Friday, October 14, 2022

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના


 

        લોકભારતીગ્રામ્યવિદ્યાપીઠસણોસરા ના આદ્ય પ્રણેતા અને સહ સંસ્થાપક ઉત્તમ નવલકથાકાર તેમજ કેળવણીકાર મનુદાદા પંચોળી ઊર્ફે દર્શકદાદાને જન્મજયંતિ પર શત શત વંદન. શ્રી મનુભાઈ પંચોળી ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ ઇતિહાસવિદ, ઉત્તમોત્તમ શિક્ષક, વિશ્વસહિત્યના ઉત્તમ મરમી, ઉત્તમ ખેડૂત, ઉત્તમ સર્જક-ચિંતક, ગાંધી-વિચારના ઉત્તમ પરિશીલનકર્તા, નખશીખ પ્રામાણિક રાજનીતિજ્ઞ, સમાજવાદી, નઈ તાલીમ-નવ નિધાનના પૂજક તથા પ્રણેતા, ગ્રામીણ અર્થકારણના તજજ્ઞ. એમના કેટલાક અવતરણો.. 

        શિક્ષણનું કામ માનવીને બેઠો કરવાનું અને બેઠો હોય તો ઉભો કરવાનું અને ઉભો હોય તો દોડતો કરવાનું છે એ સાથે જ જે સમાજ પોતાના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરતો નથી એ સમાજમાં લોકોને કોર્ટ અને લશ્કર માટે વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.

        ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીયે તો નાનાભાઈ ભટ્ટ નસીબદાર કે એમને દર્શક મળ્યા. જોન ધ બાપ્ટિસ્ટની જેમ નાનાભાઈ કહેવામાં ગર્વ લેતા કે જે મારી પાછળ આવે છે તેના જોડાની વાધરી છોડવાની પણ મારી લાયકાત નથી. નાનાભાઈના વાત્સલ્ય થકી આવતાનાં એંધાણ પારખતી ઉમંગભરી ઉદારતાએ દર્શકને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 

       ગામડાની અભણ સ્ત્રી પુરીબાઈથી માંડીને મહાત્મા ટોલ્સ્ટોય, ખેતરથી માંડીને સંસદ, ગ્રામદક્ષિણામૂર્તિના અદના વિધાર્થીથી માંડીને ખલીલ જિબ્રાન, નવજીવનથી માંડીને મૃત્યુ, વિશ્વસમસ્તના મહાપુરુષો, સંતો, ચિંતકો, લેખકો પર વિષદપણે મનનપૂર્ણ ચર્ચા વિચારણા અને આલેખન કરનાર આપણા દર્શક તો સમકાલીન જગતને તોડનાર અને ધારણ કરનાર મૂલ્યોની ઝીણી સૂઝ મેળવવાને પરિણામે એક સાચા જગતનાગરિક બન્યા છે. જય હો લોકભારતીની ધન્ય ધન્ય ધરાની...

( પરિચય સંદર્ભ:મનીષીની સ્નેહધારા માંથી સાભાર )

Sunday, October 9, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૬

     

માણસો વિચારો કરીને પરેશાન રહે છે તેનું  કારણ એ છે કે તેમનું મન પરસ્પર વિરોધી વિચારોને પ્રોસેસ નથી કરી શકતું. સામાન્ય રીતે, મનની અસલી પ્રકૃતિ દ્વૈત (સારું અને ખરાબ)ની છે. આપણે કોન્સિયસ સ્તરે અને અનકોન્સિયસ સ્તરે જુદી અને ક્યારેક વિરોધી રીતે વિચારીએ છીએ. આપણે જ્યારે એ વિરોધીતામાંથી કોઈ એકને પસંદ કરવા માટે બીજાનો ઇન્કાર કરીએ છીએ ત્યારે વૈચારિક સંઘર્ષ સર્જાય છે. દાખલા તરીકે, તમે મૂર્તિપૂજામાં નથી માનતા પરંતુ પરિવારના બીજા લોકો માટે થઈને તમારે કોઈ વિધિ કરવી પડે, તો તમને આકરું લાગવા માંડે છે. આપણે રોજ અનેક વિસંગત વિચારોનો સામનો કરતા હોઈએ છે. આપણા બુનિયાદી મૂલ્યોને સાચવી રાખીને આપણે જો વિરોધાભાસોને પ્રોસેસ કરી શકીએ તો પરેશાની ઓછી થાય છે. આપણી ઉર્જા વિચારોમાં નહીં, આ સંઘર્ષમાં ખર્ચાય છે એટલે તે સ્ટ્રેસ પેદા કરે છે. ડાહ્યો માણસ બે પરસ્પર વિરોધી સત્ય વચ્ચે સંતુલન જાળવી રાખીને પોતાને ગબડી જવા ન દે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૫

 

    વ્યગ્રતા (ઍંગ્ઝાયટિ) ત્યારે આવે જ્યારે મનની અભિવ્યક્તિ અને એક્શનના રસ્તા બંધ હોય. આપણને જ્યારે કોઈક બાબત કોરી ખાતી હોય અને આપણે એમાં કશું જ કરી ન શકીએ, ત્યારે તે ઍંગ્ઝાયટિમાં તબદીલ થઈ જાય. સાધારણ માણસોની સરખામણીમાં લેખકો અને કલાકારો તેમની ઍંગ્ઝાયટિને વધુ સારી રીતે પ્રોસેસ એટલા માટે કરી શકે છે કેમ કે તેમની પાસે સાર્થક અભિવ્યક્તિના ઉપાયો છે. આપણે કોઇપણ રીતે, લખી-બોલીને કે કશું કામ કરીને, જો મનને પ્રોડકટિવ બનાવીએ તો ઍંગ્ઝાયટિની તીવ્રતા ઘટી જાય છે. ઍંગ્ઝાયટિ એ મનનું ઓવરથિન્કિંગ છે. એ ઉર્જાને જો કોઈ કામમાં વાળવામાં આવે તો મન પાસે વિચારો કર્યા કરવાની નવરાશ નથી હોતી. એટલા માટે એક ખેડૂત કે મોચીને ઍંગ્ઝાયટિ જેટલી નથી સતાવતી તેટલી સુખી લોકોને સતાવે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, September 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૪


        મોટાભાગના વાચકો પુસ્તક વાંચતી વખતે લેખકના લખાણને નહીં, પોતાના અર્થઘટનને વાંચે છે, અને તે પ્રોસેસમાં અસલ લખાણનો ઉદેશ્ય ખોવાઈ જાય છે. આપણું મન સતત અર્થઘટન કરતું હોય છે; આ બરાબર છે, આ બરાબર નથી. આ આવું નહીં, પણ તેવું હોવું જોઈએ. હું સહમત છું, હું સહમત નથી. આપણે એ જ 'વાંચીએ' છીએ, જે આપણી અંદર અગાઉથી મોજૂદ છે. આપણે આપણને જ વાંચીએ છીએ. શ્રેષ્ઠ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, September 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૩

 વહેલાં શીખવા જેવી સાત બાબતો....

1. આપણે જેટલું ધારીએ છીએ એટલું લોકો આપણા વિશે નથી વિચારતા.

2. દોષારોપણ સૌથી વ્યર્થ પ્રવૃત્તિ છે. 

3. આપણા વિચારોની ગુણવત્તા પરથી જીવનની ગુણવત્તા નક્કી થાય છે. 

4. જે ચીજ સાર્થક છે તે સરળ નથી, અને જે સરળ છે તે સાર્થક નથી. 

5. આપણને એટલા જ પ્રમાણમાં પ્રેમ મળે, જેટલા પ્રમાણમાં કષ્ટ સહન કરવાની તૈયારી હોય. 

6. આપણે ખુદનું જેટલું સન્માન કરીએ, લોકો એટલું જ સન્માન આપણને આપે.

7. અભિપ્રાય બાંધવામાં ઉતાવળ ન કરવી. દરેક વ્યક્તિ તેની સમજણ પ્રમાણે બનતા પ્રયાસ કરે છે.


(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓ માંથી સાભાર)

Monday, September 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૨

         

        બે દુઃખી બે વ્યક્તિઓ ભેગી થાય, તો તે એકબીજાને દુઃખી કરે, કારણ કે બંને એકબીજામાં 'પોતાનું' સુખ શોધતી હોય છે. બે વ્યક્તિઓ જ્યારે પોતાનાં સુખની તલાશ કરતી હોય, ત્યારે તે સંઘર્ષ પેદા કરે, કારણ કે તેમનું ફોકસ પોતાના પર હોય, સામેની વ્યક્તિ પર નહીં. સુખી વ્યક્તિઓ સંબંધ કેળવે ત્યારે તે એકબીજાને સુખ આપે, કારણ કે તેમનું ફોકસ 'પોતાનું' સુખ મેળવવા પર નહીં, પોતાની પાસે જે સુખ છે તે 'બીજી' વ્યક્તિને વહેંચવા પર હોય. સંબંધોમાંથી સુખ મળે છે તે વાત મિથ છે. કોઈ કોઈને સુખી ન કરી શકે, જો તે સ્વતંત્ર રીતે સુખી ન હોય. 

       સંબંધમાં આપણે એ જ ઓફર કરીએ છીએ, જે આપણી પાસે હોય છે. વિમાનમાં ઇમરજન્સીમાં સહપ્રવાસીનો જીવ બચાવતા પહેલાં ઓકિસજન માસ્ક પહેરી લેવો. કેમ? તમે જીવતા હશો તો મદદ કરી શકશો ને! એટલે પહેલાં ખૂદનો જીવ બચાવો. સુખ પણ ઓકિસજન માસ્ક જ છે. પહેલાં જાતે પહેરવો પડે.

Sunday, September 4, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૧

         

        આપણી બુદ્ધિ જો આપણા અંગત જીવનની મુસીબતોને ઉકેલવામાં કામ ન આવતી હોય, તો તે બુદ્ધિનું પ્રદર્શન સેલ્ફ-પ્લેઝરથી વિશેષ નથી. તેના માટે અંગ્રેજીમાં braingasm શબ્દ પણ છે; માનસિક પ્લેઝર. જેમ કાનમાં આંગળી નાખવાની મઝા આવે, તેવી રીતે લોકોને જ્ઞાન બતાવતા રહેવાથી મગજમાં ઉત્તેજના અનુભવાય. ઘણા લોકો braingasm મેળવવા માટે જ ચર્ચાઓ કરતા હોય છે. 

        તેનાથી ઈગો સંતોષાય. આપણે જેમ રૂપાળા દેખાવા ફેશનેબલ વસ્ત્રો પહેરીએ છીએ, તેવી રીતે બીજાની સામે છાકો પાડી દેવા માટે બુદ્ધિ બતાવીએ, તો તેને બૌદ્ધિક ગલલિયાં કહેવાય, પણ બુદ્ધિની સચ્ચાઈની અસલી કસોટી એ અંગત જીવનની આપણી ત્રુટીઓને સાંધવામાં કેટલી ઉપયોગી છે તેના પરથી નક્કી થાય છે. એટલા માટે, જે લોકો દેશ-દુનિયાની મુસીબતોના ઉકેલ બતાવતા ફરે છે, તેમને પૂછવું જોઈએ કે તેમણે તેમના જ્ઞાનનો સહારો લઈને તેમની કેટલી અંગત મુસીબતો હલ કરી છે.


Sunday, August 28, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૦

         

        શીખવાનો અર્થ એ નથી કે આપણે જ્ઞાની થઈ ગયા. શીખવાનો અર્થ અજ્ઞાન થોડું ઓછું થયું એવો થાય. જ્ઞાનની કોઇ સીમા નથી. આપણે જેટલું શીખીએ છીએ, તેટલું એ અંતર ઓછું થાય છે, પણ ત્યાં સુધીમાં જ્ઞાનની સરહદ વિસ્તરી ચુકી હોય છે. દુનિયા એટલી મોટી અને સતત પરિવર્તનશીલ છે કે આપણે અજ્ઞાનથી જ્ઞાન તરફ નહીં, પણ અજ્ઞાનથી ઓછા અજ્ઞાન તરફ જઈએ છીએ. 

        આપણે ગમે તેટલું જ્ઞાન મેળવી લઈએ, થોડું અજ્ઞાન તો રહી જ જાય છે. એટલા માટે, આપણે જે પણ શીખીએ છીએ તેને તરત જીવનમાં લાગુ કરી દેવું જોઈએ, જેથી એ કામનું છે કે નકામું તેની સમજ પડે, અને આપણે પાછા શીખવાની પ્રક્રિયામાં લાગી જઈએ. બૌદ્ધિક વિનમ્રતાનો અર્થ જ એવો સ્વીકાર છે કે જ્ઞાનની સરખામણીમાં અજ્ઞાન હંમેશા વિશાળ હોય છે.

Sunday, August 21, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૯

     

    અર્થવ્યવસ્થા માત્ર જનકલ્યાણ માટે નથી. એ રાજકીય તાકાત પણ છે. દરેક સરકાર તેની તાકાત બરકરાર રાખવા માટે અર્થવ્યવસ્થાનો હથિયાર તરીકે ઉપયોગ કરે છે. જેના હાથમાં અર્થવ્યવસ્થા હોય, તેના હાથમાં રાજકીય તાકાત હોય છે. એટલા માટે સરકાર બહુમતી સમાજ પાસેથી આર્થિક તાકાત છીનવી લઈને તેના માનીતા-પાળેલા મુઠ્ઠીભર લોકોને સમૃદ્ધ બનાવે છે, જેથી રાજકીય તાકાત સીમિત હાથોમાં સલામત રહે. આને ક્રોની-કેપિટાલિઝમ કહે છે. 

        સમાજમાં વધુને વધુ અસમાનતા હોય, બે ટંક ભેગી કરવાનો સંઘર્ષ હોય અને લાગણીઓમાં ખેંચાઈ જવાય તેવી 'સમસ્યાઓ' હોય, તો તે સમાજને દબાયેલો રાખવાનું આસાન રહે છે. એટલા માટે સરમુખત્યારશાહી અને ગરીબી સાથે-સાથે જ ઉછરે છે. સુખી અને સશક્ત સમાજ આંખો બતાવે એ સરકારને ન પોષાય. સરકાર લોકોનું આર્થિક કલ્યાણ ઈચ્છે છે એ ભ્રમ છે. એવું હોત તો અમુક સમસ્યાઓ ક્યારનીય ઉકેલાઈ ગઈ હોત.


Sunday, August 14, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૮

કોઈ મેસેજમાં જૂઠ બોલે છે તેના 10 સંકેત.

1. તરત જવાબ ન આપે. અનુકૂળ જવાબ ગોઠવવામાં સમય લે.

2. સરળ અને સીધા સવાલના જવાબમાં લાંબા અને જટિલ વાક્યો લખે.

3. વાત બદલી નાખે. તેને અનુકૂળ હોય તેવી ચર્ચામાં તમને લઈ જાય.

4. તમને જટિલ પ્રતિ પ્રશ્નો પૂછે. 

5. અચાનક ચર્ચા અટકાવી દે. ચાલુ વાતે 'મારે કામ છે' કહીને છૂ થઈ જાય.

6. ભાષામાં લાગણીવેડા વધુ હોય. જૂઠી વ્યક્તિ પોતાની વાત મનાવવા માટે વધુ પડતી લાગણીસભર વાતો કરે.

7. વધુ પડતી પોલિશ્ડ વાતો કરે. જૂઠી વ્યક્તિના શબ્દો, વાક્યો અતિશય 'સારાં' લાગે, તો માનવું કે તે નકલી છે.

 8. તેની વાતોમાં ફરિયાદનો સૂર વધુ હોય. તે કોઈને ને કોઈને દોષિત ઠેરવે.

9. એક મિનિટ પહેલાં કે એક દિવસ પહેલાં કરેલી વાતમાં પણ ફરક આવતો હોય.

10. ગટ ફીલિંગ. નિયમિત રીતે વાતો કરો, તો તમારી અંદર એક ગટ ફીલિંગ કેળવાય , જે તમને સામેની વ્યક્તિ વિશે એક્યુરેટ સંકેત આપે.

Sunday, August 7, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૭

       

         માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પ્રતિકૂળ તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. પોતાના પૂર્વગ્રહોને સમજવા અઘરા હોય છે એટલું જ નહીં, પૂર્વગ્રહોથી બચવું પણ અસંભવ છે. આપણું મગજ રોજેરોજ અંદર આવતી જથ્થાબંધ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા સક્ષમ નથી, એટલે તે સિલેક્ટિવલી એવી ઇન્ફોર્મેશનને જાળવી રાખે છે જેનાથી તેને 'સારું' લાગે. આપણે જ્યારે તથ્યોને બદલે લાગણીઓના આધારે કોઈ મત બંધીએ, ત્યારે તેને મોટિવેશનલ રિજનિંગ કહે છે. 

        સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ-મૈં મૈં અને ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. પૂર્વગ્રહોના પ્રભાવને ઓછો કરવા માટે જ પ્રમાણો આધારિત વિજ્ઞાનનો વિકાસ થયો છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. એવા 'જાણકાર' માણસોને જાણકારી આપવી અઘરી હોય છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન નથી, પણ ખોટી જાણકારી છે.