Thursday, May 21, 2020

મહાન ગણિતજ્ઞ-6 : પાયથાગોરસ


        વિશ્વમાં થઇ ગયેલા અનેક ગણિતશાસ્ત્રીઓની ગલીઓમાં ફરતા ફરતા આપણે આજ ગ્રીસ જઇએ. વિશ્વની પ્રાચીનત્તમ સંસ્કૃતિ અને અનેક અજયબીઓની સાથે વિશ્વને કાંઇ અનોખુ પ્રદાન કરવાની ગ્રીસની પરંપરા રહી છે. ઓલિમ્પિક જેવી રમતોનો જનક પણ ગ્રીસ જ છે. અનેક મહાન વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓની સાથે ઘણા ગણિતજ્ઞોની પણ એ જન્મભૂમિ છે. આવા જ આ ગ્રીસ દેશના સામોસ નામના એક દ્વીપમાં પાયથાગોરસનો જન્મ થયેલો. એમના જીવનચરિત્ર વિશે વધારે જાણકારી પ્રાપ્ય નથી. અમુક માન્યતાઓ પ્રમાણે એણે ભૂમધ્ય સમુદ્રની પેલે પાર આવેલા મિસ્ત્ર એટલે આજના સમયના ઇજીપ્તમાં જઇને ત્યાંની વિદ્યાશાળાઓમાં અભ્યાસ કર્યો અને નિરીક્ષણ પણ કર્યુ.

        ઇ.સ ૫૨૯માં ગ્રીસના પાશવી સમ્રાટ પાલીક્રેટીસે પાયથાગોરસને દેશનિકાલ આપ્યો પછીથી તે દક્ષિણ ઇટાલી જતો રહ્યો અને ત્યાં એણે પોતાના અનુયાયીઓનો એક વિશાળ વર્ગ ઊભો કર્યો. તેણે એક એવા સંપ્રદાયનો પાયો પણ નાખ્યો કે જેમાં જોડાયેલા બધા જ વિશ્વબંધુત્વની ભાવનાથી ભરેલા હતા. એમને ગણિત અને દર્શનશાસ્ત્ર પર જ શ્રધ્ધા હતી.

        આ તમામ લોકો સુખી, સંપન્ન અને ચરિત્રવાન કુટુંબોમાંથી આવતા હતા. એમની માન્યતા એવી હતી કે માનવનો આત્મા કયારેય મરતો નથી. આત્મા વારંવાર વિશ્વમાં જન્મ ધારણ કરે છે. આત્મસંયમ, આંતરિક પવિત્રતા અને અનુશાસનપ્રિયતા વગેરે એમના સંપ્રદાયના પ્રતિકો હતા.એમના શિષ્યોએ જ સૌ પ્રથમ કોપરનિકસને એવો સંકેત આપેલો કે સમગ્ર બ્રહ્યાંડનું કેન્દ્ર સૂર્ય છે. પાયથાગોરસના વિશ્વાસ પ્રમાણે ગ્રહો નક્ષત્રોનો પથ પણ વર્તુળાકાર જ હોવો જોઇએ, કારણકે પરિભ્રમણ માટે વૃતાકાર સિવાય કોઇપણ શ્રેષ્ઠ રસ્તો નથી, તેમજ સ્થૂળ પદાર્થોમાં વૃત જ અધિક નક્કર આકાર છે. પાયથાગોરસના શિષ્યો એમના ગણિતના જ્ઞાનને સંગીતના ક્ષેત્રમાં પણ લઇ આવ્યા હતા. એમના મત પ્રમાણે સંગીતના મધુર સ્વરો એ મૂળભૂત રીતે એક કર્ણપ્રિય ધ્વનિ હોય છે. કેટલાક તાર-સ્વરો એવા હોય છે કે જેઓ સમૂહમાં વાગે તો ખુબ જ મધુર લાગે છે. જો આ સમૂહ તુટે તો આ ધ્વનિ ઘોંઘાટ પણ બની જાય છે.

     પાયથાગોરસના ગણિતશાસ્ત્રમાં પ્રદાનની વાત કરવામાં આવે તો ભૂમિતિમાં પાયાના સૂત્ર તરીકે પાયથાગોરસ પ્રમેયની ગણના થાય છે. આ પ્રમેય વિના ભૂમિતિ પાયા વગરના મકાન સમાન લાગે છે. વિશ્વમાં પાયથાગોરસના પ્રમેયને મળેલું અનુમોદન જેટલી લોકપ્રિયતા બીજા કોઇપણ મૌલિક નિયમને મળી નથી. પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઇનો વર્ગએ તેની બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા સમાન હોય છે. ભૂમિતિમાં ખુબ જ પ્રસિધ્ધિ પામેલા પાયથાગોરસના આ પ્રમેયની એક-સો (૧૦૦) કરતા પણ વધારે સાબિતીઓ મળે છે.

        એમના માટે એરિસ્ટલ એવું કહેતા કે પાયથાગોરિયન પરંપરાને વરેલો સમાજ સંપૂર્ણ રીતે સંગીતને સમર્પિત હતો. જેના કારણે જ ગણિતની આ પ્રગતિ શકય બની છે. આવા મહાન ગણિતશાસ્ત્રીઓ વિશે વિશ્વ આજે પણ અજાણ છે. તે પોતાને ફિલોસોફર અને શાણપણનો પ્રેમી કહેતો. એના વિચારોનો પ્લેટો પર ખુબ જ પ્રભાવ હતો. તે યહુદી માન્યતાઓ સાથે સંકળાયેલા પણ હતા. જીવનના અંતિમ સમયમાં અજા•યા કારણોસર મેટાપોન્ટમમાં ૯૦ વર્ષની વયે એમનું અવસાન થયું.

Saturday, May 9, 2020

સોશિયલ મીડિયા અને આપણે !!!

           


        " સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. સોહનભાઈ તમારી ટપાલ આવી છે. સોહનભાઈને ગામનો ટપાલી હાથમાં ટપાલ આપે છે અને સોહનભાઈ ટપાલીનો આભાર માનીને ટપાલ વાંચવાનું ચાલુ કરે છે. પોતાનો પરમ મિત્ર વેદાંત કે જે ગાંધીનગરમાં છે તેની ટપાલ વાંચીને સોહનભાઈ આનંદથી ઝૂમી ઉઠે છે. પોતાના પરિવારજનોને આ વાત કરતા તેમના આનંદની કોઈ સીમા નથી. " આવો મીઠો મધુરો સંવાદ આજના આ સમયમાં હવે લગભગ કોઈપણ જગ્યાએ સાંભળવા મળતો જ નથી.આવી બાબતોનું મુખ્ય કારણ વિચારીએ તો એ છે સોશિયલ મીડિયા. એક ટચની ટીક માત્રથી જ પોતાના સગા-વ્હાલા અને મિત્રો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કે વ્યવહાર શક્ય બનાવતુ આ માધ્યમ એટલે સોશિયલ મીડિયા. વર્તમાનમાં નાના હોય કે મોટા કોઈપણ વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી અંજાયા વિના રહી જ ના શકે. આ સોશિયલ મીડિયા આજના સમયમાં દરેકજણ માટે જાણે જીવાદોરી સમાન બની ગયું છે.  

            ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ જેવા અનેક માધ્યમોથી આજે કોઈપણ વ્યક્તિ અજાણ હોય તેવું બનતું નથી. કદાચ  કોઇપણ વ્યક્તિએ આ નામ જો સાંભળ્યું ના હોય તો એને અભણ માનવામાં આવે એવી આજની વાસ્તવિકતા છે. આ માધ્યયમોએ જ આજના સમયમાં માહિતીની આપ-લે કરવાની રીત-ભાતમાં ધરમૂળથી બદલાવ કરી નાખ્યો છે. આ માધ્યમો આજે વિશ્વના કોઈપણ સ્થળે રહેલા બે વ્યક્તિઓને કોઈપણ સમયે એકબીજા સાથે જોડી શકે છે, એ પણ સરહદોની મર્યાદા વિના. 
        પત્ર-વ્યવહારમાં પણ ઈમેલના કારણે સેકંડોના સમયમાં સંદેશોની આપ-લે થઈ જાય છે. ફેસબુક, ટ્વિટર જેવા માધ્યમો પર તો દરેક જણ પોતાની દરેક પ્રકારની વિગતો અને વાતો મૂકીને જાણે પોતાની જાતને જ ખુલ્લી કરી રહ્યા છે. દરેક લોકો આજે જાણે લાઇકની માયાજાળમાં ભમતા થઈ ગયા છે. જેટલી લાઇક વધારે એટલો જ આનંદ વધારે એવો માહોલ આજના સમાજમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયાના જ કારણે સમગ્ર વિશ્વમાં ક્યારેય પણ બનતી સારી કે નરસી એવી તમામ બાબતોની જાણકારી તરત ક પ્રાપ્ત થઈ જાય છે. માણસો આજે જાણે ફોરવર્ડની પરંપરામાં જીવતા થઈ ગયા હોય એવું લાગે છે.

          સોશિયલ મીડિયાના આ સચોટ માધ્યમને કારણે આજે વિશ્વમાં ક્રાંતિકારી બદલાવો આવી રહ્યા છે. લોકો એકબીજા સાથે જોડાઈ રહ્યા છે અને વિવિધ જાણકારીઓની આપ-લે થાય છે. આ જ સોશિયલ મીડિયાના કારણે શિક્ષણ, સ્વાસ્થ્ય, બિઝનેસ અને બધા જ ક્ષેત્રોમાં ક્રાંતિ સર્જાઇ છે. લોકો પોતાના મનની વાત વિના સંકોચે જણાવતા થઈ ગયા છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ નવી-નવી પદ્ધતિઓ આ સોશિયલ મીડિયા થકી જ લોકો સુધી પહોંચી રહી છે. યુટ્યૂબ જેવા માધ્યમ થકી તમે સમગ્ર દુનિયમાં રહેલા કોઈપણ સારામાં સારા શિક્ષક અને પ્રોફેસરના ક્લાસ અટેન્ડ કરી શકો છો. સ્વાસ્થ્ય અને આરોગ્ય જેવી ઘણી બધી માહિતી વિવિધ સાઇટ્સ અને અલગ-અલગ એપ્લિકેશન થકી મેળવી શકાય છે. ઘણા બધા રોગો અને બિમારીઓની તકેદારીઓના પગલાઓ માટે પણ કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકાય છે.  

       કોઈપણ વ્યવસાય કે બિઝનેસનાં માર્કેટિંગ અને પ્રમોશન માટે પણ ફેસબુક, ટ્વિટર કે વૉટ્સઅપ જેવા માધ્યમોની મદદથી સરળતાથી તમારી કોઈપણ પ્રોડક્ટ અને સેવાઓ કે સર્વિસની જાણકારી સમગ્ર વિશ્વ સુધી મોકલી શકાય અને વ્યવસાયને આગળ વધારી શકાય છે. સોશિયલ મીડિયા તો જાણે માર્કેટિંગનો પ્રાણ બની ગયો છે. એમેજોન અને ફ્લિપકાર્ટ જેવા માધ્યમોએ તો જાણે લોકોને ઘર બેઠા જ મનગમતી વસ્તુઓ પણ ડિસ્કાઉન્ટ સાથે મેળવતા કર્યા છે. જેના થકી સારી એવી નોકરીઓ પણ નિર્માણ થઈ છે, જે આ મધ્યમોના ઉપયોગની બાયપ્રોડક્ટ ગણી શકાય. 

          હવે આપની જાણકારી જાણકારી પ્રમાણે જે વસ્તુઓની સારી બાબતો થકી પ્રગતિ કરી શકાય તો એના જ ઉપયોગમાં જો બેદરકારી દાખવવામાં આવે તો સમસ્યાઓ પણ એટલી જ આવી શકે છે. આજે આ સોશિયલ મીડિયાના કારણે જ માણસો સતત માનસીક તાણનો અનુભવ કરે છે. સતત ને સતત ફોન ચેક કર્યા કરવાની આદત થઈ જાય છે. એક સર્વે અનુસાર ભારતના યુવાનો દરરોજના સરેરાશ ૩ થી ૪ કલાક આ સોશિયલ મીડિયાની પાછળ બગાડે છે. નકામી એપ્લિકેશન અને સાઇટ્સને સર્ચ કરવામાં કે નકામાં સંદેશાઓને મોકલવામાં માણસો એકબીજાનો સમય પણ બરબાદ કરે છે. મોકલવામાં આવતો દરેક સંદેશ બધા જ લોકોને ઉપયોગમાં આવી શકે એવું જરાપણ હોતું નથી ને. 

           આ સોશિયલ મીડિયાને કારણે જ લોકોની ઊંઘમાં પણ ઘટાડો થઈ ગયો છે. જ્યારે જાગે ત્યારે મોબાઈલ ચેક કર્યા કરવાનું તો જાણે વળગણ થઈ ગયું છે. આવી જ આદતોને કારણે સામાજીક સંબંધોમાં પણ તાણા-વાણાઑ વધી ગયા છે. લોકો ફોન પર હજારો મિત્રો રાખે છે, પણ હકીકતમાં એકબીજાને મળવા માટે સમય ફાળવી શકતા નથી. ફેસબુક પર ૫૦૦ કર ૧૦૦૦ મિત્રો વાળાને પણ જઈને પૂછો કે કેટલા જણને તમે વાસ્તવિક રીતે જાણે છે કે મળ્યા છો તપ એમ જ કહેશે ૫ કે ૧૫. અહિયાં વિચારવાની વાત એ છે કે આ સોશિયલ મીડિયાના કારણે જ સંવાદિતા ઘટવા લાગી છે. પોતાના જ ઘરમાં સાથે રહેતા યુવાન કે બાળકો સતત ફોનમાં મચી રહેવાના કારણે મોટા વડીલોથી દૂર થઈ રહ્યા છે એમ લાગે છે. 

            નાના બાળકોને પણ આ સોશિયલ મીડિયાનું તો જાણે વળગણ થઈ પડ્યું છે. મોબાઈલ અને એમાં આ સોશિયલ મીડિયાંના કારણે ખૂબ જ નાની ઉંમરમાં આ બાળકો વિવિધ પ્રકારના નવા નવા રોગોના શિકાર બની રહ્યા છે. અરે કરુણતા તો એ વાતની છે કે ઘણા માતા-પિતા પણ એમ ફરિયાદ કરતાં રહે છે કે સાહેબ અમારા બાળકો ફોન વિના જમતા નથી ને ફોન ન આપીએ તો સૂતા પણ નથી. આવી નાની મોટી પારિવારિક તકલીફો વધવાને કારણે જ સમાજમાં વિસંવાદિતા થાય છે. સોશિયલ મીડિયા પર બિનજરૂરી માહિતી મોકલવાના અભિગમને કારણે સમયનો બગાડ તો થાય જ છે પણ વર્તમાન સાયન્ટિસ્ટના તારણો પ્રમાણે જે કચરો આ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના માધ્યમ અને મીડિયા થકી ફેલાય છે તેના જ કારણે ગ્લોબલ વાર્મિંગમાં પણ વધારો થઈ રહ્યો છે. આવા તો ઘણા બધા ગેરફાયદાઓ પણ ગણાવી શકાય.   

             અંતમાં એટલું જ કહેવાનું કે જે માધ્યમો કે ઉપકરણો માનવ સમાજની ઉન્નતિ અને વિકને ગતિ આપવા માટે બનાવવામાં આવ્યા છે તેનો જો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માણસને તે પ્રગતિ અને ઉન્નતિના શિખર પર બેસાડી શકે છે અને એક નાનકડો એવો પણ દુરુપયોગ સમગ્ર માનવજાતનો વિનાશ નોતરી શકે છે. 

સર્જનવાણી : બીજા વિશ્વયુદ્ધ બાદ જે અણુશસ્ત્રો વિશ્વશાંતિની સ્થાપના કરવા માટે બનાવવામાં આવ્યા હતા તેણે જ માનવોની શાંતિ હણી નાખી છે.