Monday, March 29, 2021

વિરલ વિભૂતિ :: શ્યામજી કૃષ્ણ વર્મા

 

        ભારતની આઝાદીમાં પોતાનો અમૂલ્ય ફાળો આપનારા આપણા ગુજરાતના જ શ્યામજી કૃષ્ણ વર્માને આપણે હર હંમેશા યાદ કરવા જ જોઇએ. આપણો દેશ જયારે આઝાદીના ૭૪માં વર્ષની ઉજવણી કરતો હોય ત્યારે એક ગરવા ગુજરાતી તરીકે આજે તારીખ ૩૦-૩-૨૦૨૧ ના રોજ એમની નિર્વાણતિથીએ આપણે આ મહાપુરુષને યાદ કરીએ, એમને વંદન કરીએ કે જેમના તો શબ્દોએ પણ ક્રાંતિ કરી હતી. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છનાં માંડવીમાં ૧૮૫૭ની ચોથી ઓકટોબરના રોજ થયો હતો. એમના પિતાની આર્થિક સ્થિતી નબળી હોવાથી તેઓ મુંબઇમાં આવી ગયા હતા. એમનું આગળનું ભણતર પણ અહીંયા જ થયું. શ્યામજી કૃષ્ણ વર્મા ભણવામાં ખુબ જ હોશિયાર હતા. એમના શિક્ષકો એમના ભણતર દરમિયાન જ માની ગયા હતા કે આ શ્યામજી આગળ જતા એક મહાન માણસ બનશે. નાનપણમાં જ એમની માતાનું અવસાન થવાથી તેઓ પોતાની નાનીને ત્યાં ભુજમાં રહીને ભણવા લાગ્યા. એમને આશા જન્મી કે હું ભણી ગણીને જરુર દેશનાં બાંધવો માટે કાંઇક કરીશ.

        એમણે શાળાજીવન દરમિયાન જ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાને જાણી લીધી અને એના પુસ્તકો પણ વાંચી લીધા હતા. એના જ કારણે એમનામાં આંતરસૂઝ, આવડત, હોશિયારી, નિર્ણયશકિત, લેખનશકિત જેવા ગુણોનો વિકાસ થયો હતો. હાઇસ્કુલના મિત્રો સાથે મળીને તેઓ એક ભીંતપત્ર દરમહિને બહાર પાડતા હતા. એમાં શ્યામજી ભારતીય સંસ્કૃતિ વિશેના લેખ લખતા હતા. હાઇસ્કુલમાં બધા જ એમની ધારદાર દેશદાઝ ભરેલી વાણીને સાંભળવા માટે આતુર રહેતા હતા. એમની વાણીમાં તે વિવિધ વિવિધ વિષયને અવનવા ઉદાહરણો, કટાક્ષો, શ્લોક વડે રજૂ કરતા હતા. એમની આટલી આવડત અને હોશિયારી હોવા છતાં પણ અવળા સંજોગો અને પોતાની આંખની ખામીને કારણે તેઓ પ્રથમ વખતે જ મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થયા હતા. આના કારણે તેઓ ખુબ જ હતાશ અને નિરાશ થઇ ગયા. પરંતુ બહુ જલ્દી જ એમણે સ્વસ્થતા પ્રાપ્ત કરીને ફરીથી પરીક્ષા આપી અને સારા માર્કસથી પાસ થઇ ગયા. ઇ.સ ૧૮૭૫માં સ્વામી દયાનંદ સરસ્વતીનો સંપર્ક થયો, જે એમના માટે સુભગ નીવડયો. જેમની જ પ્રેરણાથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને દેશસેવામાં જોડાઇ ગયા. એમણે પોતાનું આગળનું ભણતર ઓકસફર્ડ યુનિવર્સિટીમાં જઇને પૂર્ણ કર્યુ.

        એમની તેજસ્વિતા અને ઉજળી કારર્કિદીના સમાચાર વાયુવેગથી ચારેબાજુ ફેલાઇ ગયા હતા. એમને ઉદેપુરની કાઉન્સિલમાં ૧૮૯૩ દરમિયાન માનદ્‌ સભ્યપદ આપવામાં આવ્યું. આ સમય દરમિયાન જ એમને દેશી રજવાડાઓમાં પ્રાણ ફુંકવા માટે જૂનાગઢ રાજયના પણ દીવાન બનાવવમાં આવ્યા. પણ સાથી કર્મચારીઓની ખટપટના કારણે જ એમણે તે વખતના ૧૫૦૦ રૂપિયાના પગારવાળી નોકરી છોડી દીધી હતી. તેમને બ્રિટિશ સત્તાની ન્યાયપ્રક્રિયામાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. હવે તેઓ સંપૂર્ણપણે રાષ્ટ્રવાદી વિચારધારાવાળા બની ગયા. લોકમાન્ય ટિળકનો સંપર્ક થયા બાદ શ્યામજી રાષ્ટ્રીય ચેતનાના કાર્યક્રમોમાં જોડાઇ ગયા હતા. તેઓ લોકજાગરણના નાયક તરીકે કાર્ય કરવા લાગ્યા હતા.

        એમણે ઈંગ્લેન્ડ જઇને " ધ ઇન્ડિયન સોશિયોલોજી " નામનું અખબાર ચાલુ કર્યુ. આ અખબારથી એમણે ભારતમાં રહેલા અંગ્રેજોનો ત્યાં જ રહીને વિરોધ કર્યો. ધીમે ધીમે એમનો આ વિરોધ એક આંદોલનના સ્વરૂપમાં બહાર આવવા લાગ્યો. ઇંગ્લેન્ડમાં ઇન્ડિયા હાઉસ નામની આંદોલન સંસ્થા બનાવી અને એમનું સફળ સંચાલન પણ કર્યુ. આ સંસ્થા થકી એમણે લખેલા લખાણો અને આપેલા વકતવ્યોનો એવો તો વિરોધ થયો કે એમને વગર સજાએ ઇંગ્લેન્ડ છોડવાની ફરજ પાડવામાં આવી.

        ઈંગ્લેન્ડથી તેઓ જીનીવા અને બર્લિન ગયા. જયાં પણ ગયા ત્યાં એમના શબ્દો વડે ક્રાંતિનો નાદ જગાવ્યો. દેશમાટે મરી ફીટવું એ જ એમની મહાનતા હતી. ઇ.સ ૧૯૨૭માં રશિયન ક્રાંતિની દસમી સંવતત્સરીમાં હાજરી આપવા માટે તેઓ રશિયા ગયા ત્યારે તેમની મુલાકાત પંડિત જવાહરલાલ નહેરુ સાથે થયેલી. રશિયાના ક્રાંતિકારી મેકિસમ ગોર્કીએ કહેલું કે “શ્યાજી વર્મા તો હિંદના મેઝેની છે.” આ એમના માટે ખુબ જ મોટું સન્માન હતું. દેશ માટે મરી ફીટવુ એ જ એમના જીવનનો ધ્યેય હતો. એક હિંમતવાન ક્રાંતિકારી તરીકે એમની છાપ લોકોના હ્યદયમાં અંકિત થઇ ગયેલી.

        પત્રકાર તરીકેની એમની નીડરતા, સચ્ચાઇ અને સાહસિકતા વગેરે કોઇને પણ સ્પર્શી જાય એવા એમના ગુણો હતા. આથી જ વર્ષો સુધી જ એમની કલમ ચાલતી રહી અને આપણા આ વીર સપૂત કલમ વડે ક્રાંતિ કરતા રહ્યા. શત્ શત્ નમન છે આવા આપણા ભારતીય સપૂતને. જય હિંદ.

No comments:

Post a Comment