Tuesday, December 29, 2020

સર્જનની સરવાણી-૧૮

       

         એક દિવસ ચીનના સમ્રાટે મહાત્મા કન્ફ્યુશિયસને કહ્યું: મહાત્માજી ! દેવ કરતાં મહાન છે એવી વ્યક્તિ પાસે મને લઈ જાઓ. કન્ફ્યુશિયસ બોલ્યા : એક તો તમે જ પોતે એ મહાન વ્યક્તિ છો; કારણકે તમને સત્ય જાણવાની ઈચ્છા થઈ છે એટલે આપ મહાન છો.

        સમ્રાટ બોલ્યા : આમ હોય તો હું મારા કરતાં પણ વધારે મહાન વ્યક્તિને મળવા માગીશ અને એના દર્શન કરવા માગીશ. ઘણીવાર મહાન માણસો સંબંધી વાતો આપે મને કર છે, એટલે આપ માંને એમની પાસે લઈ જાઓ. ત્યારે મહાત્મા કન્ફ્યુશિયસ થોડીવાર સમ્રાટ તરફ જોઈને બોલ્યા કે : અહીંથી ઊઠીને આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે તે વ્યક્તિ હું છું. હું સત્ય ઉપર પ્રેમ રાખું છું એટલે હું તમારા કરતાં પણ મહાન વ્યક્તિ છું. 

        ફરીવાર સમ્રાટે કહ્યું કે તો પછી મારે આપણા બંને કરતાં પણ મહાન હોય એવી વ્યક્તિનાં દર્શન કરવા છે, આપણ ઘણીવાર અલગ-અલગ મહાત્માઓ વિષે વાત કરો છો, તો મને એમની પાસે લઈ જાઓ. આ સાંભળીને મહાત્માજી બોલ્યા કે : રાજન  અહીથી આપે ક્યાંય જવાની જરૂર નથી, કારણકે એ મહાન વ્યક્તિઓ આપણી આસપાસ જ છે. જુઓ પેલી ડોસી જેને સો વર્ષ થઈ ગયા છે, તેમછતાં તે કોદાળી લઈને કૂવો ખોદે છે. એને એ કૂવાની કોઈ જરૂર નથી, તેમછતાં તે પરમાર્થ માટે પોતાનું કાર્ય કરી રહી છે. એટલા માટે એ ડોસી આપણા બધા જ કરતાં પણ મહાન છે. 

સર્જનવાણી: હંમેશા પરમાર્થ કાજે જીવન જીવતા રહો, ઈશ્વર ખૂબ જ દયાળુ છે અને એની મહાનતા સાબિત કરવા માટે જ આપણને અહિયાં મોકલવામાં આવ્યા છે. 

Thursday, December 24, 2020

ગીતાજયંતીનું મહાત્મ્ય કેમ ?


વિશ્વમાં જ્યારથી માણસ જનમ્યો ત્યારથી અત્યાર સુધીમાં બધી જ ભાષાઓમાં કલ્પનાતિત સંખ્યામાં અનેક ગ્રંથો લખાયા છે અને આવનારા સમયમાં પણ લખાતા જ રહેશે, પણ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં મહર્ષિ વેદવ્યાસ સંકલિત શ્રીકૃષ્ણાર્જુન સંવાદિત અને મહાભારત ગ્રંથમાં સમાવિષ્ટ એક ગ્રંથ એટલે શ્રીમદ્ ભગ્વદ્ ગીતા ! ગીતા એ ભગવાનનાં શ્રીમુખથી નીકળેલું કાવ્ય છે. ગીતા એક જ એવો ગ્રંથ છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે.

પ્રશ્ન કોઈપણ હોય, ગમે તે કાળનો હોય, જાતિ-સમાજ-ધર્મ કે સમયથી ઉદ્ભવેલો હોય પણ ગીતા તે દરેક પ્રશ્નનો તાર્કિક અને વ્યાવહારિક જવાબ આપે છે. જીવન સંગ્રામ છે તેથી युद्धाय कृतनिश्चय, જીવન રમત છે તેથી तुष्यन्ति च रमन्ति च, જીવનમાં દુર્બળતા છે તો क्षुद्रं ह्रदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ કહીને તે કાઢીને ફેંકી દે, તેમ ગીતા કહે છે. એક ભૂલ થઈ જવાથી જીવન ખલાસ થતું નથી, તેથી ગીતા કહે છે કે તું અતિશય દુરાચારી હોઈશ, મહાન પાપી હઈશ તો પણ તું બદલી શકે છે, તારામાં Can Do વૃત્તિ નિર્માણ થઈ શકે છે. હું બનીશ જ, હું થઈશ જ, હું બદલીશ જ, હું બદલાવીશ જ, હું મેળવીશ જ આ હિંમત અને ખુમારી ગીતા આપે છે.

વિવિધ વર્ગનાં લોકોને માટે ગીતા ગુણોની સારસંભાળ માટે આજ્ઞા કરે છે. શમ, દમ, તપ, યજ્ઞ જેવાં ગુણો સંસ્કૃતિનાં ઉત્કર્ષ અને સંવર્ધન માટે બ્રાહ્મણ વર્ગ એ કેળવવાનાં છે. સંસ્કૃતિની રક્ષા કરનાર ક્ષત્રિયોને શૌર્ય, તેજ, ધીરજ અને દક્ષતા જીવનમાં લાવવાનું કહે છે. વૈશ્ય વર્ગ વૈદિક સંસ્કૃતિને સંભાળે છે, તેથી તેને કૃષિ, પશુપાલન અને વેપારમાં ભળવાની આજ્ઞા કરે છે. શૂદ્ર પોતાની વિત્તશક્તિ અને સાધનશક્તિનો સમાજ માટે ઉપયોગ કરે જેથી સમાજની ભૌતિક જરૂરિયાતો પુરી થઈ શકે તે માટે ભગવાન માર્ગદર્શન કરે છે. જેવી રીતે સામાજીક જીવનનાં ચાર પાસાંની વાત કરી, તેવી રીતે વ્યક્તિજીવનની ૩ પગથીની પણ ભગવાન વાત કરે છે - બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ પણ સૂચક છે. દરેક સમયનો અનુભવ સાથે લઈને જીવન ઘડવાનું છે. ૬૦ વર્ષે ઢીમ ઢળી જાય તો વાંધો નહી, એવી નમાલી દ્રષ્ટિ નહી પણ तुष्यन्ति च रमन्ति च ની તેજસ્વી વૃત્તિ પ્રત્યેક અવસ્થામાં વણાય શકે છે, તે પણ ગીતા સમજાવે છે.

संन्यास નો ગમતો અર્થ ન કરતાં યોગ્ય અર્થ ગીતા આપે છે - काम्यानां कर्मणां न्यासं संन्यासो कवयो विदु: - કામ્ય કર્મોને ભગવાનનાં ચરણે ધરવાનાં ! ઈચ્છા, આસક્તિ કે જીજીવિષા; ફક્ત ભગવાન જ પુરી કરી શકશે તેનો અતુટ અને અટલ વિશ્વાસ ગીતા સમજાવે છે. સ્ત્રીઓમાં રહેલાં કીર્તિ, લક્ષ્મી, સ્મૃતિ, ધીરજ જેવાં ગુણો પણ મારી વિભૂતિ છે, તેમ ભગવાન કહે છે. વિદ્યાર્થીને ભગવાન કહે છે - तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया - જો તારે વિદ્યા મેળવવી હશે તો તારી પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા એમ ત્રણ ગુણો હોવા જોઈએ; આવી આડકતરી રીતે આ ગુણો ખીલવવા માટે પણ ભગવાન જણાવે છે. મારે જો જ્ઞાન જોઈતું હશે તો જ્ઞાન, ગુરુ અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે.

ગીતા સમજાવે છે કે બુદ્ધિમાં તિરાડ પાડીને વિષય ફેંકી દેવાથી લોકોનો વિશ્વાસ ગુમાવી બેસવો પડે, તેનાં બદલે તેમની કદર કરીને, સાથે રાખીને તેમની કુશળતાને સંસ્કૃતિનાં સંવર્ધનમાં કામે લગાડવી જોઈએ (गीता ०३/२६). સમાજમાં જે સંપન્ન અને અનુભવી એવા મોટા લોકો છે, તેમનાં પર પણ સમાજને બદલવાની જવાબદારી છે તેથી તેણે સમાજને યોગ્ય દિશામાં અને યોગ્ય પ્રમાણમાં દોરવણી કરવી જોઈએ (गीता ०३/२१). જ્ઞાની હોય, સંતોષી હોય, વિવેકી હોય, આધ્યાત્મિક હોય તો પણ, દરેક વ્યક્તિએ સિદ્ધાંતો લોકોનાં જીવનમાં સંક્રાંત થાય, લોકોનાં જીવન ભગવાનનાં ભાવ, પ્રેમ અને કરૂણાથી ભીંજાય તેવાં બનાવવાં જોઈએ તે માટે બધુ આવડે છે એટલે કંઈક કરવાની જરૂર નથી તેમ ન સમજતા બીજા લોકોનાં ઉદ્ગમ અને ઉત્કર્ષ માટે તારી કુશળતા ભગવાન માટે વાપરવા લાગ તો તે યોગ બની જશે, તેમ ભગવાન કહે છે.

રોટલો કમાવા પુરતું જ જીવન નથી, તે જવાબદારી તો ભગવાન પોતાનાં માથે લે છે, શરત એટલી જ છે કે મારે એકમેવ ધ્યાનથી ભગવાનનું કહ્યું માનવાનું છે અને બીજા લોકો માનતાં થાય તે માટે પ્રયત્ન કરવાનો છે અને આવો થોડો પણ પ્રામાણિક પ્રયત્ન હું કરીશ તો પણ મહાભયંકર ભયથી મુક્ત થઈ શકીશ, તેમ ભગવાન કહે છે. વિશ્વાસ રાખ કે બાહ્ય આડંબર ફક્ત શરીરનો નાશ કરી શકશે, પણ આત્માને તે હણી શકતા નથી, આમ એક અર્થમાં મારો આત્મા, મારુ મન પણ ક્યારેય મરવાં જોઈએ નહી તેવી ભગવાન સમજ ધારણ કરવાનું કહે છે.

જીવન એટલે ઉંમરનો વધારો નહી પણ ગુણોનો વૈભવ ! ગીતા એ સ્થિતપ્રજ્ઞનાં ગુણો, ભક્તનાં ગુણો, દૈવી ગુણો, ત્રિગુણો જીવનમાં લાવવાની વાત કરી છે; ઉપરાંત ક્યારે ક્યાં ગુણનું મહત્વ સમજવું તે પણ શીખવ્યું છે. આ ગુણો પેઢીઓ સુધી સચવાય રહે તે માટે "યજ્ઞકર્મ કર" તેમ કહીને રસ્તો પણ ભગવાને કહ્યો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ કોઈ અલગ અલગ વિષય નથી પણ એકબીજા સાથે જોડાયેલી ઉપાસના પદ્ધતિ છે તેમ ભગવાન સમજાવે છે. ભગવાન તે પણ સમજાવે છે કે શરીરને કસવું જોઈએ તેવી રીતે મનને પણ કસવું જોઈએ. યજ્ઞ, દાન, તપ, મન, વાણી, બુદ્ધિ, ખોરાક કેવાં હોવાં જોઈએ તે પણ ભગવાન સમજાવે છે. જીવનમાં ક્યાં ગુણો મને દેવનો અને દેવ બનાવી શકશે તે ભગવાને કહ્યું છે, તેમ ક્યાં ગુણો મને રાક્ષસ અને અસૂર બનાવશે તે પણ ભગવાને કહ્યું છે.

નાક પકડીને બેસનારા લોકો ગીતાને વગોવે છે અને નિસ્તેજ સમાજ ગીતાને તરછોડે છે. આપણી જેવાં ડાહ્યા લોકોએ ગીતાને શબ્દોથી નહી, પણ અર્થોથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસંખ્ય ગુણો ભગવાને કહેલાં છે, તેમાંથી એકાદો ગુણ પણ જીવનમાં લાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. ગીતા પ્રયત્નવાદને માને છે, સમન્વય સાધે છે અને લોકસંગ્રહનું કામ કરે છે. હું દરેકનાં હ્રદયમાં બેઠેલો છું, દરેક જીવનો આત્મા હું છું, મારાથી છ બધી ક્રિયાઓ થાય છે એમ કહેનાર ગીતાનો કૃષ્ણ આપણી સાથે જ રહીને આપણને उपद्रष्टानुमंता च भर्ता भोक्ता महेश्वरः (ગીતા ૧૩/૨૨) જેવી અલગ અલગ ભૂમિકામાં રહીને આપણને જીવનદ્રષ્ટિ આપે છે. જે મારી સાથે જોડાયો તે યોગી, તેમ કહીને ભગવાન મને વૃત્તિનું મહત્વ સમજાવે છે. ભુખ્યાં ન રહેવું જોઈએ અને વધારે પણ ન ખાવું જોઈએ તેમ કહીને મારા સ્વાસ્થ્યની ફિકર કરે છે. માઁ જેમ ઝીણવટથી આપણું સંવર્ધન કરે, તેમ ગીતા આપણને પોષે છે.

છેલ્લે, ગીતા એક સિદ્ધાંત સમજાવે છે - કામ કર, ફળની આશા ન રાખ, હેતુ વગરનું કર્મ ન કર અને કર્મ કરવાનું ટાળીશ નહી; આ ચાર વાતો એ ગીતાનું હાર્દ છે. કામ કરવાનું છે - ભક્તિ તરીકે. ફળ મળવું જ જોઈએ - ઉપજ તરીકે. હેતુ વગરનું કામ એટલે - કહેવા પુરતુ કામ કર, રોડવવાં માટે કામ કર, દેખાડવાં માટે કામ કર, લખાવવાં માટે કામ કર તે ન ચાલે. દિલ અને દિમાગ પરોવીને તનતોડ મહેનત કર તેમ ભગવાન કહે છે. ડર, દુર્બળતા કે અનિશ્ચિતતાથી કામ છોડી દે તે ન ચાલે, તેનાં માટે સતત અને સંપૂર્ણ રીતે પ્રામાણિક પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ બધી વાત વાતમાં મુખ્ય વાત છે 


यज्ञार्थ कर्मणोन्यत्र लोकोयं कर्मबंधन : ।

तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचरन् ।।

ભગવાન સાથે જોડાવાં માટે અને જોડાય જઈને જે જે કામ કરે તે બધા જ કર્મો તકલીફ આપતા નથી, પણ મુક્તિ આપે છે. અને છેલ્લે, મન-બુદ્ધિથી નક્કી જ રાખ કે હું જે કર્મ કરુ છું, તેનું ફળ મારે લેવાનું જ નથી !! પ્રવૃત્તિ-નિવૃત્તિનો જગડો અનાદિકાળથી ચાલ્યો આવે છે, ત્યારે ભગવાને સંપૂર્ણ શાસ્ત્રીય વાત સમજાવી - કાર્ય કરવામાં પ્રવૃત્તિ અને ફળ મળે ત્યારે નિવૃત્તિ, આ જ છે ગીતાનો જયઘોષ !! ગીતા એટલે પ્રવૃત્તિ - નિવૃત્તિનો સમન્વય !!!

Gita is not the bible of hinduism but it is the bible of humanity એમ કહીને તત્વચિંતકો ગીતાનો મહિમા ગાય છે, ઈમર્સન અને થીબો તો તેમને માથે લઈને નાચેલાં !!! આપણે જ આપણો વારસો ક્યાંરથી સમજતાં થઈશું ? ગીતા એટલે માતૃહ્રદયનું વાત્સલ્યભર્યુ સ્તવન. તેને સમજવા માટે બુદ્ધિથી વધારે મન અને મન કરતાં ભાવની વધારે જરૂર છે. યુદ્ધનો દિવસ છતાં પવિત્ર દિવસ બની રહેનાર દિવસનાં સર્જક અને સેવક એવાં કૃષ્ણાર્જુનની જોડીને યાદ કરીએ, વિચારપ્રસાદ મેળવીએ, શાસ્ત્રીય નેમ લઈએ કે ગીતાને જીવનમાં લાવવાનો પૂરો પ્રામાણિક પ્રયત્ન કરીશું. એક મહાન શાસ્ત્ર જે ત્રિકાલાબાધિત છે તેને સમજવા અને તેણે કહેલાં રસ્તે ચાલીને જીવન પ્રભુને ગમતું કરવાનાં ઓરતાં સેવીએ તે જ અભ્યર્થના !!

📖શ્રીમદ્ ભગવદ્ ગીતા📖 વોટ્સઅપ પરથી સાભાર # જય શ્રી કૃષ્ણ 

Tuesday, December 22, 2020

સર્જનની સરવાણી-૧૭

        એક ભાઈ બગીચાના બાંકડે બેઠા હતા. પાસે એક બેગ હતી. મુલ્લા નસીરુદ્દીન બગીચામાં ટહેલતાં ટહેલતાં એમની પાસે આવ્યા અને બોલ્યા, ‘બહારના માણસ લાગો છો. તમને ક્યારેય જોયા નથી. ભાઈ બોલ્યા, ‘હા, હું દૂરના શહેરમાં રહું છું. મારી પાસે બધું છે. પૈસો છે, બંગલો છે, પ્રેમાળ પરિવાર છે, છતાં જીવનમાં મને રસ નથી પડી રહ્યો. એટલે થોડા દિવસની રજા પાડીને ‘મજા પડે એવું કંઈક’ શોધવા નીકળ્યો છું. હું સુખ શોધી રહ્યો છું.

        મુલ્લા કંઈ બોલવાને બદલે, એ ભાઈની બેગ આંચકીને ભાગ્યા. પેલો માણસ પણ પાછળ દોડ્યો. મુલ્લા દોડમાં પાક્કા, એટલે ખાસ્સા આગળ નીકળી ગયા. પેલો માણસ હાંફતો હાંફતો એમની પાછળ દોડતો રહ્યો. બે કિલોમીટર દોડ્યા બાદ મુલ્લા રસ્તાને કિનારે એક બાંકડા પર બેસી ગયા. થોડી વાર પછી પેલો માણસ હાંફતો-હાંફતો પહોંચ્યો. એણે તરાપ મારીને પોતાની બેગ લઈ લીધી. બેગ મળી ગયાનો આનંદ એના ચહેરા પર પ્રગટ્યો, એની બીજી જ પળે એણે ગુસ્સાથી મુલ્લાને કહ્યું, ‘મારી બેગ લઈને કેમ ભાગ્યા?’ 

           મુલ્લા: ‘કેમ વળી? તમે સુખ શોધવા નીકળ્યા છો, તો બોલો, બેગ પાછી મળી જતાં તમને સુખની લાગણી થઈ કે નહીં ? મેં તો તમને સુખ શોધવામાં મદદ કરી.’ આપણામાંના મોટા ભાગના લોકો પણ થોડા અંશે પેલા માણસ જેવા હોઈએ છીએ. જે કંઈ આપણી પાસે છે, એમાંથી ઝાઝું સુખ નથી મળતું. પણ પછી એ ખોવાઈ ગયા બાદ પાછું મળે ત્યારે સારું લાગે. આવું શા માટે?

        એટલે, હવે પછી જ્યારે મૂડ સારો ન હોય, ત્યારે ઘરમાંની બધી વસ્તુઓને શાંતિથી નીરખવી અને પછી વિચારવું કે આ વસ્તુ જો મારી પાસે ન હોય તો કેટલી તકલીફ પડે? કડકડતી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાનાં બાળકોના શરીર પર છાપાં પાથરી એના પર ઘાસ ‘ઓઢાડી’ને સૂવડાવી રહી હતી, ત્યારે એના ટેણિયા દીકરાએ ભાઈને પૂછ્યું, ‘હેં ભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની કેવી ખરાબ હાલત થતી હશે?’

        આપણી પાસે ઘાસ અને છાપાંથી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં હોય છે, એટલે હવે ક્યારેક ‘હું સુખી નથી... મારી પાસે આ નથી... મારી પાસે તે નથી... એવું લાગે ત્યારે એક નજર જે કંઈ આપણી પાસે છે તેના પર નાખી જોવી. જેમ કે, આવો સરસ મજાનો લેખ તમે ઓનલાઇન વાંચી શકો છો, તેના પરથી આટલી બાબત સાબિત થાય છે :

1. તમે ગરીબ નથી. સમગ્ર વિશ્વમાં આશરે 112 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે.

2. તમારી જાતને ઠંડી, ગરમી અને વરસાદ સામે રક્ષણ આપવા આશરો છે જે વિશ્વમાં લગભગ 130 કરોડ લોકો પાસે નથી.

3. તમે શાંતિથી બેસીને વાંચી શકો છો, મતલબ કે તમે અત્યંત માંદા નથી. દુનિયામાં કોઈ પણ સમયે આશરે 120 કરોડ લોકો બીમાર હોય છે)

4. તમારી પાસે આટલો સારો મોબાઇલ છે  જે દુનિયાના 198 કરોડ લોકો પાસે નથી.

5. તમને પીવાનું પાણી ઘેર બેઠા મળી રહેતું હશે, જે વિશ્વમાં આશરે 180 કરોડ લોકોને નથી મળતું.

6. તમારા ઘેર વીજળી હશે, (મોબાઇલ charging તો જ થતુ હોય ને)  જે જગતના 18 કરોડ ઘરમાં નથી.

7. તમે મોજથી જીવવા વાળા વ્યક્તિ છો, એટલે જ તો મોજ થી સુતા છો અને જો બેઠા હશો તો પગ ઉપર પગ ચડાવીને બેઠા હશો. આવી નિરાંત દુનિયાના અનેક કરોડોપતિ પાસે પણ નથી.

8. આજ સવારે તમે ઉઠ્યા ત્યારે વિશ્વના 88,400 લોકો પોતાની ઊંઘમાં જ મૃત્યુ પામ્યા. આવુ દરરોજ બને છે.

9. તમે આ બધું વાંચી શક્યા. મતલબ કે તમને લખતા વાંચતા આવડે છે માટે તમે આ વિશ્વના 140 કરોડ નિરક્ષર લોકો કરતા નસીબદાર છો જેઓને વાંચતા આવડતું નથી. 

સર્જનવાણી : ફરિયાદો છોડો અને આભાર માનો ઈશ્વરનો, નસીબનો, પુરુષાર્થનો કે, જીવન મસ્ત છે. સવારે ઊઠીને આપણો પ્રથમ શબ્દ કયો હોવો જોઈએ ખબર છે? Thank you, God.

Tuesday, December 15, 2020

સર્જનની સરવાણી-૧૬

        જ્ઞાન અને માહિતી વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. આ બે વચ્ચેની ભેદરેખા બહુ જલદી ભૂલી જવાય છે. કોઈ વ્યક્તિ હજારો પુસ્તકો વાંચીને માહિતી ભેગી કરે છે પણ શું એ જ્ઞાન છે? અને એ વ્યક્તિ જ્ઞાની બને છે? ના, હંમેશા એવું નથી બનતું. ઘણા મોટા પ્રકાંડ પંડિતો માત્ર માહિતીનું વિતરણ કરતાં જ જોવા મળ્યા છે. તેઓ ખૂબ સારા વક્તા હોય છે અને એમનો શિષ્યગણ એમને અદભૂત જ્ઞાની અથવા વિદ્વાન તરીકે ઓળખાવતા હોય છે.  બહુ જ મોટી ગરબડ થઈ રહી છે.  પરંતુ તે પ્રત્યે બહુ ઓછા લોકો સભાનપણે વિચારતા હોય છે. 

        'બાજુની શેરીમાં રમેશભાઈ આજે મૃત્યુ પામ્યા છે.' તમને એ માહિતી મળે છે, ખબર પડે છે, જાણકરી મળી છે, શું આ જ્ઞાન છે? વર્ગમાં ઇતિહાસના શિક્ષક બાળકોને કહે છે, 'મહારાણા પ્રતાપ 1597માં મૃત્યુ પામ્યા.'  કે ગણિતના શિક્ષક બતાવે છે, 'વર્તુળને ખૂણો હોતો નથી.' કે વિજ્ઞાનના શિક્ષક ઘટસ્ફોટ કરે છે, 'એક ઓક્સિજનનો અને બે હાઇડ્રોજનના અણુ મળે તો પાણી બને.' આ શિક્ષકો બાળકોને જ્ઞાન આપે છે કે માહિતી? એની માહિતી બાળકો માટે જ્ઞાન પુરવાર થાય છે? બહુ મોટો ક્વેશ્ચનમાર્ક છે. મારા મતે આજની શાળાઓ માહિતીનો વેપાર કરતી દુકાનો છે જ્યાં એક જ પ્રકારની માહિતીના ભાવ જુદા જુદા હોય છે. 

        તમને કોઈ કહે, કે આ રસ્તે જાઓ તો એ તમારે માટે જાણકારી છે. તમને માહિતી મળી. થોડા દિવસ પછી તમે એ ભૂલી જશો. માહિતી ભૂલાઈ જવાય. પણ, તમે એ રસ્તે જાઓ છો. હવે એ રસ્તાનો તમને અનુભવ થશે. રસ્તો કેવો છે તે સમજાઈ જાય છે ત્યારે તમને જ્ઞાન થયું કહેવાય. પછી તમે કહી શકો કે મને આ રસ્તાનું જ્ઞાન છે. જ્ઞાન કદી ભૂલાતું નથી. ટૂંકમાં, માહિતી + અનુભવ = જ્ઞાન. જ્યાં સુધી માહિતી અનુભવથી મઢાય નહીં ત્યાં સુધી એ જ્ઞાન બનતું નથી.

       આજે સોશિયલ મીડિયા દ્વારા હજારો લોકો મેસેજ ફોરવર્ડ કરે છે અને હજારો લોકો તેને વાંચે પણ છે. કેટલીય માહિતીની આપ-લે થાય છે, નહીં કે જ્ઞાનની. તમે વાંચો છો ત્યારે તમારા જ્ઞાનમાં નહીં, પરંતુ માહિતીમાં વધારો થાય છે જે થોડા સમય બાદ ભૂલી જવાશે. તમને ઘણા લોકો અદભુત જાણકારી આપશે. તમે દંગ રહી જાઓ એવી હશે. પણ એમાં તમારો અનુભવ નહિ ઉમેરાય ત્યાં સુધી એ જ્ઞાન નહિ બને. તમારે એ પરખવાનું હોય છે કે આપનાર વ્યક્તિ તમને જાણકારી આપે છે કે જ્ઞાન! મતલબ કે એને એ જાણકારીમાં પોતાનો અનુભવ ઉમેર્યો છે કે નહીં? હા હોય તોજ એ જાણકારી વિશ્વસનીય કહેવાય. નહીતો તમારે અનુભવ કરીને ખાતરી કરવી પડે. એ સમય બગાડવા જેવું પણ થઈ શકે.

        એક બાળક પથારીમાં સૂતું છે. તેની મમ્મી બાજુમાં ગરમ દૂધનો પ્યાલો ભરીને મૂકે છે અને કહે છે, ઊઠ બેટા, દૂધ પી લે પણ જોજે, ગરમ છે. દીકરા માટે આ માહિતી છે પરંતુ મમ્મીને તો જ્ઞાન છે કે દૂધ ગરમ છે કારણ કે તેણે જ ગરમ કર્યું છે. દીકરો ઊઠે છે અને દૂધનો ગ્લાસ પકડે છે. ચીસ પાડીને છોડી દે છે. આવું કેમ બન્યું?  મમ્મીએ ચેતવ્યો હોવા છતાં દીકરાએ ગ્લાસ પકડ્યો કારણ તેને માટે તો માહિતી જ હતી તેથી ભૂલી ગયો. પરંતુ હવે બીજી વખત મમ્મી  ગ્લાસ મૂકશે ત્યારે, દૂધ ઠંડુ હશે તો પણ, પેલું જ્ઞાન થયેલું છે કે ગ્લાસ ગરમ હોઈ શકે એટલે દીકરો ચકાસીને ગ્લાસ પકડશે. આમ, માહિતી અનુભવમાં ઉમેરાય ત્યારે જ જ્ઞાન બને છે અને એ આજીવન યાદ રહે છે. જ્ઞાની હંમેશા અનુભવી જ હોય છે અને અનુભવ ધ્વારા જ્ઞાન મળે છે. 

        આનો અર્થ એ નથી કે માહિતીનું મહત્વ નથી. વર્ગમાં જ્યારે શિક્ષક બે વત્તા બે બરાબર ચાર કહે છે તે શિક્ષક માટે જ્ઞાન છે પણ બાળક માટે તે માહિતી છે.  એ બાળક પ્રેક્ટીકલ લાઈફમાં બે વત્તા બે ચાર ક્યાં અને કેવી રીતે થાય તેના અનુભવથી તે જ્ઞાન મેળવે છે. તમે અને હું અત્યાર સુધીમાં જેટલું પણ યાદ રાખી શક્યા છીએ એ બધું ફક્ત અનુભવેલું જ્ઞાન છે. તે પહેલા માહિતી હતી. જેટલી માહિતી અનુભવાઈ નથી તે બધી ભૂલાઈ ગઈ છે. 

        જ્યારે તમે તમારું જ્ઞાન બીજાને આપો છો ત્યારે તમે તમારો અનુભવ વહેંચો છો. અનુભવ વગર તો તમે બીજેથી મેળવેલી માત્ર જાણકારી ફોરવર્ડ કરો છો  અને એ વિશ્વસનીય ન પણ હોઈ શકે. આજ બાબત બીજા દૃષ્ટિકોણથી વિચારીએ. કોઈ જ્યારે આપણને માહિતી આપે છે ત્યારે આપણે વિચારવાનું રહે કે શું તે તેનો અનુભવ વહેંચે છે કે પછી બીજેથી મેળવેલી માહિતી માત્ર ફોરવર્ડ કરી રહ્યો છે? જો ફોર્વર્ડેડ માહિતી હોય તો તમારે અનુભવમાં લેવી પડશે અને પછી એ તમારું જ્ઞાન બનશે. તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે આવી માહિતીઓને અનુભવતાં અનુભવતાં તો ઘણો સમય લાગી જાય અને જ્ઞાન બહુ મોડું આવે. એટલા માટે આપણે વડીલોની સલાહ લઈએ છીએ કેમ કે તેમની પાસે માત્ર માહિતી નથી પણ જ્ઞાન છે અને જે આપે છે તે તેમની અનુભવેલી માહિતી આપે છે. એના માટે આપણે જાતે અમલમાં મૂકીને જ્ઞાન બનાવવા સુધીની રાહ જોવી પડતી નથી.

શું વિચારો છો?- મંથન ડીસાકરનાં નિબંધસંગ્રહમાંથી સાભાર 

Tuesday, December 8, 2020

સર્જનની સરવાણી-૧૫

       


        ઓફિસે પહેરી ને હું જતો એ બુટના તળિયા ફાટી ગયા હતા. ચારે બાજુથી બુટને સિલાઈઓ મરાવી મરાવી બુટને જીવતા રાખવાનો નિરર્થક પ્રયત્ન હું કરતો હતો હતો. જેમ એક મઘ્યમવર્ગની દશા એક સાંધે ત્યાં તેર તૂટે  એવી જ દશા મારા બુટ ની હતી. કોઈ દર્દીની સારવાર કરી ડોક્ટર અંતે થાકી ને કહે, કે દર્દી લાબું નહીં જીવે, ખોટો ખર્ચ દર્દી પાછળ કરવા જેવો નથી તેમ મારા મોચીએ કીધું સાહેબ નવા બુટ ખરીદી લ્યો. ઘણો ક્સ કાઢ્યો. હવે ખર્ચ આ બુટ પાછળ કરવા જેવો નથી.

      આજે રવિવાર હોવાથી મેં મારા બુટ ચંપલના સ્ટેન્ડ ની સાફ સફાઈના બહાને ઘર સભ્યોના ચંપલ અને બુટની વર્તમાન દશા શું છે એ જોવા પ્રયત્ન કર્યો. મારા નસીબ સારા હતા, ઘરની વ્યક્તિઓ સમજુ હતી. સામેથી કોઈપણ પ્રકારની માંગણી તેઓ કરતા નહીં, એટલે એ લોકોની જરૂરિયાત સમયે સમયે જોવાની મારી નૈતિક ફરજ અને જવાબદારી પણ બનતી હતી. મારો પગાર પણ સારો, બચત પણ સારી પણ સંઘર્ષના સમયે કરેલ કરકસરની ટેવ  ધીરે ધીરે આદત બનતી જાય છે. બુટ ચમ્પલનું સ્ટેન્ડ મને ઘરના દરેક સભ્યના નવા બુટ ચંપલ લેવાનું મને કહેતું હતું.

        મેં કાવ્યાને બુમ મારી બોલાવીને કીધું આ તારા ચંમ્પલ જો બાળકો ના બુટ તમને એમ નથી થતું કે હવે નવા બુટ ચમ્પલ લેવા જોઈએ. કાવ્યા બોલી પ્રથમ તમારે જરૂર છે, બુટમાંથી અંગુઠો બહાર આવવા ની તૈયારી કરી રહ્યો છે. હું પિન્ટુ અને મારી દીકરી શીતલ હસી પડ્યા. સારું આજે સાંજે  બુટ અને ચંપલ લેવા આપણે સાથે જઈએ. સાંજે ફરતા ફરતા શહેરમાં ઘણા સમયથી ફેમસ બનેલ "બુટ હાઉસ"  ના  શોરૂમ પાસે અમે ઉભા રહ્યા. ત્યાં મારો દીકરો પિન્ટુ બોલ્યો પપ્પા આપણા શહેરમાં આ શોરૂમનું નામ છે. આવા બીજા બે શોરૂમ પણ આ શહેરમાં છે. નવી નવી બુટ ચંપલની ડિઝાઈન અહીંથી  આપણને મળી રહેશે.

     શોરૂમ જોઈ અંદર જવાની હિંમત થતી ન હતી. છતાં પણ બાળકો અને પત્નીની ઈચ્છા હતી એટલે પ્રથમ પાકીટ અને ક્રેડિટ કાર્ડ ખીસામાં છે કે નહીં એ ખાતરી કરીને હિંમત એકઠી કરી શોરૂમમાં અમે પ્રવેશ કર્યો. કઈ બાજુથી શરૂઆત કરવી એ જ ખબર પડતી ન હતી. બુટની રેન્જ ચાલુ જ ત્રણ હજારથી થતી હતી. શોરૂમના સેલ્સમેન પણ વારંવાર મારા બુટ તરફ નજર કરતા હતા. તેઓનો પ્રતિસાદ નબળો હોવાનું કારણ મારા બુટ હતા એ હું સમજી ગયો હતો. AC શોરૂમમાં મને પરસેવો થતો જોઈ મારા સમજદાર પરિવારે મને કીધું, પપ્પા આના કરતાં શહેરમાં સસ્તા મળે. આ તો  એરિયાનો ભાવ લે છે અને લૂંટે છે.

     અમારી વાતચીત અને હાવ ભાવ જોઈ, એક યુવાન વ્યક્તિ ચેમ્બરમાંથી બહાર આવી. આવો સાહેબ તમારા માટે આ ડિઝાઈન પરફેક્ટ છે. મેં બુટની કિંમત જોઈ 4999 રૂપિયા. મેં કીધું ભા .બીજે તપાસ મને કરવા દે. અરે વડીલ અમારા ગ્રાહક અમારા ભગવાન છે. એ યુવાન શેઠ હોવા છતાં તે મારા પગ પકડી નીચે બેસી મને બુટ પહેરાવવા લાગ્યા. સેલ્સ સ્ટાફે તેમને ચેમ્બરમાં જવા વિનંતી કરી પણ આ યુવાન લાગતો શોરૂમનો માલિક બોલતો હતો. ભગવાન આજે સામે ચાલીને  આપણે ત્યાં આવ્યા છે. તેના સ્ટાફને બોલાવી કીધું. આ બુટ પેક કરો. સાહેબના બુટ અને સાઇઝ મને યાદ છે. હું ધારી ધારીને આ વ્યક્તિને જોતો રહ્યો. સાચો સેલ્સમેન તો આને કહેવાય.

        મારી પત્ની કાવ્યા સામે જોઈ શેઠ બોલ્યા, બેન તમારા માટે આ સેન્ડલ યોગ્ય છે. તેની.કિંમત મેં જોઈ 2999  રૂપિયા. હવે તેણે પિન્ટુ સામે જોયું. તું યુવાન છે. આ સપોર્ટ શૂઝથી તારો વટ પડશે. તેની કિંમત 5899. મેં કીધું અરે ભાઈ તમે મને તો પૂછો કિંમત મને પરવડે છે કે નહીં. એ વ્યક્તિએ કંઈ સાંભળ્યું જ નહીં , શીતલના પણ સેન્ડલ 2999 પેક કરવા પોતાના માણસને આપી કેશકાઉન્ટર ઉપર મોકલ્યો અને પાછળ પાછળ પોતે ગયો પાકીટમાંથી આટલા રૂપિયા નીકળશે એ ચિતામાં હતો ત્યાં એ સજ્જન વ્યક્તિ મારી.પાસે આવી બોલી. લ્યો સાહેબ આ તમારું બિલ કેશ કાઉન્ટર ઉપર રૂપિયા જમા કરાવી ડિલિવરી લઈ લ્યો બે મિનિટ તો ઝગડો કરી લેવાની ઈચ્છા થઈ પણ જયારે મેં બિલ જોયું ત્યારે હું ઠંડો થઈ ગયો. ટોટલ રકમ ઉપર ડિસ્કાઉન્ટ 100%  અને ચૂકવવા પાત્ર રકમ  ઝીરો રૂપિયા. 

         મેં એ વ્યક્તિ સામે જોઈ કીધું, તમે અમારી મજાક તો ઉડાવતા નથી ને ? એ યુવાન શેઠ હાથ જોડી ઉભો રહી ગયો અને બોલ્યો, અરે સાહેબ જીંદગી જ્યારે અમારી મજાક ઉડાવતી હતી ત્યારે તમે અમારો હાથ પકડ્યો હતો. તમારી મજાક ઉડાવવા માટે અમારી હેસિયત જ નથી. યાદ આવ્યું કંઈ સાહેબ.  ના કંઈ યાદ નથી આવતું મેં કીધું. સાહેબ, બુટ પોલીશ યાદ આવ્યું. અરે તમે રામ અને શ્યામ. હા વડીલ, હું જ રામ. હું દોડીને તેને ભેટી પડ્યો. અરે બેટા આવડી મોટી વ્યક્તિ તું બની ગયો શ્યામ ક્યાં છે ? શ્યામ કેશ કાઉન્ટર ઉપરથી હસતા હસતા દોડી ને આવ્યો ને પગે લાગ્યો..

        અરે  સાહેબ અમારી જીંદગી તમારા ઉપકારના 100% ડિસ્કાઉન્ટ ઉપર ચાલે છે. જો તમે યોગ્ય સમયે અમારો હાથ પકડ્યો ન હોત તો તો આજે અમે લોકોની બુટ પોલિસ જ કરતા હોત. આ શો રૂમ તમારો છે. અમારા વડીલ ગણો  માઁ બાપ કે દેવ ગણો તમે જ છો. અમે આ શોરૂમ નું ઉદ્ઘાટન તમારા હાથે  કરવા તમને યાદ કર્યા હતા. તમારી.ઓફીસે ગયા ત્યાંથી તમારી ટ્રાન્સફર થઈ ગઈ હતી, પણ અમારી ઈચ્છા આજે પુરી થઈ. આવો ચેમ્બરમાં વડીલ. 

        અમે ચેમ્બર માં ગયા. રામ પિન્ટુ સામે જોઈ બોલ્યો " બેટા વર્ષો પહેલા તારા પપ્પા બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. અમે બન્ને તારા પપ્પાને બુટ પોલીશ કરાવવા માટે પાછળ પડ્યા. તેમણે બુટ પોલિશ માટે બુટ આપ્યા પછી એક બુટ મેં લીધું અને એક શ્યામે. તારા પપ્પા એ દસ રૂપિયા આપ્યા. પાંચ રૂપિયા મેં રાખ્યા પાંચ શ્યામ ને આપ્યા. તારા પપ્પા એ આવું કરવાનું કારણ પૂછ્યું મેં કીધું અમે બન્ને ખાસ.મિત્રો છીયે. સવાર થી બોણી નથી થઈ. અમે નક્કી કર્યું છે. આપણે મહેનત પણ સરખી કરશું અને કમાઈ પણ સરખા ભાગે વહેચી લેશું. તારા પપ્પા એ કીધું આવો સંપ મોટા થઈ ને પણ રાખશો તો.ખૂબ આગળ નીકળી જશો. "

       એ અમે યાદ રાખ્યું. પછી તારા પપ્પાએ અમને પૂછ્યું હતું. તમારે ભણવું છે. અમે કીધું હા, અમે હજુ ભૂલ્યા નથી. એ દિવસે તારા પપ્પા એ રજા પાડી  અમારું સરકારી સ્કૂલમાં એડમિશન પાક્કું કર્યું..નોટ ચોપડી સ્કૂલ ડ્રેસ તથા અન્ય ખર્ચ તેમણે ઊપાડી લીધો.તારા પપ્પાએ તેમની ઓફીસનું સરનામું અમને આપ્યું હતું ત્યાંથી અમે આકસ્મિક ભણવાનો કોઈ ખર્ચ આવે તો લઈ આવતા. બાર ધોરણ પછી કોલેજનો ખર્ચ અમે જાતે ઉપાડવાનું નક્કી કર્યું.અમે બંને ગ્રેજ્યુએટ થઈ ગયા બાદ લઘુ ઉદ્યોગ માટેની લોન લઈ બુટ ચંપલ બનાવવાની ફેક્ટરી ખોલી. મહેનત અને ઈમાનદારીનું પરિણામ તું આજે જુએ છે.

        પણ આ બધા ની પાછળ જે વ્યક્તિનું યોગદાન છે એ તારા પપ્પા છે. એ ફક્ત તારા પપ્પા નહીં અમારા પણ છે. અમે માઁ બાપ જોયા નથી પણ કલ્પના જયારે હું કરું ત્યારે તારા પપ્પા મારી નજર માં પ્રથમ આવે. અમારી તો કોઈ ઓળખ જ હતી નહીં રસ્તા વચ્ચે ઠેબા મારતા પથ્થર જેવી દશાને દિશા અમારી હતી. અચાનક દેવદૂત બની ને તારા પપ્પા આવ્યા અમારી દશા અને દિશા નક્કી કરનાર આ તારા પપ્પા સામાન્ય વ્યક્તિ નથી. આ બુટ ચંપ્પલ ની કિંમત કંઇ જ નથી જે વ્યક્તિ પોતાના મોજશોખ ઉપર કાપ મૂકી બીજાને મદદ કરે એ વ્યક્તિ સામાન્ય ન હોય..

        રામ અને શ્યામ ઉભા થયા. મને અને કાવ્યાને પગે લાગ્યા. પોતાનું કાર્ડ આપી.કીધું 365 x 24 કલાક અમે તમારા માટે ઉભા છીયે. પિન્ટુને અને શીતલને પણ કીધું, અમે તમારા મોટાભાઈઓ છીયે એવું સમજી લ્યો. જીવનમાં સુખ દુઃખ વખતે અમે તમારી સાથે પડછાયો બની ઉભા રહેશું એ અમારું વચન છે. હવે આ દુનિયાની ભીડમાં તમે ફરી પાછા ખોવાઈ જાવ એ પહેલાં તમારા મોબાઈલ નંબર અને ઘરનું સરનામું અમને આપતા જાવ. આવતા રવિવારે અમારા ઘરે ડિનર તમારા બધાનું પાક્કું, એમ બોલ્યા. મારી આંખ ભીની થઈ ગઈ. અમે એક યાદગાર મુલાકાત પછી છુટા પડ્યા.

સર્જનવાણી: અજાણતા કરેલ થોડી અમથી મદદ કોઈની જીંદગી માટે યાદગાર બની જાય છે.આશ્રમ અને મોટા મંદિર માં આપેલ દાન ની કોઈ નોંધ પણ નથી લેતું અને આવી વ્યક્તિઓ આપણી મદદ દિલ ઉપર કંડારી દેતા હોય છે. પરમાર્થ કરતા રહો. આર્થિક, માનસિક ,શારીરિક તમારી પાસે જે યોગ્યતા હોય તે મદદ કરતા રહો.

Tuesday, December 1, 2020

સર્જનની સરવાણી-૧૪


      એક સાહિત્યપ્રેમી ગ્રુપ દર મહિનાના પહેલા શનિવારે મળે અને સાહિત્યની કે ચિંતન મનનની વાતો કરે. છુટ્ટા પડવાનું થાય ત્યારે કોઈ એક વિષય નક્કી કરે અને આવતી બેઠકમાં બધા જ સભ્યો એ વિષય પર પોતાના વિચારો લખીને લાવે અને દરેકની સામે એ વિચારોની રજૂઆત કરે. આ વખતની બેઠકમાં માઈક્રો-ફિકશનની વાત થઈ. એમાં બને એટલા ઓછા શબ્દોમાં પોતાની વાત ચોટદાર રીતે કહેવી. આવતા વખતનો વિષય નક્કી થયો આનંદમ્ પરમ સુખમ. બધા જ સભ્યોએ આ વિષય પર ઓછામાં ઓછા શબ્દોમાં સમજાવવું એમ નક્કી કરીને છુટ્ટા પડ્યા. 

એક મહિનો વીતી ગયો અને સાહિત્યપ્રેમી ગ્રુપની બેઠકમાં આજે 'આનંદમ પરમ સુખમ' પર બધાએ પોતાના વિચારો રજૂ કરવાનું શરૂ કર્યું. આનંદમ પરમ સુખમ એટલે? 

એક આધેડ ઉમરના કાકા બોલ્યા, ઘરે પહોંચું તો ઓછું જોઈ શકતી મારી વૃદ્ધ મા મારી આહટ ઓળખીને કહે આવી ગયો દીકરા, એટલે'આનંદમ પરમ સુખમ.'

એક યુવાન બોલ્યો, કંઈ વાંધો નહિ, બીજી નોકરી મળી જશે કહેતો, પત્નીનો હિંમત આપતો અવાજ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક પિતાએ કહ્યું, કંઈ જ કહ્યા વિના બધું સમજી જતું સંતાન એટલે 'આનંદમ પરમ સુખમ.' 

એક ભાઈએ કહ્યું, રોજ ઈશ્વર સમક્ષ કોઈ માગણી વિનાની પ્રાર્થના એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક કાકીએ કહ્યું, રોજ જમતી વખતે આ પ્રભુકૃપા જ છે એનો અહેસાસ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક કાકા બોલ્યા, વહેલી સવારે મૉર્નિંગ વોક પર પાછળથી ધબ્બો મારી અલ્યા રસીકયા.. કહી વર્ષો પછી મળનાર જૂનો મિત્ર એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક દાદા બોલ્યા, પૌત્રના સ્વરૂપમાં મળી જતો એક નવો મિત્ર એટલે 'આનંદમ્ પરમ સુખમ. '

બીજા કાકાએ કહ્યું, સાસરેગયેલી દીકરીની ખોટ પૂરી દેતી વહુનો મીઠો રણકો એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક યુવતી બોલી, ઓફિસેથી ઘરે પહોંચતાં સાસુમાએ આપેલો પાણીનો ગ્લાસ એટલે 'આનંદમ પરમ સુખમ'. 

એક મહિલાએ કહ્યું, થાકી ગયાં હોઈએ. ત્યારે વહાલથી પતિનું કહેવું કોઈપણ એક વસ્તુ બનાવ ચાલશે એટલે 'આનંદમ પરમ સુખમ.'

એક ભાઈએ કહ્યું, પથારીમાં પડતાંવેત આંખ ક્યારે મીચાઈ જાય એ ખબર પણ ન પડે એટલે 'આનંદમ પરમ સુખમ'. 

        આમ આ બધાં 'આનંદમ પરમ સુખમ'ની વાતોમાં ક્યાંય પૈસા, મોંઘાં વસ્ત્રો કે દાગીના કે અન્ય ચીજો નથી એ ધ્યાનથી જોજો અને આવી કેટલીયે 'આનંદમ પરમ સુખમ'ની ક્ષણો તમારી પાસે છે એ તપાસી ઈશ્વરનો આભાર ચોક્કસ માનજો. જીવન ખૂબ જ સુંદર છે અને ક્ષણિક પણ છે એટલે જીવનમાં આવનારી દરેક ક્ષણોને મનભરીને માણી લેજો. કોઈને પ્રેમ કરી લેજો અને કોઈનો પ્રેમ પ્રાપ્ત કરી લેજો. કોઇની જોડે વાત કરી લેજો અને ક્યારેક કોઇની વાત સાંભળી પણ લેજો. કોઇની જોડે બે ઘડી નિરાંતે બેસી લેજો. બાકી જીવન એટલે ગંગાના વહેતા નીર સમાન છે, એમાં તરતા આવડી જાય તો બેડો પાર !!!!!