શીખવાનો અર્થ એ નથી કે આપણે જ્ઞાની થઈ ગયા. શીખવાનો અર્થ અજ્ઞાન થોડું ઓછું થયું એવો થાય. જ્ઞાનની કોઇ સીમા નથી. આપણે જેટલું શીખીએ છીએ, તેટલું એ અંતર ઓછું થાય છે, પણ ત્યાં સુધીમાં જ્ઞાનની સરહદ વિસ્તરી ચુકી હોય છે. દુનિયા એટલી મોટી અને સતત પરિવર્તનશીલ છે કે આપણે અજ્ઞાનથી જ્ઞાન તરફ નહીં, પણ અજ્ઞાનથી ઓછા અજ્ઞાન તરફ જઈએ છીએ.
આપણે ગમે તેટલું જ્ઞાન મેળવી લઈએ, થોડું અજ્ઞાન તો રહી જ જાય છે. એટલા માટે, આપણે જે પણ શીખીએ છીએ તેને તરત જીવનમાં લાગુ કરી દેવું જોઈએ, જેથી એ કામનું છે કે નકામું તેની સમજ પડે, અને આપણે પાછા શીખવાની પ્રક્રિયામાં લાગી જઈએ. બૌદ્ધિક વિનમ્રતાનો અર્થ જ એવો સ્વીકાર છે કે જ્ઞાનની સરખામણીમાં અજ્ઞાન હંમેશા વિશાળ હોય છે.