Tuesday, November 10, 2020

સર્જનની સરવાણી-૧૧

    


           આપણા જીવનમાં ઘણા બધા સંબંધો વગર માગ્યે જ મળી જતા હોય છે અને એવા સંબંધોને આપને ખુબ જ આનંદ સાથે નિભાવતા જતા હોઈએ છીએ. આપણી શેરીમાં આવતો શાકભાજી વાળો કે કોઇપણ ફેરિયાની સાથે આપણે ભલે લોહીનો કોઈ સંબંધ ના હોય પરંતુ એમની વાતો અને વર્તન થકી આપણને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. ઘણી બધી સોસાયટીઓ અને સમાજમાં પણ આવા લોકોને તહેવારોમાં મદદ કરવાનું પણ બનતું હોય એવા સંબંધો ઘડાઈ જતા હોય છે. 

            એક ખમણ વેચવા વાળો હતો જે વાતોડિયો હતો અને સાથે રમૂજી પણ હતો. જયારે જયારે એને ત્યાં કોઇપણ વ્યક્તિ ખમણ ખાવા જાય  ત્યારે એને તો એમ જ લાગતું કે એ જાણે આપણી જ રાહ જોઈ રહ્યો છે. જીવનનાં દરેક વિષય પર એને વાત કરવામાં મજા આવતી. ઘણીવાર એને કીધું કે ભાઈ મોડું થઇ જાય છે જલ્દી ખમણ સેવની પ્લેટ બનાવી દે પણ એની વાતો ખતમ જ થતી નહિ. એકવાર અચાનક જ કર્મ અને ભાગ્ય પર વાત શરૂ થઇ. નસીબ અને પ્રયત્નની વાત સાંભળીને મેં વિચાર્યું કે ચાલો આજે એની વિચારશક્તિ જોઈએ. મેં એક સવાલ પૂછ્યો.

        મારો સવાલ હતો કે માણસ મહેનતથી આગળ વધે છે કે નસીબ થી? એના જવાબે મારા મગજના તમામ જાળા સાફ કરી નાખ્યા. એ કહેવા લાગ્યો કે તમારું કોઈક બેન્કમાં લોકર તો હશે જ? એની ચાવીઓ જ આ સવાલનો જવાબ છે. દરેક લોકરની બે ચાવીઓ હોય છે. એક ચાવી તમારી પાસે હોય છે અને એક બેન્ક મેનેજર પાસે. તમારી પાસે જે ચાવી છે એ પરિશ્રમ અને મેનેજર પાસે છે એ નસીબ. જ્યાં સુધી બન્ને ચાવી નાં લાગે ત્યાં સુધી લોકરનુ તાળું ખુલી શકે નહિ. તમે કર્મયોગી પુરૂષ છો અને મેનેજર તમારો ભગવાન છે. તમારે તમારી ચાવી પણ લગાવતા રહેવું જોઈએ. ખબર નહિ ઉપર વાળો ક્યારે પોતાની ચાવી લગાવી દે. 

સર્જનવાણી: ક્યાંક એવું ના થાય કે ભગવાન પોતાની ભાગ્યવાળી ચાવી લગાવતો હોય અને આપણે પરિશ્રમ વાળી ચાવી ના લગાવી શકીએ અને તાળું ખોલવાનું રહી જાય. 

No comments:

Post a Comment