આચાર અને વિચાર માનવજીવનની બે મહત્વની સાંકળ
છે. ઘણીવાર કહેવાય પણ છે કે જેવો આહાર તેવો વિચાર અને જેવો વિચાર તેવો જ વ્યવહાર.
આમ કોઇપણ વ્યકિતનું આચરણ તેના વિચારોની ગુણવત્તા પર નભે છે. જો કોઇપણ માણસમાં તમે
પરિવર્તનની આશા રાખતા હોવ તો સૌ પ્રથમ તમારે તેના વિચારોને બદલવા જ પડશે. એટલે જ
એક સારા અને સંગઠિત સમાજનું નિર્માણ પણ સારા વિચારશીલ માણસો પર નિર્ભર છે. સક્ષમ
રાષ્ટ્રના વિકાસ માટે તેના નાગરિકોના વિચારોની ગુણવત્તા ખુબ જ અગત્યની છે, અને
લાંબા સમયના અંતરે તે સપષ્ટ રીતે નજર સામે આવે પણ છે. આ માટે આચાર્ય વિનોબાજી
ભાવેના જીવનનો એક પ્રસંગ જોઇએ.
આચાર્ય
વિનોબા ભાવે મહારાષ્ટ્રના કોઇ એક ગામમાં જન્મેલા અને ત્યાં જ ભણી-ગણીને મોટા થયા
હતા. એમના જીવનની કેળવણીમાં એમના માતાજીનો ખુબ જ મોટો સહયોગ હતો. એમની માતા પાસેથી
જ વિનોબાજી જીવનના અમૂલ્ય કહી શકાય એવા પાઠો શીખ્યા હતા. એકવારની વાત છે.
વિનોબાજીના ઘરમાં એક ફણસનું ઝાડ હતું. ફણસના ઝાડ પર મોટા પેશીઓવાળા ફળો આવતા.
વિનોબાજી અને એમના ભાઇ-બહેનો દરરોજ વાટ જોતા કે થોડા જ દિવસોમાં આ ફણસના ઝાડ પરથી
ફળ ઉતારવામાં આવશે અને આપણને એનો મીઠો સ્વાદ ચાખવા મળશે. એકવાર એમણે જોયું કે આ
ઝાડ પરથી ફળો કોઇએ ઉતારી લીધા હતા. એમના આશ્રર્યની વચ્ચે એમણે જોયું કે એમના
માતાજી એ જ આ ફળો ઉતારી લીધા હતા. માતાજી એમને સાફ કરીને ફણસને ફોલીને એમાંથી
પેશીઓ અલગ કરી રહ્યા હતા. થોડી જ વારમાં બધા જ બાળકો એમની આસપાસમાં ગોઠવાઇ ગયા અને
વાટ જોવા લાગ્યા કે હમણા જ મારા મોંઢામાં પહેલી પેશી આવશે અને એનો મીઠો રસાસ્વાદ
માણીશું.
પરંતુ
એમના આ કુતુહલની વચ્ચે માતાજી કહે છે કે “ વિનીયા આ વાટકામાં પહેલી ચીર લઇને તું
પાડોશીના ઘરે આપી આવ, કારણકે આ ફણસનું ઝાડ માત્ર આપણા જ ફળિયામાં નથી
પરંતુ એમના ફળિયામાં પણ એનો છાંયડો જાય છે અને એમણે પણ આ ફળોને જોયા છે એટલે એમનો
પણ આ ફળો પર હક લાગે છે ”.
ત્યાર
બાદ એમણે ફરી બીજા પાડોશીને આપવા માટે પણ મોકલ્યા અને પછી એક-બે ચીર એમના દાદાજી
અને બીજા વડીલોને આપવા માટે કહ્યું. આમ બધાને આપ્યા પછી છેલ્લે જે ચાર-પાંચ પેશીઓ
વધી હતી તેને એક વાટકામાં આપતા કહ્યું કે હવે તમે બધા ભાઇ-બહેન ભેગા મળીને આ
પેશીઓને વહેંચીને ખાઇ લેજો. આમ નાનપણથી જ એમના માતાજીએ એકબીજા સાથે વહેંચવાના
સંસ્કારોનું અને એવા જ સુંદર વિચારોનું વાવેતર કરેલું અને ખુબ જ સરસ કેળવણી આપેલી.
આ વિચારોની જ એ કરામત ગણી શકાય કે આપણા શ્રી વિનોબાજી ભાવે એ સમગ્ર ભારતમાં ગરીબ અને વિચરતી જાતિના લોકો માટે ભૂદાન યજ્ઞનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પને સફળતાપૂર્વક પાર પણ પાડેલો. ઘણા બધા ભારતીયોને એમાં સાંકળીને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપેલું. આમ આ વાતનો સાર એટલો જ છે કે નાનપણથી જ જેવા વિચારોવાળું વાતાવરણ તમારી આસપાસ હોય છે એવું જ તમારું ઘડતર થાય છે. માટે હર હંમેશ સારા વિચારોને વાંચવા પણ જોઇએ અને જીવનમાં ઉતારવા પણ જોઇએ.
No comments:
Post a Comment