Tuesday, October 6, 2020

સર્જનની સરવાણી-૬

         


       જીવન એટલે ઈશ્વરની આપણને આપવામાં આવેલી અમૂલ્ય ભેટ અને આ ભેટને પ્રેમ-વિશ્વાસ અને આત્મીયતા થકી જ ઉત્તમ રીતે સ્વીકારી શકાય છે. આપણા જીવનમાં આપણે ઘણા બધા માનવીય સંબંધો થકી જોડાયેલા હોઈએ છીએ, જેમાં વિશ્વાસ નામની હોડી પર બેસીને આ સંસાર સાગર પાર કરી શકાય છે, જોઈએ આ વાતને સમજાવતી એક નાનકડી વાર્તા.. 

         એક વાર બે ઊંચી ઇમારતોની વચ્ચે બાંધેલા દોરડા પર લાબો વાંસ પકડી એક નટ બજાણિયો ચાલી રહ્યો હતો. તેણે પોતાના ખંભા પર પોતાના દીકરાને બેસાડી રાખ્યો હતો. સૈંકડો-હજારો લોકો શ્વાસ રોકીને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. હળવા પગલાથી, તેજ હવાથી ઝઝૂમતો નટ પોતાની અને પોતાના દિકરાની જિંદગી દાવ પર લગાવીને તે કલાકારે દોરડા પરનુ અંતર પૂરું કરી લીધું. ભીડ આહ્લાદથી ઉછળી પડી અને તાલીઓના ગડગડાટ સાથે સીટીઓ વાગવા લાગી. 

        લોકો તે કલાકારનો તેના દીકરા સાથે ફોટો ખેંચી રહ્યાં હતા, તેની સાથે સેલ્ફી લઈ રહ્યાં હતા. તેનાંથી હાથ મલાવી રહ્યાં હતા અને તે કલાકાર માઇક પર આવ્યો. 

ભીડ ને બોલ્યો: શું આપને વિશ્વાસ છે કે આ હું ફરીથી પણ કરી શકુ છું.

ભીડ એકી અવાજે બોલી: હાં-હાં તમે કરી શકો છો. 

તેણે પૂછ્યું: શું આપને વિશ્વાસ છે ? 

ભીડ બોલી ઉઠી: હાં પૂરો વિશ્વાસ છે, અમે તો શરત પણ લગાવી શકીયે છીએ કે તમે સફળતાપૂર્વક તે ફરીથી પણ કરી શકો છો. 

કલાકાર બોલ્યો: પૂરે-પૂરો વિશ્વાસ છે ને ?

ભીડ બોલી, હાં-હાં પૂરો વિશ્વાસ છે.

કલાકાર બોલ્યો, ઠીક છે તો કોઈ મને પોતાનો દિકરો દઈ દો, હું તેને મારા ખંભા પર બેસાડીને દોરડા પર ચાલીશ. આટલું બોલતાની સાથે જ ખામોશી, એકદમ શાંતિ, સન્નાટો ફેલાઈ ગયો!

કલાકાર બોલ્યો: કેમ બધા લોકો ડરી ગયા. હમણાં તો આપને વિશ્વાસ હતો કે હું કરી શકું છું. અસલમાં આપનો આ વિશ્વાસ (belief) છે, મારામાં વિશ્વાસ (trust) નથી! બન્ને વિશ્વાસોમાં ફરક છે સાહેબ ! આ જ કહેવાનું છે, ઈશ્વર છે, એ તો વિશ્વાસ (belief) છે, પરંતુ ઈશ્વરમાં સંપૂર્ણ વિશ્વાસ (trust) છે નહી !!! જો ઈશ્વરમાં પૂર્ણ વિશ્વાસ છે તો ચિંતા, ક્રોધ, તણાવ કેમ !!!

સર્જનવાણી : હંમેશા એક જ યાદ રાખવાનું ભગવાન મારી સાથે છે અને આ વિશ્વાસ હોવો જોઇએ.

No comments:

Post a Comment