Tuesday, October 27, 2020

સર્જનની સરવાણી-૯

        

        વર્તમાન સમયમાં જયારે આપણા બાળકોનો સંબંધ જીવંત  શિક્ષણ-પ્રણાલી સાથે તૂટી ગયો છે એવામાં આપણે સૌ ઓનલાઇન શિક્ષણના નામે એને સાંધવાનો પ્રયત્ન કરતા હોઈએ એમ લાગે છે. એ વર્ગખંડમાં ગુંજતી કિલકારીઓ અને શાળાના મેદાન પર હસતા-રમતા તેમજ કુદકા મારતા બાળકોની મસ્તી ખોવાઈ ગઈ હોય એવું લાગે છે. આવા માહોલમાં ઘરે પણ બાળકો માતા-પિતાની સાથે વધુમાં વધુ સમય પસાર કરતા કરતા એમના સમયની અવનવી રમતો રમતા રમતા જીવનનો સુવર્ણ સમય પસાર કરી  રહ્યા હોય એમ વર્તાય છે.આવા સમયે નવી અને જૂની પદ્ધતિઓ વચ્ચે સરખામણી થવી સ્વભાવિક છે. 

        આપણે દરેક કોઈને કોઈ શિક્ષણ પદ્ધતિમાંથી પસાર થયા હોઈએ છીએ. આજનું શિક્ષણ મારી દ્રષ્ટિએ વાહ શિક્ષણ છે. આહ શિક્ષણ તો ગયું. જેણે આહ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, તેઓ જ જાણે છે કે નિશાળે જતા કેટલો ડર લાગતો હતો અને જો ના જઈએ તો ટીંગા-ટોળી કરીને લઇ જાય તેમજ  જઈએ તો ઢીબી પણ નાખે. એવા માહોલમાં પણ શિક્ષકોના ડરના કારણે શિક્ષણ પાક્કું થતું. લાકડીનો માર હોય કે ના હોય પણ થપ્પડનો જાદુ તો હતો. શિક્ષકો સાવ ગુસ્સાવાળા જ હતા તેવું પણ નહોતું, પરંતું જો તેમના કહ્યા પ્રમાણે કામ ના થાય તો આવીજ  બન્યું જાણો . એ શિક્ષકો સ્વભાવે  ખૂબ માયાળુ પણ હતા. ગુરૂમાતા તો તેમનાથી પણ વધારે માયાળુ હોય એવું બનતું. બહારગામથી ભણવા આવતા બાળકો વરસાદના કારણે ઘેર ના જઈ શક્યા હોય તે દિવસે ગુરૂમાતા જ સગા અને સ્નેહી બની જતા. ગુરુમાતા એવા બાળકોને તેમના ઘેર રાખે, પોતાના સંતાનોની જેમ જમાડે અને કાળજી પણ લે. માતા પિતાને શક્ય હોય તો સંદેશો મોકલી આપે બાકી નિરાંત હતી. તે દિવસોમાં પણ માતા-પિતા સમજી લે કે ગુરુ એ સાચવી લીધા હશે.

        આજના શિક્ષણ ને હું વાહ શિક્ષણ એટલા માટે કહું છું કારણકે વર્તમાન સમયમાં બાળકોની વાહ-વાહી કરવાનું પ્રમાણ વધારે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને દુઃખ એ પછી માનસિક હોય કે શારીરિક કોઈ પણ પ્રકારની તકલીફ પણ ના લાગે તેમ સાચવીને ભણાવે છે. વિદ્યાર્થીઓ પણ જાણે શિક્ષકોને વ્યવસ્થાનો ભાગ સમજી તેમની ફરજ તેઓ પુરી કરી રહ્યા છે તેવું માને છે. અત્યારે જાણે Give and take ની ભાવના વિકસી હોય એમ લાગે છે. શિક્ષકો પોતાનાથી બનતી કોશિશ કરે કે વિદ્યાર્થી ભણે, જો ન જ ભણે તો તેના નસીબ. આપણે પણ આવી વ્યવસ્થામાં વધારો કરવા માટે  શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકો વિરુદ્ધ જ કાયદો  લાવ્યા. આવા કાયદાની બીક શિક્ષકને બતાવવામાં આવે છે અને વાલીઓ પણ બાળકોને ભવિષ્યમાં નોટો છાપવાનું મશીન સમજતા હોય એમ ગણતરના બદલે માત્ર ને માત્ર ટકાવારી પર જ ધ્યાન આપે છે.

સર્જનવાણી: શિક્ષકનું ઘર સાધારણ હોય છે પરંતુ  શિક્ષક ક્યારેય પણ સાધારણ હોતો નથી.

No comments:

Post a Comment