Sunday, March 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૩


                                                                                                                                                            

ઇન્સ્ટાગ્રામ મિત્ર પૂછે છે,

"આજે અઢળક માહિતી આપતાં માધ્યમો હોવા છતાં લાખો પુસ્તકો કેમ વેચાય-વંચાય છે?"

અમેરિકામાં Pew Research Center નામના ટ્રસ્ટે  વાચકોને પૂછ્યું હતું કે પુસ્તક વાંચવા માટેનું તમારું સૌથી મોટું કારણ શું હતું. એમાં જે તારણો નીકળ્યાં હતાં તે આ પ્રમાણે છે:

- ૨૬% લોકોએ કહ્યું કે તેમને નવું જ્ઞાન અને માહિતી મળે એટલે પુસ્તક વાંચ્યું હતું.

- ૧૫% લોકોએ કહ્યું કે વાસ્તવિકતાને ભૂલી જવા અને બીજી કોઈ દુનિયામાં ખોવાઈ જવા માટે તેમણે પુસ્તકનો સહારો લીધો હતો.  

- 12% લોકોને નાટ્યાત્મકતા અને સસ્પેન્સમાંથી મનોરંજન મળતું હતું.

- 12% લોકોને પુસ્તક વાંચતી વખતે આરામ મળતો હતો અને શાંતિ મહેસુસ થતી હતી.

- 6% લોકોને નવા વિષયોનો પરિચય થતો હતો. 

- 4% ટકા લોકો આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ થતા હતા અને તેમનું વિશ્વદર્શન (વર્લ્ડવ્યૂ) વિસ્તરતું હતું.

- 3% ટકા લોકોને પુસ્તકો તેમની માનસિક કસોટી લેતાં હતાં તે પસંદ હતું. 

- 2% લોકોને પુસ્તકનું ભૌતિક સ્વરૂપ- તેનો સ્પર્શ, તેની ગંધ- ગમતું હતું. 

        આ સર્વેમાં ઘણા લોકોએ “સ્ટ્રેસ દુર થાય છે, “રિલેક્સ થવાય છે,”અને “મન શાંત થાય છે” જેવાં વિધાનો કર્યા હતાં. આજે અહી ફરીવાર આપના માટે હું વાંચવા જેવાં ૨૩ ઉત્તમ પુસ્તકોની યાદી આપું. અહીં ક્લાસિકની સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત વિશ્વની મોટાભાગની ભાષાઓમાં છપાયેલા વિવિધતાસભર પુસ્તકોનાં નામ આપ્યાં છે. આ બધાં જ પુસ્તકો, વૈશ્વિક સમાજનો એક એવો ચહેરો પેશ કરે છે, જે કદાચ બીજી ભાષામાં છૂટી ગયો છે. બધા જ પુસ્તકો મસ્ટ રીડ છે.

૧. અરધી સદીની વાચનયાત્રા ભાગ : ૨-સંપાદક-મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સત્યના પ્રયોગો-મહાત્મા ગાંધીજી 

૩. મહામાનવ મહાવીર-ગુણવંતભાઈ શાહ 

૪. પોલીએના-એલીનોર પૉર્ટર 

૫. વાણી તેવું વર્તન-ફાધર વાલેસ 

૬. એટોમીક હેબિટ-જેમ્સ ક્લિયર 

૭. ધ સિવિક કોડ-ગોરા. એન. ત્રિવેદી 

૮. તમે તમારા બાળકને ઓળખો-ડો. મોહનભાઈ પંચાલ 

૯. અંગદનો પગ-હરેશ ધોળકિયા 

૧૦. સપનાના સોદાગરો-રશ્મિ બંસલ 

૧૧. અમર ગુજરાતી ગઝલો : સંપાદક-રાજેશ વ્યાસ"મિસ્કીન"

૧૨. આનંદમય શિક્ષક કેમ થવાય?-દોલતભાઈ દેસાઈ 

૧૩. સોંસરી વાત-સ્વ. નગીનદાસ સંઘવી 

૧૪. સોક્રેટિસ એક્સપ્રેસ (અંગ્રેજીમાં)-એરિક વેઈનર 

૧૫. લાઈફલાઇન-જય વસાવડા 

૧૬. અગનપંખ-ડો. અબ્દુલ કલામ અનુવાદ-હરેશ ધોળકિયા 

૧૭. સાત લાઈન-રત્નવિજયસુંદરસૂરિજી મહારાજ સાહેબ 

૧૮. પ્રિયજન(ક્લાસિક નવલિકા)-વીનેશ અંતાણી 

૧૯. શ્યામની માં-સાને ગુરુજી અનુવાદ-અરુણા જાડેજા 

૨૦. જંગલ બુક-રુડીયાર્ડ કીપલીંગ, ગુજ અનુવાદ- સાધના નાયક દેસાઈ 

૨૧. શિક્ષણ રાહ બતાવે રામાયણ-મોરારી બાપુ 

૨૨. તમે જ તમારું અજવાળું-સુધા મૂર્તિ 

૨૩. યુગપુરુષ વિવેકાનંદ-કિશોર મકવાણા 


પુસ્તક સંહિતા :: પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક

Sunday, February 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૨

        
       
        
         પવિત્ર સ્થાન એટલે એવું સ્થાન જ્યાં માણસને ભગવાનની ટપાલ મળે.એ ટપાલ મળે તે માટે બે બાબતો જરૂરી છે: મૌન અને એકાંત. ગુણવંત શાહનું આ વિધાન માણસને પોતાની જાત સાથે સમય વિતાવવાનો અનુરોધ તો કરે જ છે, પણ એ સાથે જ એક નવો માર્ગ બતાવે છે. એ માર્ગ એટલે પુસ્તક વાચન. વાચન માણસને વિચારવાન બનાવે છે. પુસ્તકો જીવનમાં પથદર્શક બની શકે છે. ઉત્તમ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે. આવા વાચનના પરિપાક સ્વરૂપે કેટલાક ઉત્તમ પુસ્તકોની યાદીનો બીજો મણકો આજે પ્રસ્તુત છે. 

૧. અરધી સદીની વાચન યાત્રા ભાગ-૧ -સંપાદક : મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સોક્રેટિસ (ક્લાસિક નવલકથા)-મનુભાઈ પંચોળી"દર્શક"

૩. પરોઢિયે કલરવ-ડો.ગુણવંત શાહ 

૪. એલ્કેમિસ્ટ-પોલો કોએલો 

૫. જય શ્રી કૃષ્ણ-જય વસાવડા 

૬. ધ સાયકોલોજી ઓફ મની-મોર્ગન હાઉઝેલ 

૭. સેપિયન્સ-યુવલ નોઆ હરારી 

૮. બેહદ બાની-સુભાષ ભટ્ટ
 
૯. મોર્નિંગ મંત્ર-ધ્વનિત ઠક્કર 

૧૦. હૈયું-મસ્તક-હાથ-ડો. ભદ્રાયુ વછરાજાની
 
૧૧. પાયાની કેળવણી-મહાત્મા ગાંધીજી

૧૨. અખેનાતન-ડો. આઈ. કે. વીજળીવાળા 

૧૩. રામકથા-ફાધર કામિલ બુલ્કે 

૧૪. સામ્યવાદનું સત્ય-સતિષચંદ્ર મિત્તલ 

૧૫. આપણી વાત-વર્ષા પાઠક 

૧૬. નાકોહસ-પુરુષોત્તમ અગ્રવાલ 

૧૭. શબ્દના સગા-રજનીકુમાર પંડયા 

૧૮. ઈન પ્રેઈઝ ઓફ વેસ્ટ ટાઈમ-એલન લાઈટમેન 

૧૯. રાષ્ટ્રવાદ-સ્વ. ભરત દવે 

૨૦. અથશ્રી-જીગ્નેશ અધ્યારુ 

૨૧. વાઇકિંગ-હરીશ નાયક (અપ્રાપ્ય હોવાથી મોટી લાઇબ્રેરીમાંથી લાવીને વાંચવી)

૨૨. ઊદયાસ્ત-નિમેશ. જ. પંડયા 

૨૩. દિવ્યચક્ષુ-રમણલાલ. વ. દેસાઈ 

આપની વાચનયાત્રા જ આપની આનંદયાત્રા બની રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
 


Thursday, January 22, 2026

વાચનયાત્રામાં આહુતિ-૦૧

       " મને લાગે છે કે આપણે એવા જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારીને આપણને જાગ્રત ન કરી દેતું હોય તો આપણે તે શીદને વાંચીએ છીએ ભલા? આપણને તો એવા જ પુસ્તકોની જરૂર છે કે જે કોઈ મોટી હોનારત જેવી અસર આપના પર કરે, ઊંડી વેદનામાં આપણને ડૂબાડી દે, જેને આપણે આપણી જાત કરતા વધારે ચાહ્યું હોય તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દૂર દૂરના જંગલોમાં આપણને ડૂબાડી દે, પુસ્તક તો આપણી અંદરના થીજી ગયેલા હિમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ. "

        મૂળે તો વર્તમાનના પ્રાગ શહેરમાં જન્મેલા ઉત્તમ નવલકથાકાર કાફકા એ લખેલા અને આપણા મહેન્દ્રભાઈ મેઘાણી અનુવાદિત અને પોતાના સંપાદિત પુસ્તક અરધી સદીની વાચનયાત્રા ભાગ-૧ માં સમાવિષ્ટ આ કૃતિ જાતે જ પુસ્તકોનો વૈભવ અને પુસ્તકોની તાકાતનું વર્ણન આપણી સમક્ષ કરે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ કક્ષા અને વૈવિધ્ય ધરાવતા પુસ્તકો લખાયા છે અને ગુજરાતી વાચકો એને હોંશે હોંશે વધાવે પણ છે ત્યારે આપણી આ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર નામની સર્જનભૂમિ પર વર્ષ-૨૦૨૩ થી એક નવી યાત્રા સ્વરૂપે દર મહિનાની ૨૩ તારીખે ઉત્તમ રસદાર અને પાણીદાર એવા અલગ અલગ ભાષાઓના વિવિધતાસભર ૨૩ પુસ્તકોની યાદી મૂકવામાં આવશે. આ યાદીમાં ભૂતકાળ અને વર્તમાન સમયના શ્રેષ્ઠ લેખકોના પુસ્તકો પસંદ કરીને એની યાદી મૂકવામાં આવશે. અમારો આ પ્રયાસ આપને ગમશે એવી જ અભિલાષા. આપની વાચનયાત્રા આપને આનંદ આપનારી બની રહે એવી શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે પ્રથમ મણકો.

૧.સૌરાષ્ટ્રની રસધાર-ઝવેરચંદ મેઘાણી

૨.ઝેર તો પીધા છે જાણી જાણી -મનુભાઈ પંચોળી

૩.મોતીચારો શ્રેણી(ભાગ ૧ થી ૯ )-ડો.આઈ.કે.વીજળીવાળા

૪.કાર્ડિયોગ્રામ-ડો.ગુણવંત શાહ

૫.રણમાં ખીલ્યું ગુલાબ-ડો.શરદ ઠાકર

૬.વિશ્વમાનવ-જીતેશ દોંગા

૭.જય હો-જય વસાવડા

૮.કૃષ્ણાયન-કાજલ ઓઝા વૈદ્ય

૯.ઓફ બીટ-અંકિત ત્રિવેદી

૧૦.અનહદબાની-સુભાષ ભટ્ટ

૧૧.પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા 

૧૨.સાંઈ-ઈશા અંતરંગ પત્રોનું સંપાદન-મીનું ભટ્ટ અને વિમલ. વ. દવે 

૧૩.હાઉ ટુ ટોક ટુ એની વન-લાયલ લાઉડસ 

૧૪.અર્લી ઇન્ડિયન્સ-ટોની જોસેફ 

૧૫.એ વાત મને મંજૂર નથી-નાઝીર દેખૈયા 

૧૬.ગ્રીન લાઇટ્સ-મેથ્યુ મેકોનહે 

૧૭.ડાયલોગથી દેવભાષા-જય ઓઝા 

૧૮.મુસ્લિમસ અગેઈન્સ્ટ પાર્ટીશન ઓફ ઈન્ડિયા-શમસુલ ઈસ્લામ 

૧૯.ગુજરાતનું રાજકારણ મારી નજરે-અરવિંદ પટેલ 

૨૦.આંધળો યુગ-અનિરુદ્ધસિંહ ગોહિલ 

૨૧.રામાયણની અંતરયાત્રા-સ્વ. નગીનદસ સંઘવી 

૨૨.નવા વિચારો-સ્વામી સચ્ચિદાનંદ 

૨૩.આ ગર્લ હુ એટ બુક્સ-નીલાંજના રોય્ 

તા. ક : મૂળમાં તો આ વિચાર મારા પ્રિય લેખક જયભાઈ વસાવડાએ લખેલા પુસ્તક વેકેશન સ્ટેશન અને એમની ગુજરાત સમાચારમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ અનાવૃત અને કેલિડોસ્કોપના આર્ટિકલો વાંચવાથી સૂજ્યો છે. એટલે જ જયભાઈએ ડિસેમ્બર માસની ૧૮ તારીખે પોતાના લેખમાં આપેલી યાદીમાં માંથી પણ કેટલાક પુસ્તકો અહીં સમાવ્યા છે. અમુક આગળની યાદીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આમ તો આ શ્રેણી ૨૦૨૨ માં ખૂબ જ ઉત્સાહ સાથે શરુ કરી હતી પણ વ્યસ્તતાઓ વચ્ચે એક કે બે જ મણકાઓ શક્ય થવાથી આ વર્ષે ફરીવાર નવા ઉમંગ અને ઉત્સાહ સાથે તેમજ નવા જ શીર્ષક સાથે શરૂઆત કરી છે. અહિયાં માત્ર પુસ્તકોની યાદી જ મૂકવાનો ઉપક્રમ છે. આ પુસ્તકોની વિશેષતાઓ માટે તો જયભાઈની કોલમ, ફેસબુક પર પણ અમુક સાહિત્યના શોખીન મિત્રો પુસ્તક રિવ્યુ લખે છે ત્યાંથી, કોઈ બ્લોગ પરથી અને સૌથી ઉત્તમ રસ્તો છે, સીધા જ જઈને આ પુસ્તકનો જ સથવારો કરવો પડશે. તો જાણો. માણો અવનવા પુસ્તકો વિશે અને ખોવાઈ જાવ એક મજાનાં વિશ્વલોકમાં જ્યાં મળશે અનહદ અને અઢળક આનંદ જ આનંદ !!!!!! 

( પુસ્તક ફોટો સોર્સ : ગૂગલ ) 

Saturday, October 25, 2025

નૂતન વર્ષના શિવ સંકલ્પો

           

         દર વર્ષે આવતા તહેવારોની સાથે સાથે માણસ પોતાના જીવનને જાણવા કે સમજવાનો પ્રયત્ન પણ કરતો હોય તો એ તહેવાર ની ઉજવણી સાર્થક થાય છે.  માત્ર પોતાના જ વિચારો કરવાને બદલે આસપાસના લોકોની સાથે સાથે જરૂરિયાત મંદ સુધી આપણી સંવેદના પહોંચાડીએ તો દિવાળી જેવા પર્વનું મહત્વ સિદ્ધ થયું કહેવાય છે. આવા તહેવારોમાં આપણે પણ દર વર્ષે જુદા જુદા પ્રકારના સંકલ્પો લેતા હોઈએ છીએ. કંઈક નવીનતા જીવનમાં ઉમેરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હું પણ દર વર્ષે કેટલીક વાતો નવી વિચારી અને પોતાની ડાયરીઓમાં ઉતારતો હોઉં છું, આ વર્ષે એમ થાય છે કે આવી કેટલીક વાતોને પોતાના મિત્રો સાથે વહેંચીએ. અહીંયા ઉતારેલા કેટલાક સંકલ્પો છે જે સૌને બંધબેસતા હોય તો સ્વીકારવા અન્યથા આપણે તો એટલામાં જ રાજી !!

1. પોતાની જાતનો સ્વીકાર કરીને અસ્તિત્વના ઉદ્દેશયને અનુસરીને શ્રેષ્ઠ બનવાનો સંકલ્પ.

2. સતત શાણપણ સાથેના વાંચન થકી પોતાના વિચારોને સમૃદ્ધ કરી અને વિચારોને અનુસરવા પ્રયત્નશીલ. 

3. પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહેવાનું છે. 

4. સતત ને સતત નાવિન્યતા સભર શીખવાનો અભિગમ કેળવવાનો અને પોતાની જાતનો વિસ્તાર કરવો.

5. સ્વયમની નબળાઈઓ જેવી કે ક્રોધ અતિ વિચારો,  વ્યગ્રતા,  અજંપો, વગેરે પર કાબુ મેળવવા માટે શાંત થવાનો તથા મૌન રહેવાનો પ્રયત્ન સતત કરવો.

6. સ્વ નિયંત્રણ એક ગુણ છે, જીવન સરળ નથી પરંતુ જો હિંમત હોય તો તે આનંદદાયક બની શકે છે.

7. સમય કાઢીને મહિને એકવાર પોતાની જાત સાથે આખો દિવસ વિતાવવા માટે દૂરના સ્થળનો પ્રવાસ કરવો અને એકલા જ જવું અને જાતને મળવું તથા સ્વની ખોજ કરવી.

8. ડાયરી લેખન સાથે સાથે વાંચનનો પ્રસાદ પણ લખવો તેમજ વહેંચતો રહેવા માટે નિયમિત અને જાગૃત પણે પ્રયત્ન કરવો.

9. પોતાના નિજાનંદ માટે ગમે તેમ કરીને સમય કાઢવો,  અને વાંચન સાથે ફિલ્મો જોવી, પ્રવાસ કરવો, મિત્રોને મળવું, સંગીત સાંભળવું અને સ્વની ખોજ કરવી અને બીજાને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવો.

10. સારા સ્વસ્થ માટે નિયમિત ચાલવાનો શિવ સંકલ્પ, યોગ પ્રાણાયામ સાથે હળવી કસરતો કરવી તેમજ પોતાના ખાન પાન પર નિયંત્રણ રાખવા કટિબદ્ધ.

11. નિયમિતતા, પ્રમાણિકતા, સાતત્યતા, સત્ય, પ્રેમ, કરુણા, આદર, વિશ્વાસ, આનંદ, ઉમંગ, ઉત્સાહ, જેવા ગુણો કેળવવા અને આચરણમાં ઉતારવા.


Tuesday, April 22, 2025

વિશ્વ પુસ્તક દિવસ 2025 :: પુસ્તકો : જ્ઞાન અને ડહાપણનો ખજાનો

        માનવ દેહના પોષણ કાજે જેમ ખોરાક જરૂરી છે, તેમ માનવ માનસના પોષણ કાજે વાંચન જરૂરી છે. પહેલું શારીરિક સાધન છે, બીજું માનસિક. સદગ્રંથોના પરિશીલન દ્વારા જીવનનું નિર્માણ થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ કેળવણીકાર શ્રી મનુભાઈ પંચોળી પુસ્તકોનું મહત્વ સમજાવતા કહેતા કે, “ પુસ્તકો સાચા અર્થમાં પારસમણી જેવા છે. જો તમારી પાસે ઘણા પુસ્તકો હશે તો તમને અભિન્ન મિત્ર, હિતચિંતક, પરામર્શદાતા અને સાંત્વના આપવાવાળાની ખોટ નહીં પડે. કોઈપણ ઋતુ અથવા કોઈપણ દશામાં પુસ્તકો તમને આશ્વાસન આપતા રહેશે.”

        જેમ્સ ક્રિમેન ક્લાર્ક પણ કહેતા કે,  “ ઉપનિષદ જેવા કેટલાય ગ્રંથોએ વિશ્વનું કલ્યાણ કર્યું છે, આજે પણ સતત કલ્યાણ કરતા રહે છે. પુસ્તકો આશા અને જ્ઞાનના દીપકને પ્રજવલિત કરે છે. નવી શ્રદ્ધા, બળ અને ધૈર્ય પ્રદાન કરે છે. પુસ્તકો જ વીતેલા યુગો તથા ભૌગોલિક રૂપથી અલગ દેશોને પરસ્પર જોડે છે. સૌંદર્યની નવી દુનિયાનું સર્જન કરીને સ્વર્ગમાંથી સત્યનું અવતરણ કરાવે છે. ”

        ગાંધીજી પણ પુસ્તકનું મહત્વ સમજાવતા કહે છે- “ પુસ્તકનું મૂલ્ય રત્ન અને ઝવેરાત કરતાં પણ વધારે છે. રત્નોમાં તો બહારથી ચમક-દમક દેખાય છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે. શ્રેષ્ઠ પુસ્તકો એક મહાન આત્માનું જીવન રક્ત હોય છે. પુસ્તક મનુષ્યના જીવનની જડીબુટ્ટી અને દીપકની પ્રજ્વલિત જ્યોતિ છે. જેવી રીતે વ્યાયામ કરવાથી શરીરને લાભ થાય છે તેવી જ રીતે સદગ્રંથોના વાંચનથી મસ્તિષ્કને લાભ પ્રાપ્ત થાય છે.” સારા પુસ્તકો એક પ્રકારનો અરીસો છે. જે રીતે શરીર પર લાગેલા ડાઘ અરીસા દ્વારા દ્વારા દેખાય છે તે જ રીતે મનુષ્યના અંતરમનનો ડાઘ કાઢવા માટેની શક્તિ સારા પુસ્તકોમાં છે.

        આજે ટી.વી., મોબાઈલ, કમ્પ્યુટર અને ઈન્ટરનેટના આ યુગમાં વિદ્યાર્થીઓ અને યુવાનો પુસ્તકો વાંચવાનું કે બીજી સર્જનાત્મક પ્રવૃત્તિ કરવાનું ટાળે એ સ્વાભાવિક છે. વળી, વિદ્યાર્થીઓ માત્ર પોતાના અભ્યાસના જ પુસ્તકો વાંચે છે, એ સિવાય જીવન વિકાસ થાય તેવા પુસ્તકો અને સામયિકો વાંચતા નથી જે યોગ્ય બાબત નહીં કહેવાય. વિદ્યાર્થીઓએ તથા દરેક વ્યક્તિએ અભ્યાસની સાથે અન્ય જીવન વિકાસ થાય તેવાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રો વાંચવા જોઈએ. આ ઇતર વાચન જ આપણો સર્વાંગી વિકાસ કરે છે. માત્ર પુસ્તકોનું જ્ઞાન મેળવીને ડીગ્રી મેળવી લેનાર વિદ્યાર્થીઓની કેળવણી મહદંશે અધુરી હોઈ હોઈ શકે. માત્ર ને માત્ર અભ્યાસનાં જ્ઞાન સાથે કોઈ વિદ્યાર્થી બુદ્ધિશાળી બની શકે પરંતુ તેવી સ્થિતિ ખૂબ લાંબી પરંતુ સાંકડી અને અંધારી ટનલમાં ચાલતા માણસ જેવી હોય છે. તે સ્વભાવથી વિશાળ કૂવામાં રહેલા દેડકાની જેમ કૂપમંડુક અને સંકુચિત થઈ જાય છે. ઈતર વાંચનથી જ આપણે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી આપણી મૌલિક શક્તિને મેળવી શકીએ છીએ. આમ, બુદ્ધિ-પ્રતિભાશાળી બનવા માટે વ્યક્તિત્વનો સમગ્રતયા વિકાસ કરવા માટે ઈતર વાંચનનું ખૂબ જ મહત્વ છે. સતત નવું નવું વાંચનની ટેવ પાડવી જોઈએ કારણ કે  ઉત્કૃષ્ટ પુસ્તકોનું વાચન ઉત્કૃષ્ટ માનવનું સર્જન કરે છે.

“A Book is our best friend. Books play an important role in our life.”

પુસ્તકો આપણી પાસે કશું જ માંગતા નથી. તે આપણને પુષ્કળ આનંદ આપે છે. પુસ્તકો આપણને એક અલગ જ કલ્પનાની દુનિયામાં લઈ જાય છે.

“A Book is a storehouse of knowledge and experience and knowledge itself is also a great source of pleasure.”

          પુસ્તકો ભૂતકાળ અને વર્તમાન કાળના ડહાપણનો અવાજ છે. પુસ્તકો આપણને માત્ર જ્ઞાન, માહિતી કે સૂચના જ નથી આપતા પણ પુસ્તકો આપણને મનોરંજન પણ પૂરું પાડે છે. જીવનની રોજબરોજની ચિંતા અને કામના બોજાને ભૂલવી આપણને શાંતિનો સ્વાદ ચખાડે છે. પુસ્તકો આપણું દુઃખ ભુલાવી આપણને આનંદ, સુખ આપી શકે છે. પુસ્તકો જ આપણને ઘરે ખુરશીમાં બેઠા બેઠા આફ્રિકાના જંગલોની, સહારાના રણની, એવરેસ્ટના શિખર પર તથા આર્કટિક મહાસાગરની હિમશિલાની સફર કરાવે છે. પુસ્તકોનું વાચન જ વ્યક્તિના મનને વિસ્તૃત બનાવે છે તથા હૃદયમાં પ્રસન્નતા આપે છે. પુસ્તકોના વાંચનથી આપણા શબ્દભંડોળમાં વધારો થાય છે, જેનાથી આપણે લોકો સાથે પ્રભાવશાળી રીતે વ્યવહાર કરી શકીએ છીએ. પુસ્તકોના વાંચનથી યાદશક્તિમાં વધારો થાય છે. વિશ્લેષણાત્મક વિચારસરણીનું કૌશલ્ય વિકસે છે. એકાગ્રતા તથા ધ્યાનને વધારે છે. સારી લેખન અભિવ્યક્તિનો વિકાસ થાય છે તથા વ્યક્તિને શાંતિ અને હળવાશ પ્રદાન કરે છે. ખરેખર સાચે જ પુસ્તકો એ જાદુ છે !

        બધા જ મહાન પુરુષોના જીવનમાં ડોકિયું કરીએ તો તેમનામાં એક આદત આપણને સમાન જોવા મળે છે અને તે છે -પુસ્તકોનું વાચન. બધા જ મહાન પુરુષો રોજ નવું સતત વાંચતા રહે છે. આવા કેટલાક મહાન પુરુષોના ઉદાહરણ નીચે મુજબ છે:

          ગરીબીમાં ઉછરેલા રીતસરની કેળવણી વગરનો એક નવયુવાન નાનપણમાં કરિયાણાની દુકાનમાં કામ કરીને, પડીકા બાંધવા માટેના છાપાના કાગળો વાંચતો. દુર્ગમ જંગલની વચ્ચે આવેલા પોતાના નાનકડા ગામની આસપાસના પચાસ માઈલના વર્તુળમાંથી મળી શકે તે બધા પુસ્તકો વાંચતો. લખવા માટે કાગળ ખરીદવાના પણ પૈસા નહોતા. આથી ઘરની દીવાલો પર, લાકડાના ફર્નિચર પર તથા ઝાડના થડ પર કોલસા વડે પુસ્તકોમાંથી સુંદર વિચાર લખતો. આ નવયુવક આપ બળે સ્વાશ્રયથી કેળવણી પામી આખરે અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ બને છે અને માનવતાને શોભે ચારિત્ર્યના બળે પોતાના દેશની મહામૂલી એકતા જાળવવા માટે અને ગુલામીના મહાપાપનું કાળસ કાઢી નાખવા માટે ધીરજપૂર્વક અને બહાદુરીપૂર્વક ધર્મયુદ્ધ ચલાવે છે. જેમાં તેમનો વિજય થાય છે. આ મહાન વ્યક્તિનું નામ છે- અબ્રાહમ લિંકન. અબ્રાહમ લિંકને નાનપણથી જ ઉત્તમ પુસ્તકોના વાંચનનો શોખ હતો. નવું નવું જાણવાની, શીખવાની, તેને આત્મસાત કરવાની ઝંખના તેમનામાં હતી.

        કોન રાલ્ડ હિલ્ટનના પુસ્તક ‘Be my Guest’ અને ‘શ્રીમદ્ ભગવદ્દગીતા’ના વાંચનથી પ્રેરાઈને એક સામાન્ય નોકરી કરતો યુવાન પૃથ્વીરાજસિંહ ઓબેરોય, ઓબેરોય ગ્રુપ ઓફ હોટેલ્સના માલિક બન્યા. તેમણે વિશ્વના 55 દેશોમાં વિશાળ હોટેલો સ્થાપી હતી.

આપણા દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જીવન પણ પુસ્તકોના વાંચન થકી જ બદલાયું હતું. એક પુસ્તકને કારણે જ આપણને એક વકીલ ગાંધીમાંથી એક મહાત્મા ગાંધી મળ્યા. આ પુસ્તક નું નામ છે, રશિયન લેખકનું પુસ્તક- ‘Unto this Last.’ જ્યારે ગાંધીજી ભારતથી દરિયાઈ માર્ગે દક્ષિણ આફ્રિકા જઈ રહ્યા હતા ત્યારે તેમણે સ્ટીમરમાં જોન રસ્કિનનું આ ‘અન ટુ ધિસ લાસ્ટ’ પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજીનું જીવન ધ્યેય જ બદલાઈ ગયું. તેમણે સ્ટીમરમાં આ પુસ્તકોનો ‘સર્વોદય’ નામે ગુજરાતીમાં અનુવાદ કરી નાખ્યો. પહેલીવાર ગાંધીજીને અહેસાસ થયો કે ‘હું તો માત્ર મારા માટે જ જીવું છું. મેં મારા રાષ્ટ્રના છેવાડાના માણસ માટે કશું જ કર્યું નથી.’ ત્યારબાદ તેઓ ૧૯૧૫માં ભારત પાછા ફરે છે અને દેશની આઝાદીની લડતમાં ઝંપલાવી ૧૯૪૭માં દેશને આઝાદ કરાવે છે. આ છે પુસ્તકની તાકાત!

          ઝવેરચંદ મેઘાણી જ્યારે બી.એ.માં અભ્યાસ કરતા ત્યારે તેમની પાસે જમવા અને ભણવા માટે પણ પૂરતા પૈસા નહોતા. કોલેજ જીવનમાં પોતાના રોજિંદા ખર્ચમાં કાપ મૂકીને પુસ્તકો ખરીદતા અને આવા અદભુત  પુસ્તકોના વાંચન દ્વારા તેઓ એક મહાન કવિ બન્યા.

Bill Gates Best five Books of 2019

          વિશ્વના ધનાઢ્ય માણસોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને રહેનાર હાર્વર્ડ યુનિવર્સિટીનું શિક્ષણ પણ જેમણે પૂર્ણ નથી કર્યું એવા માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સ પણ પુસ્તકોના વાચનને ખૂબ જ મહત્વ આપે છે. બિલ ગેટ્સ પોતાની વ્યસ્તતામાંથી સમય કાઢીને રોજ એક કલાક પુસ્તકો વાંચે છે. તેમના પિતાતો તેમને પુસ્તકોનો કીડો કહેતા. તેઓ જમવા બેસતા ત્યારે પણ વાંચતા. આજે પણ તેઓ સમગ્ર વર્ષ દરમિયાન વાંચેલા શ્રેષ્ઠ પુસ્તકોની યાદી દર વર્ષે ડિસેમ્બર મહિનામાં જાહેર કરે છે. તેઓ કહે છે કે- “વર્તમાન પ્રવાહોથી અપડેટ રહેવા તથા નવું શીખવા માટે પુસ્તકો વાંચવા ખૂબ જ જરૂરી છે.”

          થોમસ આલ્વા એડિસનનું નાનપણ ખૂબ જ ગરીબીમાં વિત્યુ. તેમની પાસે જમવા કે ભણવા માટેના પૈસા સુદ્ધાં નહોતાં. પોતાના જમવા માટેના પૈસામાંથી અડધી બ્રેડના પૈસા બચાવીને તેઓ પુસ્તક ખરીદી લેતા હતા.

 Abdul Kalam’s Favorites Books

         આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ તથા મિસાઈલ મેન એવા અબ્દુલ કલામને પણ પુસ્તક વાંચનનો ગજબનો શોખ હતો. જ્યારે તેઓનો રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવનમાંથી વિદાય લેતી વેળા તેમના સામાનમાં 2500 જેટલા પુસ્તકો હતા. એ સિવાય થોડાં કપડાં, બુટ હતા. એ સિવાય બીજું કશું જ નહોતું. તેઓ કહેતા-“Literature also influenced me deeply. These three books have made my life.” તેઓ પુસ્તકોને જ પોતાનો સાચો મિત્ર ગણતા હતા તથા પુસ્તકોને જ પોતાની સાચી સંપત્તિ માનતા હતા. તેમના ગમતાં પુસ્તકો નીચે પ્રમાણે હતા :

1. તમિલ કવિ તિરુવલ્લુવરનું – ‘થિરુક્કુરલ’

2.એલ.ઇ. વોટ્સનનું – ‘Lights from many Lamps’

3. ડેનિસ વેટલીનું (Denis Waitley) – ‘Empires of the Mind’

4. સ્ટીફન આર. કોવીનું  – ‘Every Day Greatness’

આમ, આપણે જોઈ શકીએ છીએ કે આ દુનિયા મહાન માણસોને પુસ્તકોના વાચનનો શોખ હતો અને પુસ્તકોના વાંચન થકી જ તેઓ મહાન બન્યા હતા.

      જેમ ભોજન લીધા પછી એનું પાચન મહત્વપૂર્ણ છે, તેમ કંઈ વાંચીએ તેને પચાવવું આવશ્યક છે. બીમારીમાંથી મુક્તિ મેળવવા માટે વૈદકીય પુસ્તકોનું વાચન જ પૂરતું નથી પણ એમાં જણાવેલી દવા કે ઉપચાર કરવા આવશ્યક છે, તેમ સારા પુસ્તકોનું વાંચન કર્યા પછી એ વિચારોનો જીવનમાં અમલ કરવો ખૂબ જ આવશ્યક છે. જો એ ન થાય તો વાચનનો કોઈ અર્થ રહેતો નથી. એ માત્ર સમયની બરબાદી જ છે. તેથી સારા પુસ્તકોના વાંચન થકી જીવનમાં મહત્વપૂર્ણ બદલાવ લાવવા તેના વિચારોને વ્યવહારમાં અપનાવવા ખૂબ જ જરૂરી છે. પુસ્તકો વાંચતો માણસ અને પુસ્તકો ન  વાંચતા માણસના વ્યક્તિત્વમાં ફરક દેખાવો જોઈએ તો જ પુસ્તકોનું વાંચન સાર્થક થયું ગણાય.

        આજે Amazon ના Kindle  જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર પુસ્તકો વાંચવા મળે છે. ઇન્ટરનેટ, કમ્પ્યુટર અને મોબાઇલના માધ્યમથી ઓનલાઇન ડીજીટલ પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. દેશ અને દુનિયાનું કોઈ પણ દુર્લભ પુસ્તક આપણી ઓનલાઇન મંગાવીને વાંચી શકીએ છીએ. આજે તો ડિજીટલ લાઇબ્રેરી પણ અસ્તિત્વમાં આવી છે ત્યારે આપણે વધુને વધુ આ ટેકનોલોજીનો લાભ લઈ વધુને વધુ વાંચવું જોઈએ. આપણે સૌ ભગવદ્દગીતાનું વાંચન કરતાં રહીએ અને સ્વવિકાસ કરતા રાષ્ટ્રના વિકાસમાં પોતાનો ફાળો આપી એક શ્રેષ્ઠ આદર્શ માનવ બની, આદર્શ સમાજની રચના કરીએ એ જ અભ્યર્થના.

“જેવી રીતે શરીરની માટે કપડા બુટ ચંપલ વગેરે જોઈએ છે તેવી જ રીતે મનને માટે પુસ્તકો જોઈએ છે.”

                                                                                                                                -રવીન્દ્રનાથ ટાગોર

Saturday, January 11, 2025

આજનું યુવાધન કયા માર્ગે ???

           

             “ જો મને સો નચિકેતા જેવા યુવાનો મળી જાય તો હું આ પૃથ્વી પર અસામાન્ય કર્યો થકી પૃથ્વીવાસીઓ માટે નવીનતમ જીવનની દિશા અને દશા બંને બદલી નાખું. આ સમગ્ર વિશ્વમાં ચારેય તરફ આધ્યાત્મિકતાની જ્યોત જલાવી દઉં ” આ શબ્દો છે આપણા જ ભારતીય મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદના. ખૂબ જ નાની ઉમરમાં જેમણે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની જ્યોત સમગ્ર વિશ્વ સમક્ષ પ્રકટ કરી અને ભગવદગીતા જેવા મહાન ગ્રંથનો આધાર લઈને તેમણે અમેરિકામાં પણ ભારતનો ડંકો વગાડી દીધો. આવા આ યુગપુરુષના શબ્દો આજના કોઈપણ યુવાન માટે પ્રેરણામય છે અને હંમેશા રહેશે. યુવાન કેવો હોવો જોઈએ એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે યુવાન ઉત્સાહી અને કોઈપણ ઈશ્વરકાર્ય માટે થનગનતો હોવો જોઈએ. હું તો સાગરને પણ પી જઈશ એટલી આત્મશક્તિ અને એવા જ આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. આવો યુવાન જ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે છે. 

           આજનું યુવાધન કયા માર્ગે અને યુવાનોનો માર્ગ કેવો હોવો જોઈએ એ વિષય સદાયને માટે ચિંતન અને મનનનો રહ્યો છે. જુદા-જુદા મંતવ્યો અને જુદી-જુદી વ્યક્તિઓના જીવનધોરણને અનુસરતો આ વર્ગ સતત પોતાના જીવનને ઉત્તરોતર નવીનતા અને સર્જનાત્મકતા સભર બનવા મથતો રહે છે. આજના યુવાનોને મળતી સુવિધાઓ અને સગવડોને કારણે એમના પોતાના વિકાસ અને એમની કારકિર્દીને લગતી વિશાળ તકો એમની આસપાસ ઊભી થઈ છે. આજે ખૂબ જ ઉત્તમ કક્ષાની શાળાઓ અને એમાં આપવામાં આવતી સુવિધાઓના પરિણામે દરેક યુવાનો પાસે પોતાની મનપસંદ કેરિયર બનાવવાનો એક સોનેરી અવસર આવ્યો છે. જૂની-પુરાણી રૂઢીઓ અને બંધનોને તોડીને આજનો યુવાન પોતાના શોખને સાથે લઈને એને જ કમાણીનું એક ઉત્તમ સાધન બનાવી જાણે છે. 

          નવા નવા સ્ટાર્ટઅને કારણે આ યુવાનો પોતાની પ્રતિભાથકી જ દેશમાં નવા નવા પ્રોજેક્ટ તૈયાર કરે છે. દેશમાં વિદેશી રોકાણ અને વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં આ યુવાનો જ ખૂબ મહત્વનો ફાળો આપે છે. પોતાને મળતી સગવડોને તેઓ બીજા સાથે વહેંચતા જરા પણ અચકાટ અનુભવતા નથી. ખૂબ જ સરળતા સાથે તેઓ દરેક સાથે ભળી જાય અને નિખાલસતાપૂર્ણ રીતે તેમની વાતો રજૂ કરી શકે છે. માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમાજ માટે પણ સતત ને સતત કઈંક પ્રદાન કરવાની તત્પરતા દાખવે છે. આવી બાબતો માટે તે વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ટેકનોલોજીનો પણ ઉત્તમ સમન્વય સાધીને શ્રેષ્ઠ રીતે સમાજનું ઋણ અદા કરે છે. 

           જો સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણને લઈને આજના યુવાનોની વાત કરવામાં આવે તો આવા સંસાધનોનો સકારાત્મક ઉપયોગ કરીને ઘણા યુવાનો પગભર થયા છે અને પોતાની સાથે પરિવારને પણ એક ઉત્તમ કક્ષાની જીવનશૈલી આપી છે. પોતાના સપનાઓને નવી ઊંચાઈ પ્રદાન કરે છે. પોતાના વિવિધ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ યુવાનો નવી નવી એપ્લિકેશન થકી દુનિયામાં ક્રાંતિ કરવામાં સફળ થયા છે. સત્યા નદેલા. સુંદર પિછાઈ જેવા યુવાનો અમેરિકામાં પણ ભારતની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. બીજી તરફ સતત સોશિયલ મિડીયાના ઉપયોગના કારણે યુવાનો સતત મોબાઇલમાં જ પોતાનો સમય વ્યતીત કરતાં હોય છે અને સમય જતાં પોતાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંને ગુમાવી દેતા હોય છે. ઘણીવાર ઘણીવાર પોતાના રોજિંદા કાર્યોની પણ તેઓ અવગણના કરતાં હોય છે. આવી જ બાબતોને કારણે તેઓ પરિવાર અને કેરિયરને પોતાનો સમય આપતા નથી. ઓનલાઈન એક હજાર મિત્રો ધરાવતો યુવાન વાસ્તવમાં પાંચ મિત્રોને પણ રૂબરૂમાં મળતો નથી અને આવી જ પરિસ્થિતિ પરિવારમાં સર્જાય એટલે જ વિસમવાદિતા ઊભી થતી જાય છે. 

         પણ પણ પણ હવે મારે વાત કરવી છે એવા યુવાનોની જેઓ માત્ર પોતાની જ નહી પણ પોતાની જેવા અનેક લોકો જેમને જીવન જરૂરિયાતની સગવડો ઉપલબ્ધ નથી, તે પૂરી પાડનાર યુવાનોની વાત કરવી છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવીને નજીકના કે દૂરના ગરીબ કે નિરક્ષર બાળકોને ભણાવે છે, તેમનો શિક્ષણનો ભાર પણ ઉપાડે છે. ઘણા યુવાનો પોતાની કમાણીનો અમુક ભાગ કાઢીને તહેવારોમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં અને શ્રમજીવી પરિવારોની પાસે જઈને આવા તહેવારો ઉજવે છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન જેવા સંકલ્પો પણ ઘણા યુવાનો ચલાવે છે.

યુવાવાણી : કર્મશીલ અને સાહસિક યુવાનો થકી જ ભારતની આવતીકાલ ખૂબ જ ઉજ્જવળ છે. 

Monday, April 22, 2024

વિશ્વ પુસ્તક દિવસ 2024 :: પુસ્તકો શા માટે વાચવા જોઈએ ?

 પુસ્તકો  શા માટે વાચવા જોઈએ ?       

       હું જ્યારે જ્યારે Thick Nhat Hanh (ટીક નાટ હાન)ના પુસ્તકો વાચું છું, એમની વાતો સાંભળું છું કે એમનો ચહેરો જોઉં છું, ત્યારે ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે કે જાણે જાતની અંદર ધમપછાડા કરતું પાણી, એમના વિચારો સાંભળીને અચાનક શાંત થઈ જાય છે. વિએતનામમાં જન્મેલા અને ૯૫ વર્ષની ઉંમરે પહોંચેલા તેઓ એક ઝેન ગુરુ અને શાંતિ કાર્યકર્તા છે. પચાસથી વધારે પુસ્તકો, અસંખ્ય વિડીયોઝ અને પોડકાસ્ટમાં પ્રકાશિત અને પ્રસારિત થતાં તેમના વિચારો, કોઈપણ સામાન્ય માણસની જિંદગી બદલી શકે તેમ છે. તેઓ ફક્ત વિશ્વશાંતિ માટે જ નહીં, દરેક મનુષ્યની વૈયક્તિક શાંતિ માટે પણ એટલા જ સક્રિય છે. તેમના પુસ્તક ‘At home in the world’માં તેમણે એક સુંદર પ્રસંગ લખ્યો છે.

        બન્યું એવું કે નોર્થ અમેરિકાની એક જેલમાં, મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને ટીક નાટ હાનનું એક પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તકનું નામ, ‘Being peace’. દેહાંતદંડનો દિવસ નજીક આવતા પહેલા, એ ગુનેગારે આ આખું પુસ્તક વાચી નાખ્યું અને એનાથી પ્રેરાઈને તેણે પોતાના જ સેલની અંદર મેડિટેશન કરવાનું શરૂ કર્યું. અંતિમ દિવસોમાં, તેણે તમાકુ ખાવાનું પણ છોડી દીધું. હવે બન્યું એવું કે એની બાજુની ઓરડીમાં જે ગુનેગારને રાખવામાં આવેલો, એ પણ તમાકુનો બંધાણી હતો.

        એક દિવસ એવું બન્યું કે તીવ્ર તલપ લાગતા, એ ગુનેગારે આ મૃત્યુદંડની સજા મળેલા ગુનેગાર પાસે તમાકુ માંગી. એણે પૂછ્યું, ‘થોડી તમાકુ આપશો ?’. પોતે તમાકુ છોડી દીધા હોવા છતાં હાજર રહેલા સ્ટોકમાંથી થોડી તમાકુ તેણે પાડોશી ગુનેગારને આપી. તમાકુ આપતી વખતે તેણે પોતાની પાસે રહેલા પુસ્તક ‘Being peace’નું પહેલું પાનું ફાડી નાંખ્યું, અને તમાકુ એ પાનાંમાં વીંટાળીને બાજુના ગુનેગારને આપ્યું. બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું એ રીતે તમાકુ આપવાના બહાને એક ગુનેગારે પોતાની પાસે રહેલું આખું પુસ્તક બીજા સુધી પહોંચાડી દીધું. આ બીજો ગુનેગાર તમાકુ ખાતા ખાતા દરરોજ એક પાનું વાંચતો. એ રીતે ધીમે ધીમે તેણે આખું પુસ્તક પૂરું કર્યું. શરૂઆતમાં આક્રમક, તોફાની અને ગુનાહિત માનસિકતા ધરાવતો આ કેદી ધીમે ધીમે શાંત થવા લાગ્યો. માથા પછાડવાને બદલે કલાકો સુધી તે પોતાની ઓરડીમાં શાંતિથી બેસી રહેતો. એક સુંદર પુસ્તક મોકલવા બદલ થોડા દિવસ પછી તેણે બાજુના કેદીને એક ‘થેન્ક યુ’ લખેલી ચિઠ્ઠી મોકલાવી. એ બંનેના મનમાં રહેલો એક કોમન વિચાર એ હતો કે આ પુસ્તક આપણે પહેલા વાંચ્યું હોત, તો આજે આપણે અહીંયા ન હોત.

        કારાવાસમાં હોવા છતાં પણ એ બંને ગુનેગારો, એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં પુરાયેલા હોઈએ છીએ. એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે, તફાવત બસ એક પુસ્તકનો જ હોય છે. 

ડો. નિમિત્ત ઓઝાની ફેસબુક વોલ પરથી મળેલા મોતીડા )

Tuesday, April 2, 2024

સર્જનની સરવાણી-૬૬

35 વાંચન ટિપ્સ મેં 350+ પુસ્તકો વાંચ્યા પછી શીખી છે :: એલેક્સ બુક્સ દ્વારા ટિપ્સ

 1) વાંચનનો સૌથી અઘરો ભાગ શરૂ કરવા માટે બેસવાનો છે.

 2) તેજસ્વી પુસ્તકો માટે જગ્યા બનાવવા માટે કંટાળાજનક પુસ્તકો છોડો.

 3) એક પુસ્તક વાંચવાથી તમારું જીવન ન બદલાય પણ દરરોજ વાંચવાથી ઘણું બધું બદલાઈ જશે.

 4) ઓછા પુસ્તકો વાંચો જે દિવસોથી આસપાસ છે, વધુ પુસ્તકો વાંચો જે દાયકાઓથી આસપાસ છે.

 5) જો તમે ક્યારેય કહો છો કે તમારી પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી, તો ફક્ત તમારા ફોનના સ્ક્રીન સમય પર એક નજર નાખો.

 6) બધા વાંચનને વાંચન તરીકે ગણવામાં આવે છે – તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તે ફોર્મેટ શોધવા માટે પ્રિન્ટ બુક્સ, ઈબુક્સ અને ઑડિયોબુક્સનો પ્રયાસ કરો.

 7) તમે તેમાંથી કેટલા પુસ્તકો મેળવો છો તે મહત્વનું નથી, તે તમારા દ્વારા કેટલા પુસ્તકો મેળવે છે તે મહત્વનું છે.

 8) તમારા ફોનને સાયલન્ટ પર મૂકો અને વાંચતા પહેલા તેને બીજા રૂમમાં છોડી દો અને તમે તમારું ધ્યાન 10x કરી શકશો.

 9) સારા પુસ્તકો વાંચો, મહાન પુસ્તકો ફરીથી વાંચો, ગ્રાઉન્ડબ્રેકિંગ પુસ્તકો ફરીથી ખરીદો.

 10) તમે વાચક ન બનો અને પછી પુસ્તકો વાંચવાનું શરૂ કરો.  તમે પુસ્તકો વાંચવાનું શરૂ કરો અને પછી વાચક બનો.

 11) એકસાથે વાંચવાનું છોડી દેવા કરતાં પુસ્તક છોડવું વધુ સારું છે.

 12) જો કોઈ પુસ્તક તમારું જીવન બદલી નાખે છે, તો તેને વર્ષમાં એકવાર ફરીથી વાંચવાનું લક્ષ્ય રાખો.

 13) તમે જે પુસ્તકોનો આનંદ માણ્યો ન હોય તેને પરત કરો, ફરીથી મોકલો અથવા રિસાયકલ કરો.

 14) સ્પીડરીડિંગ એ અડધા જેટલું યાદ રાખવા માટે બમણું ઝડપી વાંચન છે.

 15) વાંચવા માટે શ્રેષ્ઠ સ્થાનો એરોપ્લેન, દરિયાકિનારા અને ઉદ્યાનો છે.

 16) બધા વાચકોએ જે વિધિમાંથી પસાર થવું જોઈએ તે એ છે કે બીજાઓ તેમના માટે પુસ્તકો પસંદ કરે તેની રાહ જોવાને બદલે પોતાને માટે પુસ્તકો કેવી રીતે પસંદ કરવા તે શીખવું (જેમ કે માતાપિતા, શિક્ષકો અને પ્રોફેસરોએ કેવી રીતે કર્યું).

 17) પુસ્તકના સારાંશ વાંચવા એને તમે પુસ્તક વાચવા સમાન સમજો છો તે વિચારવું એ મૂવીનું ટ્રેલર જોવા જેવું છે અને વિચારવું કે તમે મૂવી સમજો છો કે જુઓ છો. 

 18) સ્પીડરીડિંગની વિડંબના એ છે કે જો તમે કોઈ પુસ્તકને ઝડપથી વાંચી શકો તો તે વાંચવા યોગ્ય નથી.  શ્રેષ્ઠ પુસ્તકો ઝડપથી વાંચવા માટે અશક્ય છે કારણ કે તે તમને સતત રોકાવા અને વિચારવા માટે મજબૂર કરે છે.

 19) વાંચનનો ધ્યેય એપ્લિકેશન છે, યાદ નથી.  માહિતીને યાદ રાખવાનો પ્રયાસ કરવાનો સમય પસાર કરવાનું બંધ કરો અને તેના બદલે માહિતી લાગુ કરવા માટે સમય પસાર કરો.

 20) જો તમારે વાંચવાની ટેવ કેળવવી હોય તો દરરોજ 2 મિનિટ વાંચવાનું લક્ષ્ય નક્કી કરો. આ ધ્યેય એટલું નાનું છે કે તે ન કરવા માટે વાજબી બહાનું શોધવું અશક્ય છે.

 21) જે વ્યક્તિ પુસ્તકનો સારાંશ લખે છે તેને સારાંશ વાંચનાર વ્યક્તિ કરતાં 10 ગણો વધુ ફાયદો થાય છે.

 22) જો તમે કોઈ પુસ્તક વાંચો છો પરંતુ તમારી વર્તણૂક અથવા વિચારસરણીમાં કોઈ ફેરફાર ન કરો, તો કાં તો પુસ્તક ચૂસી ગયું છે અથવા તમે કંઈ શીખ્યા નથી.

 23) માત્ર એ કારણ કે તમે એક પુસ્તક ખરીદ્યું છે તેનો અર્થ એ નથી કે તે તેને સમાપ્ત કરવા માટે બંધનકર્તા કરાર સાથે આવ્યો છે.

 24) દરેક વ્યક્તિ જે વર્ષમાં 100+ પુસ્તકો વાંચે છે તેને કાં તો વાંચવા (લેખક, શૈક્ષણિક, પોડકાસ્ટર, સામગ્રી સર્જક) અથવા સાહિત્ય વાંચવા માટે ચૂકવણી કરવામાં આવવી જોઈએ. 

 25) કોઈ માણસ ક્યારેય એક જ પુસ્તક બે વાર વાંચતો નથી, કારણ કે તે એક જ પુસ્તક નથી અને તે એક જ માણસ નથી.

 26) પુસ્તકો એક રોકાણ છે, ખર્ચ નથી.  $10નું પુસ્તક તમને $100,000 અથવા તો $100 બિલિયન કમાઈ શકે છે ("ધ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર" વિશે વોરેન બફેટની ટિપ્પણી જુઓ).

 27) તમારી વાંચન પ્રેરણા કરતાં તમારું વાંચન વાતાવરણ વધુ મહત્વનું છે.  રોક કોન્સર્ટમાં અદ્ભુત પુસ્તક કરતાં પુસ્તકાલયમાં સરેરાશ પુસ્તક વાંચવું સહેલું છે.

 28) તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારી સાથે એક પુસ્તક રાખો. તમે ક્યારેય જાણતા નથી કે તમે વાંચતા વધારાના સમય સાથે તમારી જાતને ક્યારે શોધી શકશો.

 29) તમને જીતવા માટે પુસ્તકને 3 તકો (પ્રકરણો) આપો.  જો તમે ત્યાં સુધીમાં તેમાં ન હોવ, તો તે બહાર છે અને તેને છોડવા વિશે દોષિત ન અનુભવો.

 30) સરળ રીડિંગ ટીપ્સ ::  તમારા ફોન પર ઈબુક અથવા ઓડિયોબુક ડાઉનલોડ કરો જેથી જો તમારી પાસે ભૌતિક પુસ્તક ન હોય તો તમારી પાસે હંમેશા વાંચવા માટે કંઈક હોય.

 31) તમે કોઈ લેખકના સૌથી વધુ વખાણ કરી શકો છો તે દર્શાવે છે કે તમે તેમનું પુસ્તક લખ્યું, પ્રકાશિત કર્યું અને ખાઈ લીધું.  જો તમે તેમને કોઈ નૈસર્ગિક પુસ્તક બતાવો, તો તેઓ વિચારશે કે તમે તે વાંચ્યું પણ નથી.

 32) ટૂંકા પુસ્તકો વાંચવામાં વધુ સમય પસાર કરો.  કેટલાક વાર  ટૂંકા પુસ્તકોમાં સૌથી ઊંડા પાઠ હોય છે.

 33) કાલાતીત સમસ્યાઓ માટે કાલાતીત પુસ્તકો વાંચો.  આધુનિક સમસ્યાઓ માટે આધુનિક પુસ્તકો વાંચો.

 34) પુસ્તકો એ અંતિમ જીવન હેક છે: $10 માટે તમે 10 કલાક કે તેથી ઓછા સમયમાં 10 વર્ષનું શાણપણ ડાઉનલોડ કરી શકો છો. 

 35) પુસ્તકો વાંચવાનું શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય 10 વર્ષ પહેલાનો હતો. ફરીવાર નવી શરૂઆત કરવાનો બીજો શ્રેષ્ઠ સમય આજે છે.

( ફેસબુક પરથી મળેલા વાચનનાં વીણેલા મોતીડા )

Saturday, April 22, 2023

વિશ્વ પુસ્તક દિવસ 2023

આજે *રાજેશ વ્યાસ* “મિસ્કિન”ના શબ્દો સાથે *વિશ્વ પુસ્તક દિવસ* ને વધાવીએ....📖📖

પુસ્તક મિત્ર છે

આપણા એકાંતનું,

તે વડીલ છે, સંસ્કારનું.

તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકને ખોલો છો તેની સાથે જ

ખુલવા લાગે છે તમારું હૃદય.

બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં

તમે તેમને અરીસાની જેમ

જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને

ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો

ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ

તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,

મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે

નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે

પુસ્તક બહાર અને

ભીતર જોડતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ

ફરી પાછો કોઈ આરંભકાળનો

આદિવાસી બની જાય

તે પહેલાં ચાલો,

પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.


Thursday, March 30, 2023

સર્જનયાત્રાનું મંથન-૧૦૦


        ધારો કે આપણે માટલાની અંદર બહુ પ્રેસર આપીએ તો તે ફાટી પડે, તેવી રીતે પૃથ્વીની અંદર આટલું બધું પ્રેસર હોવા છતાં પૃથ્વી તેના ભારથી ફાટી કેમ પડતી નથી? (એમાં પાછા માણસો કરોડો વર્ષોથી તેમની એક્ટિવિટી દ્વારા નવાં પ્રેસર પેદા કરતા રહે છે). એનું કારણ એ છે કે પૃથ્વીના કેન્દ્ર (inner core)માં, લોહ અને નિકલનું બનેલું લગભગ ભારતના આકારનું ઘન ક્ષેત્ર છે, જે સૂરજની સપાટી જેટલું ગરમ છે. તેની આજુબાજુમાં મોલ્ટન આયર્ન (અત્યંત ગરમીથી પીગળેલા લોહ)નો જથ્થો છે. તેની સાથે ઘન ક્ષેત્રના નિયમિત ઘર્ષણથી મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) સર્જતું રહે છે, જે પૃથ્વીને ફાટી પડતી રોકે છે. 

        પૃથ્વી શરૂઆતમાં એક ધગધગતો તારો જ હતી. અબજો વર્ષો પછી તેની સપાટી ઠંડી પડી, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં સૂરજની હાજરી હોવાથી તેની ગરમીથી liquid condensation (પ્રવાહી ઘનીકરણ)ની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં વરાળમાંથી સમુદ્રો બન્યા અને એ પાણીમાંથી જીવનની ઉત્પત્તિ થઈ. પૃથ્વીની ઠંડા પડવાની પ્રક્રિયા અટકી નથી. કેન્દ્રમાં મોલ્ટન આયર્નનું પ્રવાહી ક્ષેત્ર નિયમિત રીતે ઘન થઈ રહ્યું છે, જે છેવટે પૃથ્વીને મંગળ કે બુધ ગ્રહની જેમ ઉજ્જડ બનાવી દેશે. એ જીવનનો પણ અંત હશે.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

            વ્હાલા વાચક મિત્રો આ મણકા સાથે સર્જનયાત્રાનું મંથન શ્રેણી અહિયાં પૂર્ણ કરવામાં આવે છે. મળીશું નવી વાતો અને વિચારો સાથે આપણા પોતાના બ્લોગ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પર જ્યાં વાંચો અલગ અલગ વિષયો અને સાથે સાહિત્ય તેમજ વિવિધતાસભર વાંચવાલાયક પુસ્તકોની યાદીઓ.. જય જગત..  

Monday, March 27, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૯

 

        1971માં, ફિલિપ ઝિમ્બારડો નામના સોશ્યલ સાઇકોલોજીસ્ટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગ કર્યો હતો. તેણે 24 લોકોને પસંદ કરીને અમુકને જેલના કેદી અને અમુકને સંત્રી બનાવ્યા હતા. બંને જૂથોને એકબીજા વિશે ખબર નહોતી. સંત્રીઓ માનતા હતા કે કેદીઓ અસલી અપરાધી છે, અને કેદીઓને એમ હતું કે તેઓ અસલી જેલમાં અસલી સંત્રીઓના હાથમાં છે.

        પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે સત્તા અને લાચારી કેવી રીતે માણસને અમુક રીતે વર્તવા પ્રેરે છે. પ્રયોગ શરૂ થયાના અમુક કલાકોમાં જ સંત્રીઓએ તેમનો પરચો બતાવવાનું શરૂ કર્યું, અને કેદીઓએ વિદ્રોહ શરૂ કર્યો. એમાં સંત્રીઓએ એવો અત્યાચાર વર્તાવાનું શરૂ કર્યું કે અઠવાડિયામાં જ પ્રયોગ રોકી દેવો પડ્યો. સંત્રી તંદુરસ્ત મનના હતા, પરંતુ સત્તા મળી તો ક્રૂર બની જતાં વાર ન લાગી. આ પ્રયોગથી સિદ્ધ થયું કે, સાધારણ વ્યક્તિ હોય કે વડાપ્રધાન, સત્તાનો દુરુપયોગ કરવાની વૃતિ માણસમાં જન્મજાત હોય છે. હિટલર એટલે જ 60 લાખ યહૂદીઓને મારી નાખવા સક્ષમ બન્યો હતો. માણસ મૂળભૂત રીતે પશુ છે, અને પશુઓમાં સાચા-ખોટાનો વિવેક તેમની તાકાતની ભાવનામાંથી આવે છે. જેટલી તેની તાકાત વધે, યોગ્ય-અયોગ્યનો તેનો ભાવ વ્યક્તિગત થતો જાય.

                            *Power corrupts and absolute power corrupts absolutely.*

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )