Saturday, October 25, 2025

નૂતન વર્ષના શિવ સંકલ્પો

           

         દર વર્ષે આવતા તહેવારોની સાથે સાથે માણસ પોતાના જીવનને જાણવા કે સમજવાનો પ્રયત્ન પણ કરતો હોય તો એ તહેવાર ની ઉજવણી સાર્થક થાય છે.  માત્ર પોતાના જ વિચારો કરવાને બદલે આસપાસના લોકોની સાથે સાથે જરૂરિયાત મંદ સુધી આપણી સંવેદના પહોંચાડીએ તો દિવાળી જેવા પર્વનું મહત્વ સિદ્ધ થયું કહેવાય છે. આવા તહેવારોમાં આપણે પણ દર વર્ષે જુદા જુદા પ્રકારના સંકલ્પો લેતા હોઈએ છીએ. કંઈક નવીનતા જીવનમાં ઉમેરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. હું પણ દર વર્ષે કેટલીક વાતો નવી વિચારી અને પોતાની ડાયરીઓમાં ઉતારતો હોઉં છું, આ વર્ષે એમ થાય છે કે આવી કેટલીક વાતોને પોતાના મિત્રો સાથે વહેંચીએ. અહીંયા ઉતારેલા કેટલાક સંકલ્પો છે જે સૌને બંધબેસતા હોય તો સ્વીકારવા અન્યથા આપણે તો એટલામાં જ રાજી !!

1. પોતાની જાતનો સ્વીકાર કરીને અસ્તિત્વના ઉદ્દેશયને અનુસરીને શ્રેષ્ઠ બનવાનો સંકલ્પ.

2. સતત શાણપણ સાથેના વાંચન થકી પોતાના વિચારોને સમૃદ્ધ કરી અને વિચારોને અનુસરવા પ્રયત્નશીલ. 

3. પોતાની જાતને સતત અપગ્રેડ કરતા રહેવાનું છે. 

4. સતત ને સતત નાવિન્યતા સભર શીખવાનો અભિગમ કેળવવાનો અને પોતાની જાતનો વિસ્તાર કરવો.

5. સ્વયમની નબળાઈઓ જેવી કે ક્રોધ અતિ વિચારો,  વ્યગ્રતા,  અજંપો, વગેરે પર કાબુ મેળવવા માટે શાંત થવાનો તથા મૌન રહેવાનો પ્રયત્ન સતત કરવો.

6. સ્વ નિયંત્રણ એક ગુણ છે, જીવન સરળ નથી પરંતુ જો હિંમત હોય તો તે આનંદદાયક બની શકે છે.

7. સમય કાઢીને મહિને એકવાર પોતાની જાત સાથે આખો દિવસ વિતાવવા માટે દૂરના સ્થળનો પ્રવાસ કરવો અને એકલા જ જવું અને જાતને મળવું તથા સ્વની ખોજ કરવી.

8. ડાયરી લેખન સાથે સાથે વાંચનનો પ્રસાદ પણ લખવો તેમજ વહેંચતો રહેવા માટે નિયમિત અને જાગૃત પણે પ્રયત્ન કરવો.

9. પોતાના નિજાનંદ માટે ગમે તેમ કરીને સમય કાઢવો,  અને વાંચન સાથે ફિલ્મો જોવી, પ્રવાસ કરવો, મિત્રોને મળવું, સંગીત સાંભળવું અને સ્વની ખોજ કરવી અને બીજાને સાંભળીને સમજવાનો પ્રયત્ન કરવો.

10. સારા સ્વસ્થ માટે નિયમિત ચાલવાનો શિવ સંકલ્પ, યોગ પ્રાણાયામ સાથે હળવી કસરતો કરવી તેમજ પોતાના ખાન પાન પર નિયંત્રણ રાખવા કટિબદ્ધ.

11. નિયમિતતા, પ્રમાણિકતા, સાતત્યતા, સત્ય, પ્રેમ, કરુણા, આદર, વિશ્વાસ, આનંદ, ઉમંગ, ઉત્સાહ, જેવા ગુણો કેળવવા અને આચરણમાં ઉતારવા.


Monday, April 22, 2024

વાચનયાત્રામાં આહુતિ-૦૪

                 મને લખવાનું ગમે છે એટલે હું લખું છું. મને શબ્દનું સૌંદર્ય આકર્ષે છે, અભિવ્યક્તિનું સૌંદર્ય આકર્ષે છે, અને માનવ સંબંધોનું સૌન્દર્ય પણ આકર્ષે છે. એ બધાનું નિરૂપણ કરવાનું મને ગમે છે એટલે હું લખું છું. જોકે હમણાં લખવાનું ઓછું થઈ ગયું છે. પહેલા તો મોટાભાગના લખાણ સંપાદકોના આમંત્રણથી લખાતા. એની સાથે સાથે  અંગત ક્ષણો દરમિયાન આવતા નિજ આનંદ માટે લખું છું. પણ વાચકોમાં સંવેદનશીલતા વધે, સૌંદર્યબોધ,  પ્રકૃતિસૌંદર્ય વિચાર અને વ્યવહારનું સૌંદર્ય તથા માનવ સંબંધોનું સૌંદર્ય જોવાની દ્રષ્ટિ કેળવાય તે મુખ્ય હેતુ છે.  કોઈપણ જાતના લેબલ વગર મનુષ્યનો મનુષ્ય માટેનો પ્રેમ વધે એવી અંતરની ઇચ્છા છે બાકી તો બસ જીવાતા જીવનમાં આવતા પ્રસંગોએ આવતી મોજની આડઅસર છે મારી લેખનયાત્રા -કુંદનીકાબેન કાપડિયા. આવા ઉત્તમ શબ્દો સાથે ગુજરાતી ભાષા અને સાહિત્યમાં અમોલ પ્રદાન કરનાર કુન્દનિકાબેન જીવનભર ઉત્તમ સાહિત્યનો રસાસ્વાદ કરાવતા રહ્યા. એમના પુસ્તકો ઘણા બધા વાચકો માટે જીવનભરનું યાદગાર સંભારણું બની રહ્યા છે. તો આવી વાતો જાણવા માટે આપ સૌ વાચકમિત્રો પણ ઉત્તમ પુસ્તકો વાચતા રહો એવી અભ્યર્થના સાથે પ્રસ્તુત છે વાચનયાત્રામાં આહુતિનો મણકો ચોથો.......

૧. અર્ધી સદીની વાચનયાત્રા ભાગ-૩ - સંપાદક - મહેન્દ્રભાઈ મેઘાણી

૨. યુગપુરુષ વિવેકાનંદ ( ભાગ-૧ અને ૨ ) - સ્વામી ગંભીરાનંદ 

૩. તડ ને ફડ - નગીનદાસ સંઘવી 

૪. પારિવારિક જીવન વિશેની શીખ - રોબીન શર્મા 

૫. કેક્ટસ ફ્લાવર - ગુણવંત શાહ

૬. સાયન્સ સમંદર - જય વસાવડા

૭. ભારતીય દર્શનો - સ્વામી સચ્ચિદાનંદ 

૮. જીવન રાહ બતાવે રામાયણ - મોરારિબાપુ

૯. શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ - મુળશંકરભાઈ ભટ્ટ

૧૦. દામ્પત્ય માધુર્ય - ગિજુભાઈ ભરાડ

૧૧. ધ રામબાઈ - જીતેશ દોંગા

૧૨. ગાઈડ (ક્લાસિક નવલકથા ) - આર.કે. નારાયણ અનુ.હરેશભાઈ ધોળકિયા 

૧૩. માતૃભાષાનું મહિમાગાન - ભદ્રાયુ વછરાજાની

૧૪. સાત પગલા આકાશમાં - કુન્દનિકાબેન કાપડિયા 

૧૫. વિદાયવેળાએ - ખલિલ જિબ્રાન અનુ.-કીશોરલાલ મશરૂવાળા 

૧૬. ફીક્શનાલય - વિશાલ ભાદાણી

૧૭. આઈ લવ યું - કાજલ ઓઝા વૈધ

૧૮. અકુપાર - ધ્રુવ ભટ્ટ

૧૯. રૂખડ મીમાંસા (સોક્રેટીસ ગાથા ) - કે. કે.ખખ્ખર  

૨૦. સઆદત હસન મન્ટોની વાર્તાઓ- મન્ટો અનુ. શરીફાબેન વીજળીવાળા 

૨૨. પડઘા ડૂબી ગયા - ચંદ્રકાંત બક્ષી

૨૩. ઇશ્ક - સુભાષ ભટ્ટ 

આવતા મહિનાની તારીખ ૨૩-૫-૨૦૨૪ ને ગુરુવારે વાચનયાત્રામાં પાંચમી આહુતિ આપવામાં આવશે. )

વિશ્વ પુસ્તક દિવસ - ૨૦૨૪

 પુસ્તકો  શા માટે વાચવા જોઈએ ?       

       હું જ્યારે જ્યારે Thick Nhat Hanh (ટીક નાટ હાન)ના પુસ્તકો વાચું છું, એમની વાતો સાંભળું છું કે એમનો ચહેરો જોઉં છું, ત્યારે ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે કે જાણે જાતની અંદર ધમપછાડા કરતું પાણી, એમના વિચારો સાંભળીને અચાનક શાંત થઈ જાય છે. વિએતનામમાં જન્મેલા અને ૯૫ વર્ષની ઉંમરે પહોંચેલા તેઓ એક ઝેન ગુરુ અને શાંતિ કાર્યકર્તા છે. પચાસથી વધારે પુસ્તકો, અસંખ્ય વિડીયોઝ અને પોડકાસ્ટમાં પ્રકાશિત અને પ્રસારિત થતાં તેમના વિચારો, કોઈપણ સામાન્ય માણસની જિંદગી બદલી શકે તેમ છે. તેઓ ફક્ત વિશ્વશાંતિ માટે જ નહીં, દરેક મનુષ્યની વૈયક્તિક શાંતિ માટે પણ એટલા જ સક્રિય છે. તેમના પુસ્તક ‘At home in the world’માં તેમણે એક સુંદર પ્રસંગ લખ્યો છે.

        બન્યું એવું કે નોર્થ અમેરિકાની એક જેલમાં, મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને ટીક નાટ હાનનું એક પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તકનું નામ, ‘Being peace’. દેહાંતદંડનો દિવસ નજીક આવતા પહેલા, એ ગુનેગારે આ આખું પુસ્તક વાચી નાખ્યું અને એનાથી પ્રેરાઈને તેણે પોતાના જ સેલની અંદર મેડિટેશન કરવાનું શરૂ કર્યું. અંતિમ દિવસોમાં, તેણે તમાકુ ખાવાનું પણ છોડી દીધું. હવે બન્યું એવું કે એની બાજુની ઓરડીમાં જે ગુનેગારને રાખવામાં આવેલો, એ પણ તમાકુનો બંધાણી હતો.

        એક દિવસ એવું બન્યું કે તીવ્ર તલપ લાગતા, એ ગુનેગારે આ મૃત્યુદંડની સજા મળેલા ગુનેગાર પાસે તમાકુ માંગી. એણે પૂછ્યું, ‘થોડી તમાકુ આપશો ?’. પોતે તમાકુ છોડી દીધા હોવા છતાં હાજર રહેલા સ્ટોકમાંથી થોડી તમાકુ તેણે પાડોશી ગુનેગારને આપી. તમાકુ આપતી વખતે તેણે પોતાની પાસે રહેલા પુસ્તક ‘Being peace’નું પહેલું પાનું ફાડી નાંખ્યું, અને તમાકુ એ પાનાંમાં વીંટાળીને બાજુના ગુનેગારને આપ્યું. બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું એ રીતે તમાકુ આપવાના બહાને એક ગુનેગારે પોતાની પાસે રહેલું આખું પુસ્તક બીજા સુધી પહોંચાડી દીધું. આ બીજો ગુનેગાર તમાકુ ખાતા ખાતા દરરોજ એક પાનું વાંચતો. એ રીતે ધીમે ધીમે તેણે આખું પુસ્તક પૂરું કર્યું. શરૂઆતમાં આક્રમક, તોફાની અને ગુનાહિત માનસિકતા ધરાવતો આ કેદી ધીમે ધીમે શાંત થવા લાગ્યો. માથા પછાડવાને બદલે કલાકો સુધી તે પોતાની ઓરડીમાં શાંતિથી બેસી રહેતો. એક સુંદર પુસ્તક મોકલવા બદલ થોડા દિવસ પછી તેણે બાજુના કેદીને એક ‘થેન્ક યુ’ લખેલી ચિઠ્ઠી મોકલાવી. એ બંનેના મનમાં રહેલો એક કોમન વિચાર એ હતો કે આ પુસ્તક આપણે પહેલા વાંચ્યું હોત, તો આજે આપણે અહીંયા ન હોત.

        કારાવાસમાં હોવા છતાં પણ એ બંને ગુનેગારો, એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં પુરાયેલા હોઈએ છીએ. એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે, તફાવત બસ એક પુસ્તકનો જ હોય છે. 

ડો. નિમિત્ત ઓઝાની ફેસબુક વોલ પરથી મળેલા મોતીડા )

Tuesday, April 2, 2024

સર્જનની સરવાણી-૬૬

35 વાંચન ટિપ્સ મેં 350+ પુસ્તકો વાંચ્યા પછી શીખી છે :: એલેક્સ બુક્સ દ્વારા ટિપ્સ

 1) વાંચનનો સૌથી અઘરો ભાગ શરૂ કરવા માટે બેસવાનો છે.

 2) તેજસ્વી પુસ્તકો માટે જગ્યા બનાવવા માટે કંટાળાજનક પુસ્તકો છોડો.

 3) એક પુસ્તક વાંચવાથી તમારું જીવન ન બદલાય પણ દરરોજ વાંચવાથી ઘણું બધું બદલાઈ જશે.

 4) ઓછા પુસ્તકો વાંચો જે દિવસોથી આસપાસ છે, વધુ પુસ્તકો વાંચો જે દાયકાઓથી આસપાસ છે.

 5) જો તમે ક્યારેય કહો છો કે તમારી પાસે પુસ્તકો વાંચવાનો સમય નથી, તો ફક્ત તમારા ફોનના સ્ક્રીન સમય પર એક નજર નાખો.

 6) બધા વાંચનને વાંચન તરીકે ગણવામાં આવે છે – તમારા માટે શ્રેષ્ઠ કામ કરે તે ફોર્મેટ શોધવા માટે પ્રિન્ટ બુક્સ, ઈબુક્સ અને ઑડિયોબુક્સનો પ્રયાસ કરો.

 7) તમે તેમાંથી કેટલા પુસ્તકો મેળવો છો તે મહત્વનું નથી, તે તમારા દ્વારા કેટલા પુસ્તકો મેળવે છે તે મહત્વનું છે.

 8) તમારા ફોનને સાયલન્ટ પર મૂકો અને વાંચતા પહેલા તેને બીજા રૂમમાં છોડી દો અને તમે તમારું ધ્યાન 10x કરી શકશો.

 9) સારા પુસ્તકો વાંચો, મહાન પુસ્તકો ફરીથી વાંચો, ગ્રાઉન્ડબ્રેકિંગ પુસ્તકો ફરીથી ખરીદો.

 10) તમે વાચક ન બનો અને પછી પુસ્તકો વાંચવાનું શરૂ કરો.  તમે પુસ્તકો વાંચવાનું શરૂ કરો અને પછી વાચક બનો.

 11) એકસાથે વાંચવાનું છોડી દેવા કરતાં પુસ્તક છોડવું વધુ સારું છે.

 12) જો કોઈ પુસ્તક તમારું જીવન બદલી નાખે છે, તો તેને વર્ષમાં એકવાર ફરીથી વાંચવાનું લક્ષ્ય રાખો.

 13) તમે જે પુસ્તકોનો આનંદ માણ્યો ન હોય તેને પરત કરો, ફરીથી મોકલો અથવા રિસાયકલ કરો.

 14) સ્પીડરીડિંગ એ અડધા જેટલું યાદ રાખવા માટે બમણું ઝડપી વાંચન છે.

 15) વાંચવા માટે શ્રેષ્ઠ સ્થાનો એરોપ્લેન, દરિયાકિનારા અને ઉદ્યાનો છે.

 16) બધા વાચકોએ જે વિધિમાંથી પસાર થવું જોઈએ તે એ છે કે બીજાઓ તેમના માટે પુસ્તકો પસંદ કરે તેની રાહ જોવાને બદલે પોતાને માટે પુસ્તકો કેવી રીતે પસંદ કરવા તે શીખવું (જેમ કે માતાપિતા, શિક્ષકો અને પ્રોફેસરોએ કેવી રીતે કર્યું).

 17) પુસ્તકના સારાંશ વાંચવા એને તમે પુસ્તક વાચવા સમાન સમજો છો તે વિચારવું એ મૂવીનું ટ્રેલર જોવા જેવું છે અને વિચારવું કે તમે મૂવી સમજો છો કે જુઓ છો. 

 18) સ્પીડરીડિંગની વિડંબના એ છે કે જો તમે કોઈ પુસ્તકને ઝડપથી વાંચી શકો તો તે વાંચવા યોગ્ય નથી.  શ્રેષ્ઠ પુસ્તકો ઝડપથી વાંચવા માટે અશક્ય છે કારણ કે તે તમને સતત રોકાવા અને વિચારવા માટે મજબૂર કરે છે.

 19) વાંચનનો ધ્યેય એપ્લિકેશન છે, યાદ નથી.  માહિતીને યાદ રાખવાનો પ્રયાસ કરવાનો સમય પસાર કરવાનું બંધ કરો અને તેના બદલે માહિતી લાગુ કરવા માટે સમય પસાર કરો.

 20) જો તમારે વાંચવાની ટેવ કેળવવી હોય તો દરરોજ 2 મિનિટ વાંચવાનું લક્ષ્ય નક્કી કરો. આ ધ્યેય એટલું નાનું છે કે તે ન કરવા માટે વાજબી બહાનું શોધવું અશક્ય છે.

 21) જે વ્યક્તિ પુસ્તકનો સારાંશ લખે છે તેને સારાંશ વાંચનાર વ્યક્તિ કરતાં 10 ગણો વધુ ફાયદો થાય છે.

 22) જો તમે કોઈ પુસ્તક વાંચો છો પરંતુ તમારી વર્તણૂક અથવા વિચારસરણીમાં કોઈ ફેરફાર ન કરો, તો કાં તો પુસ્તક ચૂસી ગયું છે અથવા તમે કંઈ શીખ્યા નથી.

 23) માત્ર એ કારણ કે તમે એક પુસ્તક ખરીદ્યું છે તેનો અર્થ એ નથી કે તે તેને સમાપ્ત કરવા માટે બંધનકર્તા કરાર સાથે આવ્યો છે.

 24) દરેક વ્યક્તિ જે વર્ષમાં 100+ પુસ્તકો વાંચે છે તેને કાં તો વાંચવા (લેખક, શૈક્ષણિક, પોડકાસ્ટર, સામગ્રી સર્જક) અથવા સાહિત્ય વાંચવા માટે ચૂકવણી કરવામાં આવવી જોઈએ. 

 25) કોઈ માણસ ક્યારેય એક જ પુસ્તક બે વાર વાંચતો નથી, કારણ કે તે એક જ પુસ્તક નથી અને તે એક જ માણસ નથી.

 26) પુસ્તકો એક રોકાણ છે, ખર્ચ નથી.  $10નું પુસ્તક તમને $100,000 અથવા તો $100 બિલિયન કમાઈ શકે છે ("ધ ઈન્ટેલિજન્ટ ઈન્વેસ્ટર" વિશે વોરેન બફેટની ટિપ્પણી જુઓ).

 27) તમારી વાંચન પ્રેરણા કરતાં તમારું વાંચન વાતાવરણ વધુ મહત્વનું છે.  રોક કોન્સર્ટમાં અદ્ભુત પુસ્તક કરતાં પુસ્તકાલયમાં સરેરાશ પુસ્તક વાંચવું સહેલું છે.

 28) તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારી સાથે એક પુસ્તક રાખો. તમે ક્યારેય જાણતા નથી કે તમે વાંચતા વધારાના સમય સાથે તમારી જાતને ક્યારે શોધી શકશો.

 29) તમને જીતવા માટે પુસ્તકને 3 તકો (પ્રકરણો) આપો.  જો તમે ત્યાં સુધીમાં તેમાં ન હોવ, તો તે બહાર છે અને તેને છોડવા વિશે દોષિત ન અનુભવો.

 30) સરળ રીડિંગ ટીપ્સ ::  તમારા ફોન પર ઈબુક અથવા ઓડિયોબુક ડાઉનલોડ કરો જેથી જો તમારી પાસે ભૌતિક પુસ્તક ન હોય તો તમારી પાસે હંમેશા વાંચવા માટે કંઈક હોય.

 31) તમે કોઈ લેખકના સૌથી વધુ વખાણ કરી શકો છો તે દર્શાવે છે કે તમે તેમનું પુસ્તક લખ્યું, પ્રકાશિત કર્યું અને ખાઈ લીધું.  જો તમે તેમને કોઈ નૈસર્ગિક પુસ્તક બતાવો, તો તેઓ વિચારશે કે તમે તે વાંચ્યું પણ નથી.

 32) ટૂંકા પુસ્તકો વાંચવામાં વધુ સમય પસાર કરો.  કેટલાક વાર  ટૂંકા પુસ્તકોમાં સૌથી ઊંડા પાઠ હોય છે.

 33) કાલાતીત સમસ્યાઓ માટે કાલાતીત પુસ્તકો વાંચો.  આધુનિક સમસ્યાઓ માટે આધુનિક પુસ્તકો વાંચો.

 34) પુસ્તકો એ અંતિમ જીવન હેક છે: $10 માટે તમે 10 કલાક કે તેથી ઓછા સમયમાં 10 વર્ષનું શાણપણ ડાઉનલોડ કરી શકો છો. 

 35) પુસ્તકો વાંચવાનું શરૂ કરવાનો શ્રેષ્ઠ સમય 10 વર્ષ પહેલાનો હતો. ફરીવાર નવી શરૂઆત કરવાનો બીજો શ્રેષ્ઠ સમય આજે છે.

( ફેસબુક પરથી મળેલા વાચનનાં વીણેલા મોતીડા )

Friday, March 22, 2024

વાચનયાત્રામાં આહુતિ-૦૩


                                                                                                                                                            

ઇન્સ્ટાગ્રામ મિત્ર પૂછે છે,

"આજે અઢળક માહિતી આપતાં માધ્યમો હોવા છતાં લાખો પુસ્તકો કેમ વેચાય-વંચાય છે?"

અમેરિકામાં Pew Research Center નામના ટ્રસ્ટે  વાચકોને પૂછ્યું હતું કે પુસ્તક વાંચવા માટેનું તમારું સૌથી મોટું કારણ શું હતું. એમાં જે તારણો નીકળ્યાં હતાં તે આ પ્રમાણે છે:

- ૨૬% લોકોએ કહ્યું કે તેમને નવું જ્ઞાન અને માહિતી મળે એટલે પુસ્તક વાંચ્યું હતું.

- ૧૫% લોકોએ કહ્યું કે વાસ્તવિકતાને ભૂલી જવા અને બીજી કોઈ દુનિયામાં ખોવાઈ જવા માટે તેમણે પુસ્તકનો સહારો લીધો હતો.  

12% લોકોને નાટ્યાત્મકતા અને સસ્પેન્સમાંથી મનોરંજન મળતું હતું.

- 12% લોકોને પુસ્તક વાંચતી વખતે આરામ મળતો હતો અને શાંતિ મહેસુસ થતી હતી.

- 6% લોકોને નવા વિષયોનો પરિચય થતો હતો. 

- 4% ટકા લોકો આધ્યાત્મિક રીતે સમૃદ્ધિ થતા હતા અને તેમનું વિશ્વદર્શન (વર્લ્ડવ્યૂ) વિસ્તરતું હતું.

- 3% ટકા લોકોને પુસ્તકો તેમની માનસિક કસોટી લેતાં હતાં તે પસંદ હતું. 

- 2% લોકોને પુસ્તકનું ભૌતિક સ્વરૂપ- તેનો સ્પર્શ, તેની ગંધ- ગમતું હતું. 

        આ સર્વેમાં ઘણા લોકોએ “સ્ટ્રેસ દુર થાય છે, “રિલેક્સ થવાય છે,”અને “મન શાંત થાય છે” જેવાં વિધાનો કર્યા હતાં. આજે અહી ફરીવાર આપના માટે હું વાંચવા જેવાં ૨૩ ઉત્તમ પુસ્તકોની યાદી આપું. અહીં ક્લાસિકની સાથે સાથે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી સહિત વિશ્વની મોટાભાગની ભાષાઓમાં છપાયેલા વિવિધતાસભર પુસ્તકોનાં નામ આપ્યાં છે. આ બધાં જ પુસ્તકો, વૈશ્વિક સમાજનો એક એવો ચહેરો પેશ કરે છે, જે કદાચ બીજી ભાષામાં છૂટી ગયો છે. બધા જ પુસ્તકો મસ્ટ રીડ છે.

૧. અરધી સદીની વાચનયાત્રા ભાગ : ૨-સંપાદક-મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સત્યના પ્રયોગો-મહાત્મા ગાંધીજી 

૩. મહામાનવ મહાવીર-ગુણવંતભાઈ શાહ 

૪. પોલીએના-એલીનોર પૉર્ટર 

૫. વાણી તેવું વર્તન-ફાધર વાલેસ 

૬. એટોમીક હેબિટ-જેમ્સ ક્લિયર 

૭. ધ સિવિક કોડ-ગોરા. એન. ત્રિવેદી 

૮. તમે તમારા બાળકને ઓળખો-ડો. મોહનભાઈ પંચાલ 

૯. અંગદનો પગ-હરેશ ધોળકિયા 

૧૦. સપનાના સોદાગરો-રશ્મિ બંસલ 

૧૧. અમર ગુજરાતી ગઝલો : સંપાદક-રાજેશ વ્યાસ"મિસ્કીન"

૧૨. આનંદમય શિક્ષક કેમ થવાય?-દોલતભાઈ દેસાઈ 

૧૩. સોંસરી વાત-સ્વ. નગીનદાસ સંઘવી 

૧૪. સોક્રેટિસ એક્સપ્રેસ (અંગ્રેજીમાં)-એરિક વેઈનર 

૧૫. લાઈફલાઇન-જય વસાવડા 

૧૬. અગનપંખ-ડો. અબ્દુલ કલામ અનુવાદ-હરેશ ધોળકિયા 

૧૭. સાત લાઈન-રત્નવિજયસુંદરસૂરિજી મહારાજ સાહેબ 

૧૮. પ્રિયજન(ક્લાસિક નવલિકા)-વીનેશ અંતાણી 

૧૯. શ્યામની માં-સાને ગુરુજી અનુવાદ-અરુણા જાડેજા 

૨૦. જંગલ બુક-રુડીયાર્ડ કીપલીંગ, ગુજ અનુવાદ- સાધના નાયક દેસાઈ 

૨૧. શિક્ષણ રાહ બતાવે રામાયણ-મોરારી બાપુ 

૨૨. તમે જ તમારું અજવાળું-સુધા મૂર્તિ 

૨૩. યુગપુરુષ વિવેકાનંદ-કિશોર મકવાણા 


પુસ્તક સંહિતા :: પુસ્તકો મળે તો હું નર્કમાં જવા માટે તૈયાર છું કારણ કે આ પુસ્તક ત્યાં પણ સ્વર્ગ સમાન આનંદ આપશે. -લોકમાન્ય ટિળક

નવી યાદી તારીખ....૨૩-૦૪ -૨૦૨૪  ને મંગળવારે..

Thursday, February 22, 2024

વાચનયાત્રામાં આહુતિ-૦૨

        
       
        
         પવિત્ર સ્થાન એટલે એવું સ્થાન જ્યાં માણસને ભગવાનની ટપાલ મળે.એ ટપાલ મળે તે માટે બે બાબતો જરૂરી છે: મૌન અને એકાંત. ગુણવંત શાહનું આ વિધાન માણસને પોતાની જાત સાથે સમય વિતાવવાનો અનુરોધ તો કરે જ છે, પણ એ સાથે જ એક નવો માર્ગ બતાવે છે. એ માર્ગ એટલે પુસ્તક વાચન. વાચન માણસને વિચારવાન બનાવે છે. પુસ્તકો જીવનમાં પથદર્શક બની શકે છે. ઉત્તમ લેખકનું લખાણ એટલું ચુસ્ત હોય કે વાચકને કલ્પનાઓ કરવાની છૂટ ન આપે અને પોતાનો ઉદેશ્ય એકદમ નક્કર રીતે તેના મનમાં ઉતારી દે. સૌથી શ્રેષ્ઠ વાચક એ છે જે લેખકના ઉદેશ્યને અર્થઘટન કરીને દૂષિત ન કરે. આવા વાચનના પરિપાક સ્વરૂપે કેટલાક ઉત્તમ પુસ્તકોની યાદીનો બીજો મણકો આજે પ્રસ્તુત છે. 

૧. અરધી સદીની વાચન યાત્રા ભાગ-૧ -સંપાદક : મહેન્દ્રભાઈ મેઘાણી 

૨. સોક્રેટિસ (ક્લાસિક નવલકથા)-મનુભાઈ પંચોળી"દર્શક"

૩. પરોઢિયે કલરવ-ડો.ગુણવંત શાહ 

૪. એલ્કેમિસ્ટ-પોલો કોએલો 

૫. જય શ્રી કૃષ્ણ-જય વસાવડા 

૬. ધ સાયકોલોજી ઓફ મની-મોર્ગન હાઉઝેલ 

૭. સેપિયન્સ-યુવલ નોઆ હરારી 

૮. બેહદ બાની-સુભાષ ભટ્ટ
 
૯. મોર્નિંગ મંત્ર-ધ્વનિત ઠક્કર 

૧૦. હૈયું-મસ્તક-હાથ-ડો. ભદ્રાયુ વછરાજાની
 
૧૧. પાયાની કેળવણી-મહાત્મા ગાંધીજી

૧૨. અખેનાતન-ડો. આઈ. કે. વીજળીવાળા 

૧૩. રામકથા-ફાધર કામિલ બુલ્કે 

૧૪. સામ્યવાદનું સત્ય-સતિષચંદ્ર મિત્તલ 

૧૫. આપણી વાત-વર્ષા પાઠક 

૧૬. નાકોહસ-પુરુષોત્તમ અગ્રવાલ 

૧૭. શબ્દના સગા-રજનીકુમાર પંડયા 

૧૮. ઈન પ્રેઈઝ ઓફ વેસ્ટ ટાઈમ-એલન લાઈટમેન 

૧૯. રાષ્ટ્રવાદ-સ્વ. ભરત દવે 

૨૦. અથશ્રી-જીગ્નેશ અધ્યારુ 

૨૧. વાઇકિંગ-હરીશ નાયક (અપ્રાપ્ય હોવાથી મોટી લાઇબ્રેરીમાંથી લાવીને વાંચવી)

૨૨. ઊદયાસ્ત-નિમેશ. જ. પંડયા 

૨૩. દિવ્યચક્ષુ-રમણલાલ. વ. દેસાઈ 

આપની વાચનયાત્રા જ આપની આનંદયાત્રા બની રહે તેવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
 
નવી યાદી તારીખ....૨૩-૦૩-૨૦૨૪  ને શનિવારે.. 

Monday, January 22, 2024

વાચનયાત્રામાં આહુતિ-૦૧

       " મને લાગે છે કે આપણે એવા જ પુસ્તકો વાંચવા જોઈએ જે આપણને ઘાયલ કરે, આરપાર વીંધી નાખે. આપણે વાંચતાં હોઈએ તે પુસ્તક મસ્તક પર ધડ દઈને ફટકો મારીને આપણને જાગ્રત ન કરી દેતું હોય તો આપણે તે શીદને વાંચીએ છીએ ભલા? આપણને તો એવા જ પુસ્તકોની જરૂર છે કે જે કોઈ મોટી હોનારત જેવી અસર આપના પર કરે, ઊંડી વેદનામાં આપણને ડૂબાડી દે, જેને આપણે આપણી જાત કરતા વધારે ચાહ્યું હોય તેવા કોઈ પ્રિયજનના મૃત્યુની જેમ માનવી માત્રથી દૂર દૂરના જંગલોમાં આપણને ડૂબાડી દે, પુસ્તક તો આપણી અંદરના થીજી ગયેલા હિમસાગરને કાપનાર કુહાડો હોવું જોઈએ. "

        મૂળે તો વર્તમાનના પ્રાગ શહેરમાં જન્મેલા ઉત્તમ નવલકથાકાર કાફકા એ લખેલા અને આપણા મહેન્દ્રભાઈ મેઘાણી અનુવાદિત અને પોતાના સંપાદિત પુસ્તક અરધી સદીની વાચનયાત્રા ભાગ-૧ માં સમાવિષ્ટ આ કૃતિ જાતે જ પુસ્તકોનો વૈભવ અને પુસ્તકોની તાકાતનું વર્ણન આપણી સમક્ષ કરે છે. ગુજરાતી ભાષામાં ઉત્તમ કક્ષા અને વૈવિધ્ય ધરાવતા પુસ્તકો લખાયા છે અને ગુજરાતી વાચકો એને હોંશે હોંશે વધાવે પણ છે ત્યારે આપણી આ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર નામની સર્જનભૂમિ પર વર્ષ-૨૦૨૩ થી એક નવી યાત્રા સ્વરૂપે દર મહિનાની ૨૩ તારીખે ઉત્તમ રસદાર અને પાણીદાર એવા અલગ અલગ ભાષાઓના વિવિધતાસભર ૨૩ પુસ્તકોની યાદી મૂકવામાં આવશે. આ યાદીમાં ભૂતકાળ અને વર્તમાન સમયના શ્રેષ્ઠ લેખકોના પુસ્તકો પસંદ કરીને એની યાદી મૂકવામાં આવશે. અમારો આ પ્રયાસ આપને ગમશે એવી જ અભિલાષા. આપની વાચનયાત્રા આપને આનંદ આપનારી બની રહે એવી શુભેચ્છાઓ સાથે પ્રસ્તુત છે પ્રથમ મણકો.


૧.સૌરાષ્ટ્રની રસધાર-ઝવેરચંદ મેઘાણી

૨.ઝેર તો પીધા છે જાણી જાણી -મનુભાઈ પંચોળી

૩.મોતીચારો શ્રેણી(ભાગ ૧ થી ૯ )-ડો.આઈ.કે.વીજળીવાળા

૪.કાર્ડિયોગ્રામ-ડો.ગુણવંત શાહ

૫.રણમાં ખીલ્યું ગુલાબ-ડો.શરદ ઠાકર

૬.વિશ્વમાનવ-જીતેશ દોંગા

૭.જય હો-જય વસાવડા

૮.કૃષ્ણાયન-કાજલ ઓઝા વૈદ્ય

૯.ઓફ બીટ-અંકિત ત્રિવેદી

૧૦.અનહદબાની-સુભાષ ભટ્ટ

૧૧.પરમ સમીપે-કુન્દનિકા કાપડિયા 

૧૨.સાંઈ-ઈશા અંતરંગ પત્રોનું સંપાદન-મીનું ભટ્ટ અને વિમલ. વ. દવે 

૧૩.હાઉ ટુ ટોક ટુ એની વન-લાયલ લાઉડસ 

૧૪.અર્લી ઇન્ડિયન્સ-ટોની જોસેફ 

૧૫.એ વાત મને મંજૂર નથી-નાઝીર દેખૈયા 

૧૬.ગ્રીન લાઇટ્સ-મેથ્યુ મેકોનહે 

૧૭.ડાયલોગથી દેવભાષા-જય ઓઝા 

૧૮.મુસ્લિમસ અગેઈન્સ્ટ પાર્ટીશન ઓફ ઈન્ડિયા-શમસુલ ઈસ્લામ 

૧૯.ગુજરાતનું રાજકારણ મારી નજરે-અરવિંદ પટેલ 

૨૦.આંધળો યુગ-અનિરુદ્ધસિંહ ગોહિલ 

૨૧.રામાયણની અંતરયાત્રા-સ્વ. નગીનદસ સંઘવી 

૨૨.નવા વિચારો-સ્વામી સચ્ચિદાનંદ 

૨૩.આ ગર્લ હુ એટ બુક્સ-નીલાંજના રોય્ 

તા. ક : મૂળમાં તો આ વિચાર મારા પ્રિય લેખક જયભાઈ વસાવડાએ લખેલા પુસ્તક વેકેશન સ્ટેશન અને એમની ગુજરાત સમાચારમાં નિયમિત પ્રકાશિત થતી કોલમ અનાવૃત અને કેલિડોસ્કોપના આર્ટિકલો વાંચવાથી સૂજ્યો છે. એટલે જ જયભાઈએ ડિસેમ્બર માસની ૧૮ તારીખે પોતાના લેખમાં આપેલી યાદીમાં માંથી પણ કેટલાક પુસ્તકો અહીં સમાવ્યા છે. અમુક આગળની યાદીઓમાં સમાવિષ્ટ કરવામાં આવશે. આમ તો આ શ્રેણી ૨૦૨૨ માં ખૂબ જ ઉત્સાહ સાથે શરુ કરી હતી પણ વ્યસ્તતાઓ વચ્ચે એક કે બે જ મણકાઓ શક્ય થવાથી આ વર્ષે ફરીવાર નવા ઉમંગ અને ઉત્સાહ સાથે તેમજ નવા જ શીર્ષક સાથે શરૂઆત કરી છે. અહિયાં માત્ર પુસ્તકોની યાદી જ મૂકવાનો ઉપક્રમ છે. આ પુસ્તકોની વિશેષતાઓ માટે તો જયભાઈની કોલમ, ફેસબુક પર પણ અમુક સાહિત્યના શોખીન મિત્રો પુસ્તક રિવ્યુ લખે છે ત્યાંથી, કોઈ બ્લોગ પરથી અને સૌથી ઉત્તમ રસ્તો છે, સીધા જ જઈને આ પુસ્તકનો જ સથવારો કરવો પડશે. તો જાણો. માણો અવનવા પુસ્તકો વિશે અને ખોવાઈ જાવ એક મજાનાં વિશ્વલોકમાં જ્યાં મળશે અનહદ અને અઢળક આનંદ જ આનંદ !!!!!! 

નવી યાદી તારીખ....૨૩-૦૨-૨૦૨૪  ને શુક્રવારે..

( પુસ્તક ફોટો સોર્સ : ગૂગલ ) 

Saturday, April 22, 2023

વિશ્વ પુસ્તક દિવસ-૨૦૨૩

આજે *રાજેશ વ્યાસ* “મિસ્કિન”ના શબ્દો સાથે *વિશ્વ પુસ્તક દિવસ* ને વધાવીએ....📖📖

પુસ્તક મિત્ર છે

આપણા એકાંતનું,

તે વડીલ છે, સંસ્કારનું.

તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકને ખોલો છો તેની સાથે જ

ખુલવા લાગે છે તમારું હૃદય.

બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં

તમે તેમને અરીસાની જેમ

જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને

ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો

ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ

તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,

મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે

નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે

પુસ્તક બહાર અને

ભીતર જોડતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ

ફરી પાછો કોઈ આરંભકાળનો

આદિવાસી બની જાય

તે પહેલાં ચાલો,

પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.


Thursday, March 30, 2023

સર્જનયાત્રાનું મંથન-૧૦૦


        ધારો કે આપણે માટલાની અંદર બહુ પ્રેસર આપીએ તો તે ફાટી પડે, તેવી રીતે પૃથ્વીની અંદર આટલું બધું પ્રેસર હોવા છતાં પૃથ્વી તેના ભારથી ફાટી કેમ પડતી નથી? (એમાં પાછા માણસો કરોડો વર્ષોથી તેમની એક્ટિવિટી દ્વારા નવાં પ્રેસર પેદા કરતા રહે છે). એનું કારણ એ છે કે પૃથ્વીના કેન્દ્ર (inner core)માં, લોહ અને નિકલનું બનેલું લગભગ ભારતના આકારનું ઘન ક્ષેત્ર છે, જે સૂરજની સપાટી જેટલું ગરમ છે. તેની આજુબાજુમાં મોલ્ટન આયર્ન (અત્યંત ગરમીથી પીગળેલા લોહ)નો જથ્થો છે. તેની સાથે ઘન ક્ષેત્રના નિયમિત ઘર્ષણથી મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) સર્જતું રહે છે, જે પૃથ્વીને ફાટી પડતી રોકે છે. 

        પૃથ્વી શરૂઆતમાં એક ધગધગતો તારો જ હતી. અબજો વર્ષો પછી તેની સપાટી ઠંડી પડી, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં સૂરજની હાજરી હોવાથી તેની ગરમીથી liquid condensation (પ્રવાહી ઘનીકરણ)ની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં વરાળમાંથી સમુદ્રો બન્યા અને એ પાણીમાંથી જીવનની ઉત્પત્તિ થઈ. પૃથ્વીની ઠંડા પડવાની પ્રક્રિયા અટકી નથી. કેન્દ્રમાં મોલ્ટન આયર્નનું પ્રવાહી ક્ષેત્ર નિયમિત રીતે ઘન થઈ રહ્યું છે, જે છેવટે પૃથ્વીને મંગળ કે બુધ ગ્રહની જેમ ઉજ્જડ બનાવી દેશે. એ જીવનનો પણ અંત હશે.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

            વ્હાલા વાચક મિત્રો આ મણકા સાથે સર્જનયાત્રાનું મંથન શ્રેણી અહિયાં પૂર્ણ કરવામાં આવે છે. મળીશું નવી વાતો અને વિચારો સાથે આપણા પોતાના બ્લોગ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પર જ્યાં વાંચો અલગ અલગ વિષયો અને સાથે સાહિત્ય તેમજ વિવિધતાસભર વાંચવાલાયક પુસ્તકોની યાદીઓ.. જય જગત..  

Monday, March 27, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૯

 

        1971માં, ફિલિપ ઝિમ્બારડો નામના સોશ્યલ સાઇકોલોજીસ્ટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગ કર્યો હતો. તેણે 24 લોકોને પસંદ કરીને અમુકને જેલના કેદી અને અમુકને સંત્રી બનાવ્યા હતા. બંને જૂથોને એકબીજા વિશે ખબર નહોતી. સંત્રીઓ માનતા હતા કે કેદીઓ અસલી અપરાધી છે, અને કેદીઓને એમ હતું કે તેઓ અસલી જેલમાં અસલી સંત્રીઓના હાથમાં છે.

        પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે સત્તા અને લાચારી કેવી રીતે માણસને અમુક રીતે વર્તવા પ્રેરે છે. પ્રયોગ શરૂ થયાના અમુક કલાકોમાં જ સંત્રીઓએ તેમનો પરચો બતાવવાનું શરૂ કર્યું, અને કેદીઓએ વિદ્રોહ શરૂ કર્યો. એમાં સંત્રીઓએ એવો અત્યાચાર વર્તાવાનું શરૂ કર્યું કે અઠવાડિયામાં જ પ્રયોગ રોકી દેવો પડ્યો. સંત્રી તંદુરસ્ત મનના હતા, પરંતુ સત્તા મળી તો ક્રૂર બની જતાં વાર ન લાગી. આ પ્રયોગથી સિદ્ધ થયું કે, સાધારણ વ્યક્તિ હોય કે વડાપ્રધાન, સત્તાનો દુરુપયોગ કરવાની વૃતિ માણસમાં જન્મજાત હોય છે. હિટલર એટલે જ 60 લાખ યહૂદીઓને મારી નાખવા સક્ષમ બન્યો હતો. માણસ મૂળભૂત રીતે પશુ છે, અને પશુઓમાં સાચા-ખોટાનો વિવેક તેમની તાકાતની ભાવનામાંથી આવે છે. જેટલી તેની તાકાત વધે, યોગ્ય-અયોગ્યનો તેનો ભાવ વ્યક્તિગત થતો જાય.

                            *Power corrupts and absolute power corrupts absolutely.*

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, March 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૮

        પ્રશંસા અને અપમાન એક સિક્કાની બે બાજુ છે. હું જો પ્રશંસાથી અભિભૂત થતો હોઉં તો, અપમાનથી વિચલિત થવાની પણ ગેરંટી છે. મારી પ્રશંસાથી હું એટલા માટે ખુશ થાઉં છું કારણ કે એ સાબિતી છે કે મારી કોઈક પાત્રતા છે. મારુ જ્યારે અપમાન થાય છે ત્યારે, મને મારી પાત્રતા નહીં હોવાનો અહેસાસ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આપણે બહુ મહત્વની વ્યક્તિ છીએ અને લોકોએ મારી સકારાત્મક નોંધ લેવી જોઈએ. આપણને આપણી ઉપેક્ષા થાય તે ગમતી નથી. 

        અપમાન આપણને આપણી તુચ્છતાનો અહેસાસ કરાવે છે. હકીકત એ છે કે આ અફાટ વિશ્વમાં આપણે બહુમતિ લોકો માટે એક મચ્છરથી વિશેષ નથી, અને એટલે  આપણી બીજા લોકોની સ્વીકૃતિમાં સાર્થકતાને શોધીએ છીએ, પરંતુ કોઇ મને મહત્વ ન આપે, મારી સામે ન જુવે, મારી ઉપેક્ષા કરે તેનો મને વાંધો ન હોય, તો પછી અપમાન કરે તોય શું ફરક પડે છે? જે દિવસે આપણે પ્રશંસાથી મુક્ત થઈ જઈએ, તે દિવસે અપમાનથી પણ વિરક્ત થઈ જઈએ.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )