Sunday, July 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૩

        રાજકારણમાં રાજકારણીઓનાં જ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે એવું નથી. રાજકારણીઓના ભક્તો પણ બેવડાં કાટલાં વાપરતા હોય છે. લોકો તેમને ન ગમતા હોય એવા રાજકારણી પાસે તમામ પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોય છે, પણ ગમતા રાજકારણીની ગમે તેટલી અનૈતિકતાને ચલાવી લે છે. 

        જે રાજકારણી ગમતો ન હોય તે પ્રમાણિક કાર્યક્ષમ, બુદ્ધિશાળી હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પણ આપણને ગમતો રાજકારણી ચોર હોય તો આપણે તેને વાલિયા લૂંટારા જેવો સેવાભાવી અને વિરોધીઓના ષડયંત્રનો પીડિત ગણાવીએ છીએ. ભારતમાં સરેરાશ લોકો ભકત માનસિકતાવાળા છે. તેમને રોટી, કપડાં અને મકાન સિવાય ફિકર નથી હોતી. એટલે તે કામના રાજકારણીની ત્રુટીઓને માફ કરી દે છે. આ કારણથી મોટાભાગના રાજકારણીઓ સત્તામાં આવીને ભ્રષ્ટ અને અનૌતિક થઈ જાય તો પણ જનતાને ફરક નથી પડતો કારણ કે જનતા વાલિયા લૂંટારાના પરિવાર જેવી છે: તેમને લૂંટના ભાગથી મતલબ છે, પાપથી નહીં.

        રાજકારણીઓના અનુયાયી બનવું એટલે સ્વેચ્છાએ  વૈચારિક જેલમાં જવા જેવું છે. તમે તેમની વાતમાં એકવાર વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને એવા ગમવા લાગે કે તમને તેની તમામ ત્રુટીઓ દેખાતી બંધ થઈ જાય. 

        તે વ્યક્તિ પછી ધારે તે રીતે તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. એમાં ટ્રેપ એ છે કે, ન તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ બન્યા છો, કે ન તો તમે તમે મુકેલા વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને એ વ્યક્તિ સાથે રહેવું જ પડે. ભક્તિ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય! મોટાભાગના રાજકીય અનુયાયીઓ સિંહ પર બેઠેલા ગધેડા જેવા લાગે છે, કારણ કે બેસતાં પહેલાં તેમને સિંહ ગધેડા જેવો લાગતો હતો.


Sunday, July 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૨

વયસ્ક ઉંમરે નવા દોસ્તો બનાવવા કેમ અઘરા હોય છે? કારણ કે દોસ્ત બનાવવા જેવા ઉત્તમ લોકો દોસ્તીઓ કરવા સિવાયનાં બીજાં સાર્થક કામોમાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે આપણા જીવનની દિશા ગોઠવાઇ ગઈ હોય છે. દોસ્તો બનાવવા માટે નાની ઉંમરે આપણી પાસે જેટલો સમય અને અવસર હોય છે, તેની મોટા થયા પછી અછત સર્જાય છે. બીજું, શરૂમાં કહ્યું તેમ, વયસ્ક વયે દોસ્તીની વ્યાખ્યા બદલાઈ જાય છે. એ ઉંમરે આપણને ચોકલેટ આપે કે સિનેમા જોવા સાથે આવે તેવા દોસ્તોની જરૂર નથી હોતી. ત્યારે આપણને એવા સંબંધોની આવશ્યકતા હોય છે, જેમાં સમજદારી, સન્માન અને બહેતર પ્રગતિની ભાવના હોય. 

આપણે નાના હોઈએ ત્યારે આપણી અંદર બીજા લોકોને અધીન રહેવાની જરૂરિયાત હોય છે. આપણે પરિપક્વ થઈએ પછી ખુદના જીવનને અધીન થઈ જઈએ છીએ. આપણી એ દિશાની બહાર જઈને દોસ્તી કરવી અઘરી હોય છે. એટલા, જે લોકો વયસ્ક વયે દોસ્તીઓની તલાશમાં હોય છે, તે ન તો સાર્થક સંબંધને નસીબ થાય છે કે ન સાર્થક જીવનને.

Sunday, June 26, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૧


જીવનમાં જેમણે ઉત્તમ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં એમના પગ જમીન પર જ હોય એવું જોવા મળે ત્યારે અજુગતું જરૂર લાગે જ. પોતાની વાતો અને પુસ્તકો થકી જેમણે વિશ્વમાં અભૂતપૂર્વ નામના મેળવી છે એવા ઈજરાયેલ દેશના ઉત્તમ ઇતિહાસકાર યુવલ નોઆ હરારી સાથેનો સહજ સંવાદ આપણને જીવનનો ઉત્તમ પાઠ શીખવી જાય છે. 

પ્રશ્ન: સવારે આંખ ખોલીને પહેલું કામ શું કરો છો?

યુવલ નોઆ હરારી: હું મારા શ્વાસ પર અને પુરા શરીરમાં અનુભવાતી સંવેદનાઓ (સેન્સેશન્સ)ને ઓબ્ઝર્વ કરું છું.

પ્રશ્ન: તમને એનર્જી કયાંથી મળે છે?

યુવલ: હું રોજ બે કલાક વિપશ્યના ધ્યાન કરું છું. 

પ્રશ્ન: સરળ જીવનનું રહસ્ય શું છે?

યુવલ: હું વાસ્તવિકતા અને કલ્પનાને છુટા પાડું છું અને વાસ્તવિકતા પ્રમાણે જીવું છું.

પ્રશ્ન: એક પુસ્તક જેણે જીવન બદલી નાખ્યું હોય?

યુવલ: રેને દેકાર્તનું પુસ્તક "ડિસ્કોર્સ ઓન ધ મેથડ" 

પ્રશ્ન: સુઈ જાવ ત્યારે ફોન સાથે રાખો છો?

યુવલ: હું સ્માર્ટફોન નથી વાપરતો. મારા જીવનસાથી પાસે છે એ પૂરતું છે.

પ્રશ્ન: તમને શક્તિ અને શાંતિ આપે તેવું એક વિધાન?

યુવલ: "વાસ્તવિકતાને તે જેવી છે તેવી રીતે જ જુવો, તમને મન થાય તે રીતે અથવા તે કેવી હોવી જોઈએ તે રીતે નહીં."


Sunday, June 19, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૦

 

        સાધારણતા (મીડીઓક્રીટી) બહુમતીમાં હોય છે, જ્યારે અસાધારણતા (એક્સલન્સ) લઘુમતીમાં હોય છે. 90 ટકા લોકો મીડીઓકર હોય છે. તેઓ વ્યક્તિમાં પોતાનું જ રિફલેક્શન જોવાનું પસંદ કરે છે. મીડીઓક્રીટી એટલે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં-મીડીયમ, વચ્ચેનું, મધ્યમ અથવા ચાલે તેવું. 

        એક્સલન્સ એટલે અમુક બાબતો અથવા લોકો  કરતાં ઉપર હોવું, શ્રેષ્ઠ હોવું તે. કોઈ કંપની હોય, સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં મીડીઓકર લોકોની સંખ્યા વધારે જ હોવાની કારણે તેનો મુખ્ય હેતુ બધું સમુસુતરું ચાલતું રહે તેટલા પૂરતો જ હોય છે. મીડીઓક્રીટી વર્તમાનમાં સફળ હોય છે કારણ કે વર્તમાનની જરૂરિયાત કામ થઈ જવા પૂરતી હોય છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતમાં એક્સલન્સની અનિવાર્યતા રહે છે, કારણે બહુમતી લોકોને એ વિશ્વાસ નથી હોતો કે મીડીઓક્રીટીથી ભવિષ્ય બની શકે. સાધારણતા વર્તમાનની વિશેષતા છે, અસાધારણતા ભાવીનો ગુણ છે.

Sunday, June 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૯

        જેને તમારી સામે વાંધો હોય, તેવી વ્યક્તિની એક આવડત જબરદસ્ત હોય, તમે કશું પણ બોલો, એ તમારા જ શબ્દોને ટ્વિસ્ટ કરીને, તમારા પ્રત્યે તેને કેમ નારાજગી છે, તેનો તત્કાળ પુરાવો આપે. નારાજ વ્યક્તિની એક માત્ર જરૂરિયાત તેની નારાજગીને ઉચિત ઠેરવવાની હોય છે, એટલે તેમને તમારી વાતોમાં નહીં, તમને દુઃખી કરવામાં રસ હોય છે. ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો. તેમનો પ્રોબ્લેમ તમે તેમને શું ફીલ કરાવો છો તેનો હોય છે. તેમને એવું લાગે કે તેને કેવું લાગે છે તેની જવાબદારી તમારી છે. આને Sadness Paradox કહે છે. 

        જેમ એક દુઃખી માણસ દુઃખની ઘડીમાં મુકેશ કે દર્દભરે નગ્મે 'એન્જોય' કરે, તેવી રીતે તમારાથી નારાજ વ્યક્તિ જ્યાં સુધી તેની નારાજગી તમારામાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેને સુખ ન મળે. એટલા માટે એક દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિને સહન ન કરી શકે. "પેટનો બાળ્યો ગામ બાળે" કહેવત આવી રીતે આવી છે.


Sunday, June 5, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૮

        

        વિશ્વના કોઈપણ દેશમાં થતી અલગ અલગ પ્રકારની શોધખોળો થકી જ માનવજ જીવન વધારે સુખ-સુવિધા યુક્ત બન્યું છે . અનેક રોગોની નાબૂદી સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે, જીવનધોરણમાં પણ સમયાંતરે સુધારાઓ આવતા જાય છે. આવા સુધારાઓ માટે નિમિત્ત બનનાર સમાજસેવકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ જ્યારે નોબલ પારિતોષિક થકી સન્માનિત થાય ત્યારે એમની ઓળખ વિશિષ્ટ બની જાય છે, વિશ્વ પણ એમને અહોભાવની નજરે નિહાળે છે. 

        આ નોબલ પારિતોષિક મેળવનાર ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે ભારતીય વિભૂતિઓએ પણ કોઈને કોઈ પ્રકારે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ એમની જોઈએ તેવી નોંધ લેવામાં આવ નથી. નોબલ પારિતોષિક માટે પસંદ થયેલા ભારતીય વૈજ્ઞાનિકો જેમને કોઈને કોઈ કારણોસર આ પારિતોષિક મળ્યું નથી પરંતુ તેમનાં જ સંશોધનો પર વિદેશી વૈજ્ઞાનિકોએ નોબલ મેળવ્યા હતા.


1. નારીન્દર સિંઘ કપાની (ઓપ્ટિકલ ફાઇબર)


2. ડો.જી.એન.રામચંદ્રન (પ્રોટીન બંધારણ)


3. સુભાષ મુખોપાધ્યાય (ટેસ્ટટ્યૂબ બેબીના જનક)


4. સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ ગેસ, બોસોન)


5. ડો.ઉપેન્દ્ર બ્રહ્મચારી (બ્લેક ફીવર)


6. ઇ.સી.જી. સુદર્શન (ગ્લોબલ સુદર્શન થિયરી)


7. જગદીશચંદ્ર બોઝ (વાયરલેસ સંદેશાવ્યવહાર)


8. સી.એન.આર.રાવ


9. ડો.હોમી ભાભા (પરમાણું પિતામહ)


10. બીબા ચૌધરી (સબ એટોમિક પાર્ટીકલ)


11.દેબેંદ્ર મોહન બોઝ (ફોટોગ્રાફીક મેથડ પરમાણુ પ્રક્રિયા)


12. મેઘનાદ સહા (સહા આયોનાઇઝેશન ઇકવેશન-સમીકરણ)

Sunday, May 29, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૭

     

        અભિવ્યક્તિની સ્વતંત્રતા જ્ઞાનનો સોર્સ છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા માત્ર અધિકારનો મુદ્દો નથી. એમાં જાણકારી, સમજણ, અભિપ્રાયો, આઇડિયા અને માન્યતાઓની આપ-લે પણ છે. આપણે અભિવ્યક્તિની સ્વતંત્રતાના માધ્યમથી એકબીજાના જ્ઞાનના પરિચયમાં આવીએ છીએ. એક વિચારશીલ સમાજની રચના વિભિન્ન અને ક્યારેક વિરોધાભાસી વિચારોના મેળામાંથી થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ થાય છે એવું કહેવાનો અર્થ એવો થયો કે વ્યક્તિ પુસ્તક વાંચવાથી બગડી જાય છે. 

        એક ઉત્તમ વાચક ક્યારેય એવું ન કહે કે તેણે ભંગાર પુસ્તકો ક્યારેય નથી વાંચ્યાં. પુસ્તકો પર જો ફિલ્ટર લગાવ્યું હોત તો લોકોમાં મૌલિક વિચારશક્તિ વિકસી ન હોત. અભિવ્યક્તિની સ્વતંત્રતાથી અસત્ય શું છે તે સમજવાની ક્ષમતા પણ વિકસે છે અને છેવટે તેમાં સત્યનું જ કલ્યાણ થાય છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એક વ્યક્તિ અને એક સમાજની પ્રગતિ સાથે સીધી રીતે જોડાયેલી છે.

Sunday, May 22, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૬

 


        મારી વિચારયાત્રા મારી જીવન યાત્રા બને એ દિશામાં મારા પ્રયત્નો અવિરત પણે ચાલુ રહેવા જોઈએ. માણસ વિચારતો હોય એ પ્રમાણે જીવવામાં તેને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. શક્ય બને ત્યાં સમાધાનવૃત્તિ સાથે જીવવાની આદત જો હોય તો વિચારો પ્રમાણે જીવી શકાય છે. વારંવાર એવું સાંભળવા કે વાંચવા પણ મળે છે કે જે માણસ વાંચે છે, તે વિચારે છે અને એ જ માણસ એ વિચારો પ્રમાણે જીવન જીવવાનો પ્રયાસ પણ કરે છે. 

        દરેક વખતે તમે સમાધાન કરવાની ટેવ રાખશો તો પોતાના વિચારોને પકડીને જીવવાનું સરળ બની શકે છે. મને ગમતી બાબતો દરેકને જ ગમતી હોય એવો આગ્રહ રાખવો એ અતિશયોક્તિ ગણાય. જીવન જીવવા માટે દરેકને પોતાના અભિગમ હોય છે. દરેક જણ પોતાના જીવનને ઊત્તમ રીતે જીવવા માગે છે,  પોતાના વિચારોની ઉન્નતિ માટે સારો અનુભવ પણ એટલો જ ઉપયોગી નીવડે છે. નિજાનંદી વ્યક્તિત્વ વિકસાવવા માટે પોતાની સરખામણી બીજા સાથે કરવાની આદત છોડવાની તૈયારી હોય તો જ તમે પોતાના વિચારો પ્રમાણે જીવન જીવી શકો છો. જીવન એટલે સતત ચાલતી વિચારોની ઘટમાળ.


Sunday, May 15, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૫

વર્તમાન કોરોના કાળ બાદ જ્યારે પરિસ્થિતિ પૂર્ણ સ્થિર થવા પ્રયત્નશીલ છે ત્યારે એક શિક્ષક તરીકે સતત એ વિચાર આવ્યા કરે છે કે શું શિક્ષણની વ્યાખ્યાઓ બદલાઈ જશે ? સંસ્કાર, વિનય, વિવેક જેવી બાબતો માત્ર માત્ર શાળાઓનો જ ભાગ હતી ? બાળકો સાથેનું વાત્સલ્ય અને પ્રેમ, હૂંફ અને કરુણા જેવા સદગુણો બાળકને માતા-પિતા કરતાં વધારે કોણ સારી રીતે કેળવી શકે ? શિક્ષણમાં  માત્ર ધોરણવાર નક્કી થયેલા અભ્યાસક્રમને ભણાવી દેવાથી બાળક એ વધુ બધું જ ગ્રહણ કરે છે એવી માન્યતા કોણે વિકસાવી ? દરેક બાળક સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે,  સ્વતંત્ર રીતે વિચારી શકે છે ત્યારે તેને પૂરતી મોકળાશ આપવાથી તે સારા નરસાનો ભેદ ભાવ સારી રીતે પારખી શકે છે. માણસ સંપૂર્ણ બને એવી કેળવણીની વાતો સેમિનાર કે ઓનલાઇન સંવાદો જેવા ઘણા કાર્યક્રમો કેટલા થાય છે તેમાં વારંવાર સંભળાય છે, ત્યારે એક જ વિચાર થાય કે તેમાં ભાગ લેતા દરેક માંથી કેટલા લોકોએ સાંભળ્યા બાદ પોતાના જીવનમાં કે પોતાના બાળકો કે પરિવારમાં એ બધા વિચારોને વહેંચવાનો પ્રયત્ન કરે છે. જો આ વિચારોની વાવણી યોગ્ય રીતે થાય તો સમજી શકાય કે શિક્ષણનો ઉદ્દેશ સાર્થક થઈ શકે છે.


Sunday, May 8, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૪

અંગત હોય કે વ્યવસાયિક, નાના હોય કે મોટા, આપણું રોજીંદુ સુખ સવારથી સાંજ સુધીના આપણાં ઉદ્દેશ્ય પર નિર્ભર કરે છે. આપણી પાસે દિવસ પસાર કરવાનું સ્પષ્ટ પ્રયોજન હોય તો આપણી અંદર અને બહારની અંધાધૂંધી વચ્ચે પણ આપણે સ્વસ્થતાપૂર્વક રસ્તો કરી શકીએ. 

નિત્શેએ કહ્યું હતું "He who has a why to live for can bear almost any how.” "હું સવારે શા માટે ઉઠું છું?" (જેને ઇકિગાઇ પણ કહે છે) એ એક પ્રશ્નના જવાબ પર આપણી માનસિક અને શારીરિક તંદુરસ્તીનો આધાર છે. આપણે જીવતા છીએ એટલે સવારે ઉઠીએ છીએ. આપણે ઉઠીએ છીએ એટલે આપણે જીવતા છીએ. આપણી પાસે કાયમ માટે સૂતાં રહેવાનાં એક હજાર કારણો હોય તો પણ આપણે સવારે ઉઠીને કશુંક ને કશુંક કરતા રહીએ છીએ. આ 'કશુંક ને કશુંક' જીવનની ગુણવત્તા અને સાર્થકતા નક્કી કરે છે. 

કરવા જેવું કામ, પ્રેમ કરવા જેવી વ્યક્તિ અને ભવિષ્ય માટે ઉમ્મીદ...આ ત્રણ ચીજોનો સરવાળો થાય ત્યારે સુખ આવે છે.

Sunday, May 1, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૩

 

        જ્યાં સુધી સ્ત્રી-પુરુષમાં એકબીજા પર અધિકાર સ્થાપવાનો ભાવ છે ત્યાં સુધી, ગમે તેટલા તેટલો મીઠો સંબંધ હોય, તેમાં કડવાશ આવી જ જાય. માણસો ટેલિવિઝન સેટ કે પાળતું પ્રાણી નથી કે તેના પર એકાધિકાર સ્થાપી શકાય, પરંતુ ઇન્ટિમેટ સંબંધોમાં એ ભાવ આવી જ જાય છે. કારણ કે રોમેન્ટિક પ્રેમ લોકતાંત્રિક નથી હોતો. એ સરમુખત્યારશાહીમાં માનતો હોય છે. એક્સલૂઝીવિટી તેનો ગુણ હોય છે, એટલે તે વ્યક્તિ પર તેનો એકાધિકાર સ્થાપે છે; મારા સિવાય તારું કોઈ નહીં. તેમાંથી જ ઓબ્સેશન અને માલિકીભાવ આવતો હોય છે. 

        આપણે સામાજિક, પારિવારિક, આર્થિક, શારીરિક કે ભાવનાત્મક કારણોસર એ કડવાશને નજર અંદાજ કરી દઈએ તે અલગ વાત છે, બાકી જો એવી સ્વાર્થી જરૂરિયાતો ન હોય તો 99 ટકા લગ્નો ખતમ થઈ જાય. મને એક સંબંધમાંથી જે જોઈએ છીએ તે જો મળતું બંધ થઈ જાય, તો પ્રેમનું તાત્કાલિક બાષ્પીભવન થઈ જાય.