આપણા જીવનમાં ઘણા બધા સંબંધો વગર માગ્યે જ મળી જતા હોય છે અને એવા સંબંધોને આપને ખુબ જ આનંદ સાથે નિભાવતા જતા હોઈએ છીએ. આપણી શેરીમાં આવતો શાકભાજી વાળો કે કોઇપણ ફેરિયાની સાથે આપણે ભલે લોહીનો કોઈ સંબંધ ના હોય પરંતુ એમની વાતો અને વર્તન થકી આપણને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. ઘણી બધી સોસાયટીઓ અને સમાજમાં પણ આવા લોકોને તહેવારોમાં મદદ કરવાનું પણ બનતું હોય એવા સંબંધો ઘડાઈ જતા હોય છે. 

            એક ખમણ વેચવા વાળો હતો જે વાતોડિયો હતો અને સાથે રમૂજી પણ હતો. જયારે જયારે એને ત્યાં કોઇપણ વ્યક્તિ ખમણ ખાવા જાય  ત્યારે એને તો એમ જ લાગતું કે એ જાણે આપણી જ રાહ જોઈ રહ્યો છે. જીવનનાં દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચારશક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

        મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? એના જવાબે મારા મગજના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક બેન્ક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી લોકરનુ તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર તમારો ભગવાન છે. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. 

સર્જનવાણી: ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય. 

Tuesday, November 3, 2020

સર્જનની સરવાણી-૧૦

    ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમની ઉણપ પૂરી કરવી  એ અમારી કાયમી ટેવ હતી પણ ખબર નહોતી પડતી કે તેનાથી કેલ્શિયમની ઊણપ પૂરી થાય છે કે નહી? અને આ અમારી કાયમી ટેવ હતી તેમાં થોડી ઘણી બીક એ પણ લાગતી હતી કે, સ્લેટ ચાટવાથી ક્યાંક વિદ્યા માતા ગુસ્સે ના થઈ જાય. ભણવાનો તણાવ તો જાણે એવો કે ભણવાના વિચારમાં જ પેન્સિલના પાછલો હિસ્સો ચાવી-ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!! હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!

         કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ અમારું આગવું કૌશલ્ય હતું અને ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું. જ્યારે જ્યારે નવા ધોરણમાં આવતા ત્યારે ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો.  માતા-પિતાને તો જાણે અમારા ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી. એ લોકો તો એમના કામ-કાજ અને ખેતરવાડીમાંથી નવરા થાય તો જુએ કે એમના બાળકો ક્યાં ભણે અને કેટલામાં ધોરણમાં ભણે છે ? એમને તો બસ એટલું જ કે ગામના માસ્તર સાહેબ કહે એ જ બ્રહ્મવાક્ય. સાચું કારણ તો એવું હતું કે અમારું ભણતર એ તેમના ઉપર એક આર્થિક  તણાવ ઉભો કરવા વાળો બોજ હતો...!!                

        વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા અને અમારા દોસ્તો પણ કેવા મજાના હતા. જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા  અને કેટલીયે મંઝિલો ખેડી હશે, એ અમને યાદ નથી, પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે. એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા, છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું અને પાછા બીજા દિવસે ત્યાં જઈ ગોઠવાઈ જતા.

        નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે, તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે, અમને ખબર જ નહોતી  કે  ઇગો કઈ બલાનું નામ છે.? માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો. મારવાવાળો અને માર ખાવા વાળો બંને ખુશ થતા હતા કારણ કે, એક ને એમ હતું કે ઓછો માર ખાધો અને  બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો. આમ બંને ખુશ.

        અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે, અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ કારણકે અમને આઇલવયુ બોલતા જ નોતુ આવડતું. આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ. કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે, તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી. એ સત્ય છે કે, અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ અમોને સચ્ચાઈ અને હકીકતો એ  પાળ્યા હતા. અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.

        અમને ક્યારેય કપડાં /  ઇસ્ત્રી બચાવવા માટે સંબંધની ઔપચારીકતા ક્યારેય નથી સમજી..!!સબંધો સાચવવા ની ઔપચારિકતા બાબતોમાં અમે સદાય મૂર્ખ જ રહી ગયા. અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના  જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે, નહીતો, અમે જે જીવન જીવીને આવ્યા છીએ તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી. 

સર્જનવાણી: અમે સારા હતા કે ખરાબ એ ખબર નથી પણ અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...