Friday, November 13, 2020

દિવાળી - લાગણીના દિવાઓ પ્રગટાવીએ




 ખૂબ વ્યાપ્યો છે જગે, બુદ્ધિએ સર્જેલો પ્રકાશ,
લાગણીના એથીએ અધિક દીપ જલાવી લઈએ !!
અંતની પરવા  કરશરૂઆત કર,
હોય  ભલેને કડવીતું નાનકડી રજુઆત તો કર !!

        દિવાળી એટલે પ્રકાશનું પર્વ. અંધકારથી અંજવાળા તરફ જવા માટેનો ઉત્સવ. દિવાળીનો મતલબ દરેક માટે નવો હોય છે. દરેકના જીવનમાં દિવાળીના અર્થ અલગ-અલગ હોય છે. દિવાળીએ હંમેશા જીવનને નવા ઉત્સાહ-ઉમંગથી ભરી દેતો તહેવાર છે. હર તરફ ખુશીઓ અને આનંદ પ્રસરાવતો આ તહેવાર શું દરેકના જીવનમાં સરખી રીતે જ એ લાગણીઓ કે જેનાથી બીજા એવા અંત્યાતિક જનોના દિલમાં અને ઘરમાં આ જ ઉત્સવ કે આનંદ પ્રગટાવી શકે કે કેમ?

        કેમ આપણે આ લાગણીઓ ફક્ત આપણા પૂરતી જ મર્યાદિત રાખીએ છીએ, શા માટે આપણે આપણો પ્રેમ-સ્નેહ-આદર અને એવું ઘણું બધુ એ લોકો માટે નથી આપી શકતાં જેમને સંજોગોવશાત એ હાંસલ નથી થતું. જએ લોકો આ લાગણીઓ વહેંચે છે એમને તો લાખ-લાખ વંદન સાથે અભિનંદન પરંતુ આપણે દરેક પણ આપણા જ ઘરેથી કોઈ એક નાનકડી શરૂઆત કરીએ તો.. 

સળગાવી નાખજો નફરતની પાળી,
કે ચમકાવતી જશે જીંદગી દિવાળી...!!
રાખજો ને આપજો હર્ષ સામે હર્ષ,
કે ખરેખર ખીલી જશે નૂતનવર્ષ..!!

        દિવાળીના ઉત્સવના પાવન અવસરે આ વર્ષથી જ શરૂઆત કરીએ, તો માં સરસ્વતીના ચરણના આશીર્વાદ લઈને આપણે એવી પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષમાં દરેકના મનમાંથી ઈર્ષ્યા, દ્રેષ, શોક, નિરાશાના ભાવ દૂર થાય અને દરેક માનવી માત્ર પોતાના જ સ્વજનની સાથે નહી પરંતુ જએ સમાજથી પણ વિખૂટો આપણો જ અંત્યજન ભાઈ કે જેને આપણો કહેવતો સભ્ય સમાજ પોતાની સાથે સાંકળી શકતો નથી, તેને મળીએ, પાસે જઈએ અને પ્રેમથી શક્ય હોય તો ગળે મળીને આપણા મનમાં રહેલી ભાવનાઓ કે લાગણીઓનો એક દીવો તેના દિલમાં પણ પ્રગટાવીએ તો ખરા અર્થમાં દિવાળી સાર્થક થઈ જાય.

         દિવાળીએ શક્ય હોય એટલા પ્રમાણમાં આપણે દરેક આપણાથી બની શકે તેટલા પ્રમાણમાં આપણા જ ભાઈઓ-બહેનો અને આપણા અંત્યજનોને મળીએ અને તેની પરિસ્થિતિનો તાગ મેળવીએ. તેના ઘરમાં દિવાળીની ખુશીઓ પ્રગટાવવાનો પ્રયત્ન કરીએ, તેમને અને તેમના બાળકોને આ દિવાળીના તહેવારમાં પણ લાચારીને વશ ન થઈ જાય અને તેઓ પણ સ્વમાન સાથે પોતાના જીવનમાં આનંદનો ઉત્સવ ઉજવે તેવો પ્રમાણિક પ્રયત્ન કરીએ તો આપણો ઈશ્વર પણ આપણને કહેશે કે “શુભ દિપાવલી”

        બની શકે તો પોતાને સારા અને સાચા માણસ બનવાનો એક મોકો જરૂરથી આપજો, થઈ શકે તો ટાઢથી થરથરતા કોઈ વ્યક્તિને એક સ્વેટર અથવા રજાઈ આપજો, આ તહેવારમાં મીઠાઇ આપજો. નવા વર્ષે તમે બધા આઇસક્રીમ ખાતા હો ત્યારે એક ગરીબ બાળકને આપજો, એ રાત્રે ઊંઘમાં ઈશ્વર કોઈપણ સ્વરૂપમાં આવીને તમને થેંક્યું જરૂર કહેશે. 

No comments:

Post a Comment