Saturday, April 22, 2023

વિશ્વ પુસ્તક દિવસ-૨૦૨૩

આજે *રાજેશ વ્યાસ* “મિસ્કિન”ના શબ્દો સાથે *વિશ્વ પુસ્તક દિવસ* ને વધાવીએ....📖📖

પુસ્તક મિત્ર છે

આપણા એકાંતનું,

તે વડીલ છે, સંસ્કારનું.

તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકને ખોલો છો તેની સાથે જ

ખુલવા લાગે છે તમારું હૃદય.

બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં

તમે તેમને અરીસાની જેમ

જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને

ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો

ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ

તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,

મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે

નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે

પુસ્તક બહાર અને

ભીતર જોડતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ

ફરી પાછો કોઈ આરંભકાળનો

આદિવાસી બની જાય

તે પહેલાં ચાલો,

પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.