Sunday, February 26, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૫

 

    શારીરિક કસરતમાં રેસિસ્ટન્સ ટ્રેનિંગનું બહુ મહત્વ છે. રેસિસ્ટન્સ ટ્રેનિંગ એટલે બાહ્ય ફોર્સના ઉપયોગથી શરીરના મસલ્સ મજબુત કરવા તે. જેમ કે તમે જો ખુરશી, ટેબલ કે ફર્શના ટેકે પુશ અપ્સ કરો, તો આખા શરીરના મસલ્સની તાકાત વધે.

    એવું જ મેન્ટલ મસલ્સનું છે. મેન્ટલ મસલ્સ એટલે વિચાર કરવાની, અનુભવ કરવાની અને પરફોર્મ કરવાની ક્ષમતા. જેમ શારીરિક તંદુરસ્તી અને શારીરિક તાકાત અલગ છે, તેવું રીતે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ સ્ટ્રેન્થ અલગ છે. મન પાસે જેટલી અઘરી કસરત કરાવીએ તેટલી તેની તાકાત વધે. મેન્ટલ મસલ્સ ત્રણ પ્રકારની ક્ષમતા વિકસાવે છે.

1.નકારાત્મક લાગણીઓનો તંદુરસ્ત રીતે સામનો કરવાની ક્ષમતા.

2.લાગણીઓને તટસ્થ રીતે ઓળખવાની ક્ષમતા.

3. ક્યારે લાગણીઓને હાવી થવા દેવી અને ક્યારે તેનાથી દૂર થવું તેની ક્ષમતા.

મેન્ટલ કસરત કેવી રીતે થાય?

- કોઈ એક ચીજમાં 100% ફોકસ (ઝીરો ડિસ્ટ્રેકશન)ની ટેવ પાડીને.

- જટિલ બાબતોનું વિશ્લેષણ કરીને તેને સરળ બનાવવાની પ્રેક્ટિસ કરીને.

- મગજને ચેલેન્જીંગ લાગે એવું કામ કરીને

- યાદદાસ્ત ઈંપ્રુવ થાય તેવી પ્રવૃત્તિઓ કરીને.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, February 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૩

 

"નૈતિક મુલ્યો ઘસાતાં જાય છે. તે કેવી રીતે પાછાં સ્થાપિત થશે?"

ભારતમાં નૈતિકનાં મુખ્ય 5 કારણો છે..

1. હરીફાઈની વૃતિમાં વધારો.

2. ભણતરમાંથી ગણતરનું ગાયબ થઈ જવું.

3. સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું તૂટવું.

4. ભ્રષ્ટાચારનું નોર્મલ થઈ જવું.

5. રાજકારણનું અપરાધીકરણ.

        આ પાંચે સમસ્યાઓનું મૂળ શિક્ષણ, ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો અને વિકાસનું આયાતી મૂડીવાદી મોડેલ છે. એ દિશામાં નક્કર અને સૂઝબૂઝથી કામ થાય તો, સમાજનું અધ: પતન અટકાવી શકાય. એવું થતું લાગતું નથી.

      The History of the Decline and Fall of the Roman Empire નામના ગ્રંથમાં ઇતિહાસકાર એડવર્ડ ગિબ્બોને, રોમન સમાજના પતનનાં 5 કારણો આપ્યાં હતાં:

1. સમૃદ્ધ થવાને બદલે બદલે સંપતિનું પ્રદર્શન કરવાની વૃત્તિમાં વધારો થયો.

2. સેક્સ પ્રત્યેની ઘેલછા અને સેક્સની વિકૃતિમાં વધારો થયો.

3. કળા-સાહિત્ય સર્જનાત્મક બનવાને બદલે સનસનીખેજ બની ગયું.

4. ગરીબો અને અમીરો વચ્ચે ખાઈ વધતી ગઈ.

5. રાજ્યની દયા-માયા પર જીવવાની વૃતિમાં વધારો થયો.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, February 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૪

 

        પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફાયનમેનનું એક ક્લાસિક વિધાન છે. *"મને નાનપણથી જ એ ખબર પડી ગઈ હતી કે કોઈ ચીજનું નામ જાણી લઈએ એટલે એ ચીજને જાણી ગયા એવું ન કહેવાય."* ફાયનમેન નાના હતા ત્યારે તેમના પિતા મેલવિલેની આંગળી પકડીને ચાલવા જતા. રસ્તામાં તેમને પક્ષીઓ જોવા મળતાં. એકવાર તેમણે એક પક્ષી જોઈને તેનું નામ પૂછ્યું. પિતાએ કહ્યું કે," ઈંગ્લીશમાં તેને સ્વોલો કહે છે, ફ્રેન્ચ લોકો તેને લેસ હિરોન્ડેલે કહે છે, જર્મનીમાં તેનું નામ ડિસ શોલ્વ છે. તને એનાં નામ તો ખબર પડી ગઈ, પણ પક્ષી વિશે કશી ખબર નહી પડે." મોટા થઈને ફાયનમેને કોઈ ચીજની જ જાણકારી મેળવવાની ટેકનિક વિકસાવી હતી: 

1. કશું નવું શીખો ત્યારે તેનું નામ નહીં, તેનો કોન્સેપ્ટ (તે કેવી રીતે કામ કરે છે તે) શીખો.

2. પછી તેને એવી રીતે સરળ શબ્દોમાં મુકો કે 10 વર્ષના બાળકને પણ સમજાઈ જાય. 

3. હવે તમે તમારી સમજાવટમાં ખામી શોધો. પહેલા પ્રયાસમાં કદાચ નહીં દેખાય. પાછા મૂળ ચીજમાં જાવ અને વધુ સારી રીતે તેને સમજો.

4. હવે, તેને વધુ સરળ બનાવો અને ફરી પ્રયાસ કરો.

ફાયનમેનના પિતાએ કહેલું, "જેને ઊંઘ શુ કહેવાય તે ખબર ન હોય, તેવા મંગળવાસીઓને તું ઊંઘ કેવી રીતે સમજાવીશ?"

Sunday, February 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૨

 

        "કુટુંબમાં ઘણાં સગાંઓનો દુરાગ્રહ હોય કે તેમની પૂર્વધારણા પ્રમાણે જ પરિવારે જીવવાનું, ત્યારે તે પરિસ્થિતિને કઇ રીતે હેન્ડલ કરવી? એવો કોઈ માર્ગ છે કે જ્યાં સમજાવી શકીએ કે એમનું વર્તન બધા માટે ફાયદાકારક નથી?"  એનો એક માત્ર રસ્તો સંવાદનો છે. સફળ સંવાદ માટે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે: તેમના દુરાગ્રહોથી તમને અને બીજાઓને કેવા અનુભવો થયા છે તેનાં તથ્યો એકઠાં કરો. આવા સંવાદો લાગણીઓની વાતોથી સફળ ન થાય, કારણ કે તેમાં ઉકળાટ ઠાલવવા સિવાય કંઈ ન થાય અને છેવટે બ્લેમ ગેઇમ જ રમાય છે. તેના બદલે નક્કર વાતો કરો, નક્કર ઉદાહરણો આપો. તાર્કિક રીતે સમજાવો. 

        સામેવાળી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે એ જો એના દુરાગ્રહોમાં પરિવર્તન લાવે, તો તેમાં તેનો ખુદનો પણ કેટલો લાભ છે. આવો સંવાદ સર્વેના હિતમાં છે તેવી ભાવના જન્મે તે ઇચ્છનીય છે. તેને તમારું અંગત યુદ્ધ બનાવી દો, તો સામીવાળી વ્યક્તિ ઔર જક્કી થઈ જશે. એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ એવું જ કરીએ. આ છેલ્લો મુદ્દો વધુ સમજવા જેવો છે. ધારો કે, તેની જગ્યાએ આપણે હોઈએ, તો કોઈ કુટુંબીજને એ મુદ્દા પર આપણી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? એ સવાલના જવાબમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Friday, February 3, 2023

પુસ્તક પ્રસાદ-૨: નોર્થપોલ

 

જીતેશ દોંગાનો પરિચય એમના જ શબ્દોમાં.. 

        મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં અને હવે એમની નવલકથા વિશેની વાત. 

        કોઈપણ માણસ કે વ્યક્તિ પોતાના જીવનમાં શું કરવા માંગે છે એ વિશે વારંવાર વિચારતો હોય છે અને ઘણીવાર તો અલગ અલગ લોકોના સલાહ સૂચન કે માર્ગદર્શન લઈને પણ પોતાના જીવનની કેડી કંડારવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ આ બધાને અંતે પણ ઘણીવાર ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પોતાના જીવનનો સાચો માર્ગ મળતો નથી. જીવનમાં સતત અટવાયા કરતા હોય છે અને વિચારતા હોય છે કે હું કયા રસ્તે જઈ રહ્યો છું. હું જીવનમાં શું વિચારું છું શું કરવા માંગુ છું અથવા તો મને કયા કામ કરવામાં હ્રદયપૂર્વક આનંદ મળે છે એની મને જાણ છે આવા ઘણા બધા પ્રશ્નો વર્તમાન સમયમાં દરેકની પાસે છે, પણ શું દરેકને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળે છે કે સાચું માર્ગદર્શન મળે છે ?               

          જીતેશભાઈ દોંગાનું પુસ્તક નોર્થ પોલ આપણા  આવા જ કંઈક  કેટલાએ પ્રશ્નોનું  અને એ પ્રશ્નો માંથી ઉઠતી ગડમથલ તરફ આંગળી ચીંધે છે જીવનમાં દરેકનું કંઈક  સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ હંમેશા કંઇક ખાસ  બનવા માંગતો હોય છે. દરેકને એમ થાય છે કે હું એવી વિશિષ્ટ કારકિર્દી બનાવીશ કે એક ઉમદા કામ કરીશ કે જેનાથી મને જીવનમાં આનંદ મળશે. મારા સ્વપ્નો પૂરા કરીશ અને હું મારા પરિવાર અને માતા-પિતાને પણ અમદા જિંદગી આપવાનો પ્રયત્ન કરીશ. તેમના સ્વપ્નોની સાથે હું મારા જીવનને સાંકળીને ખુશીઓ મેળવી  લઈશ

         પરંતુ શું બીજાની ખુશીમાં આપણને ખુશી મળે છે એવો વિચાર કરતો નોર્થ પોલનો નાયક ગોપાલ કે જે એવું વિચારે છે કે હું એન્જીનીયર બનીશ અને પછી મારા માતા-પિતાની અપેક્ષા પ્રમાણે 40-50 હજારનો પગાર મેળવીશ અને પછી એ સુખી જીંદગી જીવીશ. પરંતુ એન્જિનિયરિંગ કરતા કરતા હર હંમેશ એ વિચારે છે કે શું સાચી દિશામાં જઈ રહ્યો છું. આ બધા કામ કરતા કરતા શું મને રાજીપો થાય છે કે એ કામમાં હું મારું સર્વસ્વ આપી શકું છું કે મને અંતરથી એવું  સુખ મળે છે?  આ એની શોધખોળ એને સતત નવા નવા કામો કરવા માટે પ્રેરણા આપે છે અને તે સાહસ કરીને અલગ અલગ કામો કરતો રહે છે. દરેક માંથી પોતાની ખુશીઓ મેળવવાનો પણ એ પ્રયાસ કરે છે અને આવા તો એ 22 કે તેથી વધારે કામો કરે છે પરંતુ એ પોતાની સાચી ખુશી મજામાં છે તે નક્કી કરી શકતો નથી

         આવું કરતા કરતા તે પોતાનું ભણતર તો પૂરું કરે છે પરંતુ ત્યાં સુધીમાં પણ તે પોતાના જીવનનો માર્ગ કે પોતાને ગમતું કામ એ મેળવી શકતો નથી પછી તે જીવનના સંઘર્ષમાં કંપનીઓ નોકરીઓ માટે ટ્રાયકરે છે. એક બે જગ્યાએ નોકરીઓ પણ મળે છે પણ એ કામ કરવામાં એને એવો આનંદ નથી આવતો. સતત એ એ નવા નવા વિચારો માં જ હોય છે અને અંતે આપણી નોકરીઓ છોડી ને ઘરે આવે છે. પોતાના પિતા સાથે વાત કરે છે અને માતા પિતા ને મનાવી ને તે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે ઘરેથી નીકળી જાય છે. ત્યાંથી તે ગીરના જંગલોમાં જાય છે અને બાવો બનવાનું વિચારે છે પરંતુ ત્યાં પણ તેને સાચો આનંદ તો આવતો જ નથી અને પછી ત્યાં બાવાઓ એને એમ કહે છે કે તું અહીંયા રહેવા કરતાં તે સંસાર અને દુનિયા સામે તને જે પ્રશ્નો છે એ દુનિયા સામે તું નાગો થઈ જા અને દુનિયાને પોતાના પ્રશ્નો પૂછશે એમાંથી તને તારો કોઈ જવાબ મળશે.

            આમ કરતા કરતા તે મુંબઈ પહોંચે છે અને ત્યાં તેને મીરા નામની એક છોકરીનો ભેટો થાય છે, જે પણ આવી જ રીતે પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે એકલી રહેતી હોય છે અને ટેટુ ચિત્ર દોરવાનું કામ કરતી હોય છે. તેની સાથે ગોપાલ પણ પોતાના જીવનનો આનંદ સાચો મેળવવા લાગે છે, પરંતુ આ બધામાં પણ તેને પોતાનું સાચું કામ અને પોતાનો આનંદ હજુ મળ્યો નથી હોતો. તે જીવનના અવનવા સંઘર્ષની સામે લડવાનું શીખી જાય છે. ગોપાલ મીરાની સાથે પોતાના જીવનને વણાયેલું જોતો હોય છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. ત્યારબાદ બંને પોતાના સપનાઓ પુરા કરવામાં લાગી જાય છે અને આગળ વધતા લગ્ન કરીને તેઓ મુંબઈની બહાર જંગલ જેવા વિસ્તારમાં પોતાનું એક ઘર બનાવે છે જેને નામ આપે છે નોર્થપોલ. આ નામનો અર્થ બંનેના સપનાઓનું સરનામું બની રહે છે એવો વાંચતી વખતે આપણને લાગે છે અને એમ પણ થાય કે હવે ગોપાલ ને પોતાની મંઝીલ મળી ગયો હશે, પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હોય છે. બંને સંસાર પણ માંડે છે અને આગળ વધતા એમને ત્યાં ઈદ નામની છોકરી નો જન્મ થાય છે અને હવે ગોપાલ ને એમ લાગે છે કે આ સંસાર સંપૂર્ણ થયો છે. પરંતુ આવી બધી ગડમથલ ની વચ્ચે પણ એને પોતાના પ્રશ્નોનું સમાધાન તો બનતું જ નથી સતત એ એમાં અટવાયેલો રહે છે.

             આ બધાની વચ્ચે ઇદને કેન્સરનું નિદાન થાય છે અને અમુક સમય ની સારવાર પછી તે મૃત્યુ પામે છે. પછી એ આઘાતમાં ગોપાલ અને મીરા ભાંગી પડે છે પરંતુ ગોપાલ સ્વસ્થતા પૂર્વક મીરાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. મીરા પોતાના જીવનને સંભાળી શકતી નથી, એવું એને લાગે છે ત્યારે બંને જણ છુટા પડવાનું નક્કી મીરા એને છોડીને પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે જતી રહેવાનું વિચારે છે. મીરા અન્યની સેવામાં પોતાનું જીવન પસાર કરી દેવાનો નક્કી કરે છે અને જ્યારે જતી હોય ત્યારે પણ રસ્તામાં તેનું મરણ  થાય છે. ગોપાલ તેને એજ નોર્થ પોલની ખુલ્લી જગ્યામાં દફનાવે છે.

             આ બધી ગડમથલ  પછી તેને પોતાના જીવનનો માર્ગ મળે છે. આટલા સંઘર્ષ પછી તેને એ વિચાર સ્ફૂરે  છે  અને એને પોતાના જીવનનો સાચો માર્ગ મળે છે. હવે કયો માર્ગ હશે તે જાણવા માટે તો વાચકે આતુરતાપૂર્વક અને નવલકથા સાથે લાગણીનો તંતુ જોડીને આ નવલકથા વાંચવી રહી. જીતેશભાઈની આ નવલકથા સાચે જ દરેક વાચકને પોતાના જીવનનો માર્ગ નક્કી  કરવામાં મદદ કરશે અને સંસારની સામે લડવામાં હિંમત આપશે.

(અહિયાં જીતેશભાઈનો પરિચય એમની સાઇટ પરથી લીધો છે.)